Dakshin Gujarat

મહારાષ્ટ્રની સરહદે હજારોની સંખ્યામાં ગુજરાતી પ્રવાસીઓ અટવાયા, પ્રવાસીઓની હાલત કફોડી

સાપુતારા : મહારાષ્ટ્રનાં સુરગાણા તાલુકાનાં કોમ્યુનિષ્ટ પાર્ટીનાં પૂર્વ ધારાસભ્ય જે.પી.ગાવીતની આગેવાની હેઠળ છેલ્લા ચાર દિવસથી સાપુતારા નાસિક માર્ગ પર અનિશ્ચિત ચક્કાજામ તથા રસ્તા રોકો આંદોલન કરવામાં આવી રહ્યુ છે. જેની સીધી અસર ગુજરાતનાં વાહનચાલકો પર પડી રહી છે. જેના કારણે સાપુતારા નાસિક રાષ્ટ્રીય ધોરીમાર્ગ સહિત આંતરીક માર્ગો પરથી આવતા જતા વાહનો સતત ચોથા દિવસે ઠપ્પ જોવા મળી રહ્યા છે. અને જે તે સ્થળોએ વાહનોની લાંબી કતારો જામી છે. તથા આ કતારોમાંથી નીકળવા માટે વાહનચાલકો રઝળપાટ કરી રહ્યા છે. ત્યારે મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં આવતી તથા ગુજરાતમાંથી મહારાષ્ટ્રમાં જતી ટ્રાન્સપોર્ટેશનની અનેક સુવિધાઓ તેમજ શાકભાજી, ફળફળાદી, દૂધ સહિત માલસામાનનો જથ્થો હાલમાં ટલ્લે ચડીને થંભી જવા પામ્યો છે. ગત 21મી ઓગસ્ટનાં રોજથી મહારાષ્ટ્રનાં પૂર્વ ધારાસભ્ય જે.પી.ગાવિતની આગેવાની હેઠળ પેસા એક્ટ અને નોકરભરતી મામલે ચક્કાજામ તથા રસ્તા રોકો આંદોલન કરવામાં આવી રહ્યુ છે. પેસા એક્ટ હેઠળ ટ્રાયબલ વિસ્તારમાં ટ્રાયબલ અધિકારીઓની જ નિમણૂક કરવામાં આવે અને જ્યાં સુધી માંગણીઓ ન સંતોષાય ત્યાં સુધી ચક્કાજામ ચાલુ રહેશે એવી ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે.

જેમાં મહારાષ્ટ્ર અને ડાંગના સરહદી વિસ્તારમાં રસ્તા રોકો આંદોલનના કારણે સાપુતારા નાસિક રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સતત ચોથા દિવસે પણ વાહન વ્યવહાર સંપૂર્ણ ઠપ્પ થયેલો જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્ર રાજ્યમાંથી શાકભાજી, દૂધ સહિતનો જે માલ સામાન ગુજરાત રાજ્યમાં આવતો જથ્થો ટલ્લે ચડ્યો છે. કારણકે સાપુતારા બોર્ડર પર અસંખ્ય ટ્રકો રસ્તા રોકોના જામમાં ફસાઈ ગયેલી છે. આ ટ્રકોમાં ફ્રુટ તથા શાકભાજી સહિતનો માલ બગડી જવાને કારણે ખેડૂતો તથા વેપારીઓને પણ આર્થિક ફટકો પડ્યો છે. તેમજ હજુ પણ મહારાષ્ટ્રની ચેકપોસ્ટ ખાતે હજારોની સંખ્યામાં ગુજરાતી પ્રવાસીઓ ફસાયેલા હોવાનું જાણવા મળી રહ્યુ છે. તેઓ હાલમાં ગુજરાતમાં આવવા માટે ફાંફા મારી રહ્યા છે. જોકે એક તરફ ડાંગ જિલ્લાની સાપુતારા પોલીસ દ્વારા ફસાયેલા પ્રવાસીઓને બચાવવા માટે સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ ડાંગ જિલ્લાનાં નેતાઓ હજુ પણ કુંભકર્ણની નિંદ્રામાં પોઢી રહેતા અનેક પ્રશ્નાર્થ સર્જાયા છે. ડાંગ જિલ્લાના આંતરીક માર્ગો ચાર દિવસથી બંધ થતાં અસંખ્ય ગુજરાતી પ્રવાસીઓ અને વાહનચાલકો અટવાઈ જવા પામ્યા છે. તેમ છતાંય નજીકનાં ડાંગનાં નેતાઓ ફસાયેલા મુસાફરો અને વાહનચાલકોનો તાગ ન મેળવતા ફિટકાર દર્શાવવામાં આવી રહી છે.

ગુજરાતીઓની મદદ માટે ડાંગનો એક પણ નેતા ફરક્યો નથી
મહારાષ્ટ્રનાં આદિવાસી નેતા રમેશ થોરાતે જણાવ્યુ હતુ કે, મહારાષ્ટ્ર અને ડાંગની સરહદ પર અટવાયેલા અસંખ્ય ગુજરાતીઓની મદદ માટે એક પણ ડાંગનો નેતા મુલાકાત માટે ફરક્યો નથી. હાલમાં આંદોલનકારીઓએ મહારાષ્ટ્રને જોડતા ડાંગનાં આંતરિક રસ્તા પણ બંધ કરી દીધા છે.

મહારાષ્ટ્રમાં આંદોલન કરવાની ચીમકી
આદિવાસી નેતા રમેશભાઈ થોરાટે જણાવ્યુ હતુ કે અમે ન્યાય મેળવવા માટે મક્કમ છીએ. મહારાષ્ટ્ર સરકાર જ્યાં સુધી માંગણી ન સ્વીકારે ત્યાં સુધી અમો અમારી લડત ચાલુ રાખીશુ. વધુમાં આ આંદોલનનાં પગલે કઈ પણ થશે તો તેણી સંપૂર્ણ જવાબદારી મહારાષ્ટ્ર સરકારની રહેશે. વધુમાં આદિવાસી સંગઠનો દ્વારા આગામી દિવસોમાં સમગ્ર મહારાષ્ટ્રમાં આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી રહી છે. તેવામાં આદિવાસી સંગઠનની માંગણીઓને લઈને મહારાષ્ટ્રની રાજ્ય સરકાર હજુ પણ મૌન પાળીને બેઠુ છે. અને જેની હાલાકી આમજનતા સહિત અસંખ્ય વાહનચાલકોએ ભોગવવી પડી રહી છે. ત્યારે હાલમાં ફસાયેલા વાહનચાલકોની સ્થિતિ જાયે તો કહા જાયે અને ખાયે તો કયા ખાયે જેવી નિર્માણ થવા પામી છે.

Most Popular

To Top