Charchapatra

સુરતમાં પાણીની પરબ

હોળીમાં અગ્નિનો તાપ લીધા પછી,ચૈત્ર માસમાં ઉનાળાનાં મંડાણ થાય.સુરજદાદા પૃથ્વી પર અગનગોળા વરસાવતા હોય ત્યારે  અસહ્ય ગરમીના કારણે માણસને પાણીની તરસ વધુ લાગે છે.જળ એ જીવનનું સૂત્ર યાદ આવે.માણસને હવા અને પાણી નિઃશુલ્ક મળવું જોઈએ.કુદરત તરફથી મળતા સ્રોતનો કોઈ મોલ હોય નહીં.ઉનાળામાં સુરતના શ્રીમંતો સખાવતમાં પાણીની પરબ બંધાવતા.પરબ પર પાણીના બે મોટાં માટલાં હોય,રાહદારીઓ અને વટેમાર્ગુને તરસ લાગે તો પરબનાં પાણીથી પોતાની પ્યાસ બુઝાવતા.પહેલાંના સમયમાં મિનરલ વોટરનું ખાસ ચલણ હતું નહીં.ત્યારે સુરતમાં પુનિત મંડળ દ્વારા ઠેર ઠેર પાણીની પરબ બનાવવામાં આવી હતી.આ પ્રકારના ઉમદા કાર્યમાં પુનિત મંડળને સુરતીઓ તરફથી ઘણો મોટો આર્થિક ફાળો મળતો.લોકો પોતાના પિતૃઓના નામે પાણીની પરબ બંધાવતા.જ્યારે ભારતમાં ઘણા દુકાળો પડયા હશે પણ સુરતમાં તાપી માતાની કૃપાથી પાણીની તંગી પડી નથી.સુરતનો ચારે તરફ જે વિકાસ  થયો છે તે તાપીના પાણીના પ્રતાપે છે.આજે મિનરલ વોટરની બોટલનો કરોડોનો વ્યાપાર થઈ રહ્યો છે ત્યારે પહેલાં જળ વહેંચાતું હતું જ્યારે આજે વોટર લિટરના ભાવે વેચાય છે.
સુરત     – કિરીટ મેઘાવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top