Vadodara

લગ્નની લાલચ આપી સગીરા પર બળાત્કાર કરનાર કિશોર ઝડપાયો

વડોદરા : માણેજા વિસ્તારમાં રહેતા સગીર પ્રેમીએ સગીર પ્રેમિકાને લગ્નની લાલચ આપીને વારંવાર બળાત્કાર ગુજારવાની ફરિયાદ મકરપુરા પોલીસ મથકે નોંધાતા ચકચાર મચી ગઈ હતી. આજના હાઈ ટેકનોકેટના જમાનામાં સગીર વયના કિશોર-કિશોરીઓના માનસ પર છવાઈ ગયેલા મોબાઈલની કેટલીક અવળી અસરના પગલે યુવાનના પ્રથમ પગથિયે જ યુવતીઓનું યૌવન નંદવાઈ જાય છે. સમાજ માટે લાલબત્તી સમાન શર્મસાર કિસ્સો માણેજા વિસ્તારમાં બન્યો હતો. નજીકની જ સોસાયટીઓમાં રહેતા સગીર યુવક અને તરૂણી મોબાઈલના ફેસબુક આધારે સંપર્ક થયો હતો.

16 થી 17 વર્ષની વયના બંને ચેટીંગની મજા માણતા માણતા પ્રેમમાં પડી ગયા હતા. યુવાનીના ઉંબરે પગ મૂકતા પૂર્વે તો બંને પ્રેમી-પંખીડા ગળાડૂબ પ્રેમમાં પડીને જાહેર સ્થળો પર હરવા ફરવા સમાજના બંધનોની પરવા કર્યા વિના જાહેરમાં જોવા મળતા હતા. મધ્યમ વર્ગીય પરિવારનો સગીર યુવક અભ્યાસ અધૂરો છોડી ખાનગી કંપનીઓમાં છુટક મજૂરી કરે છે. જ્યારે યુવતીની માતા ઘરકામ કરે છે જ્યારે પિતા નિવૃત્ત જીવન ગુજારે છે. પરિવારજનોની પરવા કર્યા વિના બંને સગીર પ્રેમીઓએ લગ્ન કરીને સાથે જ આયખુ વિતાવવાના કોલ આપતા કિશોરી લાગણીવશ પ્રેમીના વશમાં આવી ગઈ હતી. સગીરે લગ્નની લાલચ આપીને તેણીને હોટલમાં લઈ જઈને ઈચ્છા વિરુદ્ધ વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો.

પ્રેમમાં પાગલ બની ચૂકેલા પ્રેમી-પંખીડા પરિવારજનોને જાણ કર્યા વગર પલાયન થઈ જતા હોબાળો મચી ગયો હતો. સગીર યુવતીના પરિવારે મકરપુરા પોલીસને અપહરણની ફરિયાદ કરતાં જ પોલીસ એકશનમાં આવી ગઈ હતી. પ્રેમ-પ્રકરણનો મામલો પોલીસના હાથમાં આવ્યો હતો. સતત સગીર આશ્રયસ્થાનો અને લોકેશન ટ્રેસ કરતાં પ્રેમી-પંખીડાઓની ભાળ મળી આવી હતી. તરૂણીએ પોલીસ સમક્ષ જણાવેલ કે, પ્રેમીએ તેની ઈચ્છા વિરુદ્ધ બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસે ગુના આધારે વધુ તપાસ હાથ ધરી હતી. સગીરાનું મેડિકલ પરીક્ષણ પણ કરાવવામાં આવ્યું હતું. જ્યારે નરાધમ પ્રેમીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Most Popular

To Top