Columns

પાપના હથિયાર

દુનિયામાં ચારે તરફ પાપ અને પાપીઓની બોલબાલા છે સત્ય, સુધારકો અને પુણ્ય નામશેષ થઈ રહ્યા છે.દરેક સ્થળે બસ પાપ અને પાપીઓ —ખોટું બોલનારાઓની જ જીત થાય છે. પૃથ્વીએ પાપને પૂછ્યું, ‘પાપ, મારા પર તારી બોલબાલા છે.તારી વિરુધ્ધ અવાજ ઉઠાવનારને અંતે હારનો સામનો કરવો પડે છે.આવું કઈ રીતે શક્ય છે.’પાપે અટ્ટહાસ્ય કરતા કહ્યું, ‘અરે, હંમેશા મારી જ વિજય થશે.મને કોઈ નહિ હરાવી શકે કારણ કે મારી પાસે છ હથિયાર છે.જેનાથી હું બધાને હરાવી દઉ છું.’

પૃથ્વીએ પૂછ્યું કે, ‘કયા હથિયાર છે તારી પાસે??’પાપે કહ્યું, ‘મારી પાસે જે છહથિયાર તે છે ‘લાભ—સ્વાર્થ—ઉપેક્ષા — નિંદા— હત્યા — શ્રદ્ધા…’જયારે પણ મારી વિરુધ્ધ અવાજ ઉઠે છે.ત્યારે સૌથી પહેલા મારા બે હથિયાર લાભ અને સ્વાર્થ પાપ કરનાર વ્યક્તિ કે સમાજની આંખો પર લાગી જાય છે અને જયારે વ્યક્તિને પોતાનો લાભ અને સ્વાર્થ જ દેખાય ત્યાં તે પોતે પાપ કરતા અચકાતો નથી અને પોતાનો લાભ અને સ્વાર્થ સચવાતો હોય તો તે કોઈ પાપ કરનારને રોકતો નથી.’

પાપે આગળ કહ્યું, ‘જયારે કોઈ મારા પહેલા બે હથિયારને હરાવી ઉપર ઉઠી,જાગ્રત બની સમાજ અને વ્યક્તિઓમાં જાગૃતિ લાવવા મારી વિરુદ્ધ અવાજ ઉઠાવે છે.મારું ત્રીજું હથિયાર મોરચો સંભાળે છે અને ‘બધાને તે તો બોલ્યા કરે’… ‘તેની વાત સાંભળવાની નહિ’વગેરે રીતે ઉપેક્ષા કરવામાં આવે છે.પોતાની થતી ઉપેક્ષાથી, સમાજ સુધારવા અને મને હરાવવા આગળ આવેલો માણસ જો પોતાનો અવાજ વધુ મોટો કરે તો હું ચોથા હથિયારનો પ્રયોગ કરું છું તે છે નિંદા…મને [પાપ] રોકવા, માણસોની આંખ ખોલવા આગળ આવનાર ની ‘તે તો ખોટો છે’, ‘પોતાના ફાયદા’ખાતર ખોટી વાતો કરે છે’એવી નિંદા કરવાની શરુ થાય છે અને સમાજમાં થતી નિંદાથી તે હારી જ જાય છે.’પૃથ્વી બોલી, ‘તો પછી તારા સાવ વિરોધાભાસી છેલ્લા બે હથિયાર શું કામ કરે છે??’પાપએ જણાવ્યું કે, ‘આ બે તો મારા અમોઘ શસ્ત્ર છે.

જયારે સદીઓમાં કોઈ જાગૃત યુગપુરુષ મારા ચાર હથિયાર વડે હારતો નથી.અને તેની સત્ય, સારી,સાચી વાતો માણસો માનવા લાગે છે ત્યારે મારી સામે પુણ્ય જીતવા લાગે છે.અને ત્યારે કોઈ રસ્તો ન રહેતા મારે તે યુગપુરૂષની હત્યા કરાવવી પડે છે અને પછી જ્યારે આ યુગપુરુષોની વાતો હત્યા બાદ વધુ અસરકારક થઈ જાય છે ત્યારે હું શ્રધ્ધાનું બ્રહ્માસ્ત્ર વાપરું છું.હું જ શ્ર્ધ્ધાનો સ્વાંગ રચી જે તે સુધારક નો જયજયકાર કરી, પરમ શ્રદ્ધેય હતા તેમ ફેલાવી તેમના મંદિરો બંધાવું છું, તેમના વિચારોના પુસ્તકો લખવું છું અને તેમના જ મંદિરો અને પ્રવૃતિઓમાં સત્ય ભુલાતું જાય છે અને પાપ પ્રવૃત્તિઓ ફેલાતા રહે છે.આમ હું નષ્ટ ક્યારેય થતો જ નથી અને થવાનો પણ નથી.’
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top