મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા ભીષણ યુદ્ધની સ્થિતિ વચ્ચે ભારતમાં પણ લિક્વીફાઈડ પેટ્રોલિયમ ગેસ – LPGની તંગી સહુને ચિંતા કરાવતી હતી. ભારત માટે ગેસનો મોટા ભાગનો જથ્થો ઈરાન નજીક હોર્મુઝ સ્ટ્રેટમાં થઈને આવે છે. પરંતુ ઈરાને અહી જહાજોના ટ્રાફિક પર પ્રતિબંધ મુક્યો હોવાથી ભારતમાં સરકારને અને પ્રજાને LPG અછતની ચિંતા સતાવતી હતી.
પરંતુ હવે મોટી રાહતના સમાચાર આવી રહ્યા છે. ઈરાન તરફથી આવતા ‘શિવાલિક’ અને ‘નંદા દેવી’ નામક બે ભારતીય જહાજો LPGનો મોટો જથ્થો લઈને સુરક્ષિત રીતે હોર્મુઝ સ્ટ્રેટ પસાર કરીને અત્યારે ભારત તરફ આગળ વધી રહ્યા છે. આ બંને જહાજ આગામી દિવસોમાં ગુજરાતના દરિયાકાંઠે પહોંચશે. બંને વેસલ્સમાં કુલ 92,700 મેટ્રિક ટન LPG. જહાજો 16 અથવા 17 માર્ચે ભારત પહોંચવાની સંભાવના જોવાઈ રહી છે.
આ બંને જહાજ ગુજરાતના બે મુખ્ય બંદર કંડલા અને મુન્દ્રા પોર્ટ પર આવશે. LPG પુરવઠાના આગમન સાથે જ ગેસના પુરવઠાને લઈને જે ચિંતા વ્યક્ત કરવામાં આવતી હતી, તે દૂર થશે. યુદ્ધના કારણે હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) પર સર્જાયેલી નાકાબંધી જેવી સ્થિતિ વચ્ચે ભારત માટે આ એક મોટી સફળતા માનવામાં આવે છે.