Charchapatra

આ મોંઘવારી ક્યાં જઈને અટકશે?

હાલમાં મોંઘવારીએ માઝા મૂકી દીધી છે અને દરેક ચીજ વસ્તુઓના ભાવ દિનપ્રતિદિન એટલી હદે વધી રહ્યા છે કે, આ મોંઘવારીનું કાળચક્ર ક્યાં જઈને અટકશે એનું અનુમાન કરવું પણ ખતરાથી ખાલી નથી. આ મોંઘવારીનો અંત ક્યારે આવશે એનો કોઈ પણ  વ્યક્તિ પાસે સચોટ ઉપાય અને જવાબ નથી. કારણ કે મોંઘવારી વધવી એ કોઈ એક વ્યક્તિના હાથની વાત નથી કે કોઈ એક કારણ નથી, પરંતુ એમાં જાતજાતનાં પરિબળો ભાગ ભજવે છે.  આપણા દેશમાં લોકશાહી પ્રથા અમલમાં છે અને લોકો વડે જ સરકાર ચાલે છે, તેથી આપણા ખંધા રાજકીય નેતાઓ ચૂંટણી લડવા માટે મોટા મોટા નામાંકિત વેપારીઓ, ઉદ્યોગપતિઓ, અંડરવર્લ્ડના અસામાજિક તત્ત્વો વિગેરે પાસેથી અબજો રૂપિયા લઈ આવે છે અને નસીબજોગે એ રાજકારણી ચૂંટણી જીતી સત્તા પર આવતાં જ નાણાંકીય ખાધ સરભર કરવા માટે, ઉદ્યોગપતિઓ તથા મોટા વેપારીઓ તે રાજકીય નેતાનું નાક દબાવીને મ્હોં ખોલાવે છે.

મતલબ કે ઉદ્યોગપતિઓ રાતોરાત ચીજવસ્તુના ભાવ બમણા કરી નાંખે છે તો ક્યારેક અમુક વસ્તુઓને દબાવી કે સંગ્રહ કરીને વધારે નાણાં કમાવા માટે કૃત્રિમ અછત ઊભી કરે છે. બીજી તરફ અંડર વર્લ્ડના માફિયાઓ ગમે ત્યાં ગેરકાયદેસર રીતે જમીન પર કબજો કરીને રાતોરાત મોટું કોમ્પલેક્ષ બનાવી નાંખે છે. અચાનક દંગા ફસાદ કરાવાય છે. આજે કોઈ પણ ક્ષેત્ર એવું નથી કે એમાં મોંઘવારી વધી ના હોય. બિચારી ભોળી અને નિર્દોષ જનતા ગરીબી અને મોંઘવારીમાં ઘંટીના બે પડ વચ્ચે પિસાતી જાય છે. એમાંય મધ્યમ વર્ગનાં લોકોને તો ઘણી આપદા, વિપત્તિ અને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને તમાચો મારીને ગાલ લાલ રાખવો પડે છે. સરકારી કર્મચારીઓનાં પગાર ધોરણો તો વખતોવખત ઉત્તરોત્તર વધતાં જાય છે એથી એમને વધતી જતી મોંઘવારીનો વધારે અહેસાસ થતો નથી. જ્યારે ખાનગી કંપનીઓ, નાનાં કારખાનાં કે દુકાનોમાં કામ કરતાં કર્મચારીઓ કે કારીગરોના પગારધોરણમાં કોઈ ઝાઝો વધારો થતો નથી એથી મોંઘવારીનો ભાર સૌથી વધારે આવાં લોકોએ સહેવો પડે છે.
પંચમહાલ – યોગેશ આર. જોશી – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top