Comments

ભારતના આર્થિક ભાગલાના ત્રીસ વર્ષ!

1991 માં વડાપ્રધાન પી.વી. નરસિમ્હારાવની સરકારના નાણાં મંત્રી ડો. મનમોહન સિંહે આર્થિક નીતિઓના ખૂબ મોટા પરિવર્તનનો પાયો નાખનારું બજેટ આપ્યું. આમ તો બજેટ આવનારા વર્ષના આવક-ખર્ચના અંદાજો રજૂ કરે છે પણ 1991 ના બજેટમાં આવનારા ભારતની આર્થિક સામાજિક રાજકીય સ્થિતિ બદલી નાખે તેવા મુદ્દા સામેલ હતા. સ્વતંત્ર ભારતે મિશ્ર અર્થતંત્ર સ્વીકાર્યું અને ખાનગી ક્ષેત્રની સાથે જાહેર ક્ષેત્રના વિકાસ માટે આયોજન પંચની રચના કરી. પંચવર્ષિય યોજના દ્વારા વિકાસ કરવાનું વિચાર્યું.

સામાન્ય રીતે ભારતના આર્થિક સામાજિક વિશ્લેષકો એવું માને છે કે ભારતમાં 1991 સુધી અર્થતંત્ર સમાજવાદ તરફ ઢળેલું રહ્યું તેને માટે નહેરુનું સમાજવાદી દર્શન જવાબદાર છે. પણ ઐતિહાસિક તથ્યો કંઇક જુદું જ કહે છે. એક તો ખેતી પ્રધાન ભારતમાં ખેતી હંમેશા મુકત રહી છે અને ખેતીના આર્થિક નિર્ણયો પણ ખાનગી સાહસોની જેમ જ લેવાયા છે. માત્ર સંદેશા વ્યવહાર, રેલ્વે કે પાયાના ઉદ્યોગો સરકાર હસ્તકના રહ્યા હતા. હા, ખાનગી ક્ષેત્રનો વિકાસ નહોતો થયો પણ એનું કારણ દેશમાં ખાનગી મૂડીરોકાણની અછત હતી. હા વિદેશ વ્યવહાર, વિદેશ મૂડી અને હુડિયામણ દર સરકારથી નિયંત્રિત હતો.

ભારતમાં અર્થતંત્ર પર સરકારનો ખરો કાબૂ તો ઇન્દિરા ગાંધીના શાસનમાં થયો છે. બંધારણના અંદરના ભાગમાં હતો એ ‘સમાજવાદ’ શબ્દ આમુખમાં ઇન્દિરા ગાંધીના સમયમાં લાવવામાં આવ્યો અને મિશ્ર અર્થતંત્ર ખરેખર સમાજવાદ તરફ ઇન્દિરા ગાંધીના શાસનમાં ઢળ્યું! 1979 માં બેંકોનું રાષ્ટ્રિયકરણ થયું ત્યાં સુધી વેપારી બેંકો ખાનગી જ હતી. શિક્ષણ સંસ્થાઓ સરકારી હતી તો સાથે ટ્રસ્ટ દ્વારા ચાલતી ખાનગી શાળા કોલેજો પણ હતી. જયાં શિક્ષક અધ્યાપકને પગાર પણ ખાનગી ટ્રસ્ટ આપતા! ખાણો ખોદવાથી માંડીને રસ્તા બાંધવા સુધીના કોન્ટ્રાકટ ખાનગી ઇજારદારોને અપાતા. ભારતના બંધારણ મુજબ ઘણી જવાબદારી રાજયોની હતી એટલે રાજયોમાં સ્થિતિ સ્થાનિક લેવલે જુદી જુદી હતી. વિદેશી વસ્તુઓ તો ભારતમાં વેચાતી જ હતી. પછી તેના પર આયાત ડયુટી નાખીને મોંઘી કરવાનું ચલણ વધ્યું હતું.

આમ તો પ્રાથમિક ઉદારીકરણ 1966 માં શરૂ થયેલું. રૂપિયાનું અવમૂલ્યન થયેલું. 1980 પછી રાજીવ ગાંધીના વડાપ્રધાન બન્યા પછી ઉદારીકરણ અને ખાનગીકરણની અંશત: શરૂઆત થવા લાગી. વિદેશ વ્યાપાર વધારવો, ચલણનું અવમૂલ્યન કરવું. વિદેશી મૂડી સ્વીકારવી, વિજ્ઞાન અને ટેકનોલોજીનો વ્યાપ વધારવો શરૂ થયો હતો. પણ ઇન્દિરા ગાંધીના શાસનમાં વચ્ચે ચાર-પાંચ વર્ષ એવું લાગ્યું કે જાણે ભારતમાં તમામ આર્થિક ગતિવિધિઓનું ‘રાષ્ટ્રિયકરણ’ થવા લાગશે. શિક્ષણ, બેંકીંગ, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, મોટા પાયાના ઉદ્યોગો, નાણું, ઓઇલ બધું જ સરકાર હસ્તક હતું. વિદેશી મૂડી સરળતાથી આવી શકતી ન હતી. વિદેશી વસ્તુઓ સરળતાથી વેચી શકાતી ન હતી. દેશના જ ખાનગી સાહસિકો, ઉદ્યોગકારો કેટલાંક ચોક્કસ ક્ષેત્રોને બાદ કરતા મૂડી રોકાણ કરી શકતા ન હતા.

પહેલાં ઇન્દિરા ગાંધીની હત્યા. પછી રાજીવ ગાંધીની હત્યા અને ભારતને કોંગ્રેસ તરફથી પ્રથમ વાર ગાંધી પરિવાર સિવાયની વ્યકિત વડાપ્રધાન તરીકે મળી. સ્વ. રાજીવ ગાંધીએ શરૂ કરેલી ઉદારીકરણ અને નવીનીકરણની પ્રક્રિયા આગળ વધારવાનો સમય આવ્યો હતો. આમ તો આપનો ધીમે ધીમે આર્થિક નીતિ બદલતા પણ આંતરરાજય અર્થશાસ્ત્રમાં આ.રા. રાજકારણ ઉમેરાયું. વૈશ્વિક સંસ્થાઓ પાસે સતત આર્થિક સહાય માંગતા ભારતને હવે શરતોથી બંધાવું પડયું. દુનિયાના વિકસિત રાષ્ટ્રોને નેવું કરોડના ભારતમાં પચ્ચીસ કરોડનો મધ્યમ વર્ગ દેખાયો. આ ખૂબ મોટું બજાર હતું.

આમાંથી દસ ટકા બજાર પણ મળી જાય તો વધતા ઉત્પાદન અને ઘટતી માંગ સામે ઝઝૂમી રહેલા વિકસિત દેશોનાં બજારોને ટેકો મળી જાય! પરિણામે આઇ.એમ.એફ. ડબલ્યુ.ટી.ઓ. જેવી તમામ સંસ્થાઓએ ભારતને આર્થિક નીતિ બદલવાની શરતે મદદ કરવાનું કહ્યું. ભારત સરકારે ભારતમાં ક્રમશ: ઉદારીકરણ અને ખાનગીકરણ દાખલ કરવાના દસ્તાવેજ પર સહી કરી અને વિદેશી નાણાં સંસ્થાઓ તથા આર્થિક સંસ્થાઓએ ભારત કયા માર્ગે આર્થિક સુધારા કરશે તેનો રોડ મેપ પણ આપી દીધો. આપણે આ નક્કી તબક્કાઓને જ આર્થિક સુધારાના તબક્કા કહીએ છીએ.

આપણે સૌ પ્રથમ દેશના ઉત્પાદકો-સાહસિકો માટે દેશમાં ઉત્પાદન અને મૂડીરોકાણના પ્રતિબંધો હટાવવાના હતા, નાની નાની વાતોમાં સરકારી મંજૂરીનું લાયસન્સ રાજ ખતમ કરવાનું હતું ને જયાં લાયસન્સ આપવાં જ પડે ત્યાં લાયસન્સના નિયમો હળવા કરવાના હતા. વિદેશી મૂડીરોકાણને ક્રમશ: અર્થતંત્રનાં તમામ ક્ષેત્રોમાં મંજૂરી આપવાની હતી અને ભારત સરકારે 1991 થી આ શરતોને આધીન આર્થિક કાયદા સુધારવાનું શરૂ કર્યું!

આર્થિક વ્યવસ્થા બદલવા માટે આર્થિક કાયદા બદલવા પડે! અને આપણે 1991 થી આ કાયદા બદલ્યા. હુંડિયામણ સરકાર નક્કી કરતી હતી. આપણે ક્રમશ: તેને બજાર મુજબ નક્કી કરવાનું શરૂ કર્યું. આજે રૂપિયો ડોલર સામે રોજ બદલાય છે. સરકારી નિયંત્રણમાં ક્રુડ-ઓઇલના ભાવ પહેલાં સરકાર બદલતી હવે રોજ બદલાય છે. પહેલાં હોસ્પિટલ, શિક્ષણ, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહારમાં માત્ર સરકાર નિયંત્રિત એજન્સીઓ જ કામ કરતી હવે બધે જ ખાનગી સંચાલકો સેવા પુરી પાડે છે.

આપણે પ્રથમ વરવું બજારને પછી નાણાં કે મૂડી બજારને અને પછી શ્રમ બજારને મુકત કરવાના કાયદા કર્યા છે. આ બદલાયેલા કાયદાઓએ ભારતની આર્થિક સામાજિક સિકલ બદલી નાખી છે. આપણે એવું જાણીએ છીએ કે અંગ્રેજોની પ્રપંચભરી નીતિને કારણે ભારત સ્વતંત્ર થયું ત્યારે ત્રણ ભાગમાં વહેંચાયું. આપણને રાજકીય ભાગલા સમજાય છે. કારણ કે તે ભૌગોલિક હતા. પણ 1991 ની બદલાયેલી આર્થિક નીતિએ આપણાં સામાજિક આર્થિક ભાગલા પાડયા છે તે આપણને સરળતાથી સમજાતા નથી.

દેશના સમાજવાદી મોડલમાં સમાજના એક વર્ગની આવક તો સતત વધતી જ હતી. જેઓ શાળા કોલેજોના ટ્રસ્ટ ચલાવતા, જેઓ રાજકીય- સામાજિક આગેવાની ધરાવતા, જેઓ સરકારી એજન્સીઓના કોન્ટ્રાકટ અને ઇજારા મેળવતા… આવા અનેક લોકોની આવક તો વધતી જ હતી. પણ સમાજવાદી મોડલને કારણે સામુહિક સેવાઓનું ખાનગીકરણ ન થયું હોવાથી બધા જ આ સેવાના વપરાશમાં સામાન્ય નાગરિકની સાથે હતા. સૌએ બાળકોને સરકારી કે ગ્રાન્ટેડ શાળામાં જ ભણાવવા પડતા. ઇમરજન્સી સિવાય વાહન વ્યવહાર માટે સરકારની બસો જ હતી. સામાન્ય આરોગ્ય માટે તો સરકારી હોસ્પિટલ જ હતી.

નાત-જાત-ધર્મ-ભાષા વગેરે અનેક ભેદ વચ્ચે ઉછરતા આપણે શાળાના વર્ગના, સરકારની બસમાં, સિનેમાના હોલમાં કે દવાખાનામાં સાથે જ હતા. માટે જ આપણને સૌને એકબીજાનો પરિચય તો અને સામાન્ય પ્રજાની પીડાતી મોટા વર્ગને પણ ખબર હતી. પણ, 1991 એ આપણા આર્થિક ભાગલા પડયા. આપણે હિન્દુ-મુસલમાન હતા. પણ હવે તો ધનિક મુસલમાન અને ગરીબ મુસલમાન થયા.એસ.સી. એસ.ટી.માં પણ ધનિક ગરીબ અને હિન્દુઓમાં પણ ધનિક ગરીબના ભાગ પડયા.

સમાજનો એક ધનિક બોલકો વર્ગ, આગેવાન વર્ગ, આગેવાની લઇને બોલે એવો વર્ગ જુદો પડી ગયો. હવે એ મલ્ટિપ્લેકસમાં ફિલ્મ જુએ છે. ખાનગી શાળામાં બાળક ભણાવે છે. પોતાના વાહનમાં મુસાફરી કરે છે. દરેક સામુહિક બાબતોમાંથી તે જુદો થઇ ગયો છે. ડો. મનમોહનસિંહની વાત સાચી છે કે ઉદારીકરણનાં ત્રીસ વર્ષ પછી ભારત ગંભીર પરિસ્થિતિ તરફ આગળ વધી રહ્યો છે. પણ આ ‘ગંભીર સ્થિતિ’ વિષેના અર્થ સૈાના જુદા છે. 1991 માં આ દેશના બીજા ભાગલા પડયા છે. કારણ આપણે જુદા હતા અને સમાજવાદી મોડેલે આપણને પરાણે ભેગા રાખ્યા હતા. ખાનગીકરણે આપણને આપણાં જ ગરીબ-પછાત લોકોથી જુદા થવાની તક આપી. જે આપણે સહર્ષ સ્વીકારી લીધી છે. -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top