ઓછા વજનવાળા બાળકની 62 દિવસ સુધી ચાલી મેરેથોન સારવાર

વડોદરા: રોગ કે દર્દની સારવાર પૂરતી નથી. સંવેદના ઉમેરી કરવામાં આવતી સારવાર વધુ સારા પરિણામો આપે છે. તેનો હૃદયસ્પર્શી દાખલો સયાજી હોસ્પિટલના બાળ સારવાર વિભાગમાં જોવા મળ્યો છે. ત્રીજી દીકરી આવતાં જેનો પતિ દવાખાનામાં એકલી મૂકીને જતો રહ્યો હતો એવી પ્રસૂતા અને સાવ ઓછું વજન ધરાવતા નવજાત શિશુની આ વિભાગે ૬૨ દિવસની મેરેથોન સારવાર કરી.આ માતાને તેની સાસરી કે પિયરનું કોઈ તેની સાથે ન હોવા છતાં પરિવારની હૂંફનો અભાવ સાલવા ન દીધો. તેના બાળકનું અહીંની સારવાર થી વજન વધ્યું અને બાળક સલામત બનતા સયાજીની ટીમે મહામહેનતે તેના પિયરના ઘરનો પત્તો મેળવી તેને હેમખેમ ઘેર પહોંચાડી. આ સંવેદનાભરી સારવાર અને દેખરેખ રાખનારી ટીમ તથા ખિલખિલાટ ટીમ અને સિસ્ટર ભાનુબહેન ની આ નિસ્વાર્થ સેવાઓને બિરદાવવાની સાથે તબીબી અધિક્ષક ડો.રંજન કૃષ્ણ ઐયરે તમામ તબીબો,નર્સિંગ સ્ટાફને ધન્યવાદ આપ્યા છે.

ભાનુબેને આ ઘટનાની વિગતો આપતાં જણાવ્યું કે જેને પોતાની સાસરીના ગામનું નામ અને પિયરનું યોગ્ય સરનામું પણ ખબર નથી એવી આ શ્રમિક મહિલાને બાજવા ખાતે પ્રસૂતિ થતાં અને બાળક માત્ર ૧૧૦૦ ગ્રામ જેટલા સાવ ઓછા વજનનું હોવાથી સયાજીના બાળ રોગ વિભાગમાં મોકલવામાં આવી હતી. ત્રીજી દીકરીના જન્મથી નારાજ તેનો પતિ તેને છોડીને જતો રહેતા આ માતા સાવ એકલી પડી ગઈ હતી ત્યારે આ વિભાગમાં માં-દીકરીની સારવારની સાથે તેમને પરિવારની હૂંફ આપવામાં આવી હતી.  Emnicu kmc વોર્ડમાં બાળ સારવાર વિભાગના વડા ડો.શીલા ઐયરના માર્ગદર્શન હેઠળ  બાળકની ૬૨ દિવસ સુધી કરવામાં આવેલી કાળજીભરી સારવાર થી નવજાત નું સ્વાસ્થ્ય સુધર્યું અને વજન વધીને ૧૭૬૦ ગ્રામ જેટલા સંતોષજનક સ્તરે પહોંચ્યું. ખરી મૂંઝવણ આ પ્રસૂતાને રજા આપવાના સમયે સર્જાઈ. જો કે બાળ રોગ તબીબ ડો.મોનિકા અને ડો.વૈશાલીની સહૃદયતા ભરી પૂછપરછ માં તેનું પિયર કોઈ માથાસર ગામમાં હોવાનું જાણવા મળ્યું.વ્યાપક ખાંખાખોળા પછી આ ગામ નર્મદા જિલ્લામાં નાની માથાસર હોવાનું જાણવા મળ્યું અને ખિલખિલાટ ટીમ દ્વારા માં બાળકને ત્યાં પહોંચાડવા ની વ્યવસ્થા કરવામાં આવી.

તેમની સાથે કોઈ કેરટેકર મહિલા સ્ટાફને મોકલવાની જરૂર હતી ત્યારે સેવાભાવી ભાનુ સિસ્ટરે સ્વેચ્છાએ તૈયારી બતાવી.એટલે અજયભાઈ અને વિષ્ણુભાઈ સાથે તેઓ તેમને લઈને નીકળ્યા. આ ગામ નર્મદા જિલ્લાના ઘનઘોર જંગલ વિસ્તારમાં ઝરવાણી થી આગળ છેક મહારાષ્ટ્રની સરહદ પર આવેલું છે.મધ્ય રાત્રિના ઘનઘોર અંધકારમાં ટીમ આ ગામમાં પહોંચી.ગામલોકો સાથે પૂછપરછ કરીને માતા આ ગામની જ હોવાની ખાત્રી કરી.તેના પિતા અને પરિવારના અન્ય સદસ્યો સાથે સઘન પૃચ્છા કરીને સંતોષજનક ખાત્રી કર્યા પછી માતા અને બાળકીને પરિવારને સોંપી ઊંડા આત્મ સંતોષ સાથે ટીમ વડોદરા પરત આવી. સારી સારવાર આપવી અને પ્રત્યેક જરૂરિયાત વાળાને યોગ્ય આરોગ્ય સેવા પૂરી પાડવી એ સયાજી હોસ્પિટલની,આરોગ્ય તંત્રની ફરજ છે.એટલે આ માં દીકરીની સારવારની ફરજ તેમણે અદા કરી એમાં કોઈ નવાઈ નથી. ખાસ વાત સારવારમાં સંવેદના ઉમેરવાની છે.અને એકલવાયી પ્રસૂતાને પરિવારની હૂંફ ઉમેરીને સારવાર આપવાનું ટીમ સયાજીનું આ કામ બિરદાવવા યોગ્ય છે.

Most Popular

To Top