Dakshin Gujarat

ઉદવાડા રેલવે સ્ટેશનને મોડેલ સ્ટેશન તરીકે વિકસાવાશે, સેમ માણેકશાના માનમાં મ્યુઝિયમ તૈયાર થશે

પારડી: ઉદવાડાના (Udvada) રેલવે સ્ટેશનને મોડેલ રેલવે સ્ટેશન (Model Railway Station) તરીકે વિકસાવવામાં આવશે. આ સ્ટેશનને ૧૦ હજાર વૃક્ષો સાથે વિકસાવવામાં આવશે. પારડી તાલુકાના ઉદવાડા રેલવે સ્ટેશનને શહેરના ઉદ્યોગપતિ અને જાણીતા પર્યાવરણવાદી ગ્રીનમેન વિરલ દેસાઈ દ્વારા ગ્રીન ઉદવાડામાં પરિવર્તિત કરવાનું મિશન હાથ ધરાયું હતું. જે અંતર્ગત તેમણે તેમના એનજીઓ હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન હેઠળ પ્રથમ તબક્કાનું કાર્ય પૂર્ણ કર્યું હતું. તેમના આ પર્યાવરણી કાર્યોનું વેસ્ટર્ન રેલવેના (Western Railway) જીએમ આલોક કનસલ તેમજ પારસીઓના (Parsi) વડા દસ્તુર ખુરશેદ દસ્તુર દ્વારા આરંભ કરાવ્યો હતો.

આ સંદર્ભે વિરલ દેસાઈએ જણાવ્યું હતું કે ‘આવનારા દિવસોમાં ઉદવાડા સ્ટેશન મોડેલ સ્ટેશન બનશે. તેમજ આંતરરષ્ટ્રીય મંચો પર આ સ્ટેશનની નોંધ લેવામાં આવશે. કારણકે આ સ્ટેશન ભારતીય રેલવેનું પ્રથમ એવું સ્ટેશન બનશે, જ્યાં દસ હજાર વૃક્ષોનું એક વન તૈયાર થશે. તેમજ ફિલ્ડ માર્શલ સેમ માણેકશાના માનમાં એક મ્યુઝિયમ તૈયાર થશે. ભારતીય સૈન્ય, પર્યાવરણ અને પારસીઓ એમ ત્રણેય બાબતનું સાયુજ્ય રચીને સ્ટેશન પર ઈકોસિસ્ટમ રિસ્ટોરેશનના કાર્યો થશે. જે કાર્યો ક્લાયમેટ એક્શન બાબતે વડાપ્રધાન મોદીના જે પ્રકલ્પો છે એ પૂર્ણ કરશે.’ આ સ્ટેશનને મોડેલ સ્ટેશન તરીકે આંતરરાષ્ટ્રીય સ્તર રજૂ કરવામાં આવશે. વિરલ દેસાઈના અત્યાર સુધીના કાર્યો તેમજ આવનારા સમયના તેમના વિઝનથી પ્રભાવિત થઈને વેસ્ટર્ન રેલવેના જીએમ દ્વારા તેમનું વિશેષ સન્માન પણ કરાયું હતું. તેમને પ્રશસ્તિ પત્ર તેમજ મેડલ એનાયત કરાયો હતો. આ કાર્યક્રમમાં જીવીએલ સત્યા કુમાર, રાજકુમાર લાલ, જાગૃતિ સિંગલા તેમજ વલસાડના એરિયા મેનેજર અન્નુ ત્યાગી પણ વિશેષરૂપે હાજર રહ્યા હતા.

ઉદવાડા રેલવે ફાટક પાસે સર્જાતી ટ્રાફિકની સમસ્યાથી વાહનચાલકો તોબા

પારડી : ઉદવાડા આરએસ ઝંડાચોક ફાટકથી રેંટલાવના હનુમાનજીના મંદિર સુધીના માર્ગ પર દરરોજ સર્જાતા ટ્રાફિકને (Traffic) પગલે વાહનચાલકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. ઉદવાડા રેલવે ફાટક પાસે ટ્રાફિક પોલીસ અને હોમગાર્ડ ટ્રાફિક કંટ્રોલ કરવામાં નિષ્ફળ રહ્યા છે. સુરત, અમદાવાદ, બરોડાથી પર્યટકો દમણમાં (Daman) આવતા ટ્રાફિકની સમસ્યા વધુ પડતી શનિ-રવિવારના રોજ વકરે છે.

કેટલીક વાર ટ્રાફિકના કારણે બે વાહનચાલકોએ ઘર્ષણમાં ઉતરવાનો પણ વારો આવે છે અને કલાકો સુધી ફાટક બંધ રહેવાના કારણે વાહનોની કતાર ઉદવાડા હાઈવેથી લઇ રેંટલાવ ઝંડાચોક, સ્ટેશન, ભીલાડવાળા બેંકથી લઇ હનુમાનજીના મંદિર સુધી રહતા લોકોનો કલાકોનો સમય વેડફાય છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ અહીંથી પસાર થતા વાહનચાલકો તેમજ દમણથી નશો કરીને આવતા પર્યટકો વચ્ચે કેટલીકવાર ટ્રાફિકને લઇ તકરાર ઉભી થાય છે ત્યારે પોલીસ સતર્કતા દાખવી ટ્રાફિકની સર્જાતી રોજની સમસ્યાનું નિવારણ લાવે એવી લોકોમાં બૂમ ઉઠી રહી છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીના દત્તક ઉદવાડા ગામની હાલત ટ્રાફિકને કારણે દિન-પ્રતિદિન વકરતા લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે.

Most Popular

To Top