SURAT

ઘૂંટણના ઓપરેશન બાદ પણ દર્દી પલાંઠી વાળી શકે તેવી ટેક્નિકથી સુરતની હોસ્પિટલમાં ઓપરેશન કરાયું

સુરત: સામાન્ય રીતે ઘૂંટણનું ઓપરેશન કર્યા બાદ દર્દી લાંબો સમય સુધી સામાન્ય જીવન જીવી શકતા નથી. દર્દીને ચાલવા, પલાંઠી વાળવામાં તકલીફ પડતી હોય છે. પરંતુ દક્ષિણ ગુજરાતમાં પહેલીવાર સુરતની હોસ્પિટલમાં એક એવી પદ્ધતિથી ઘૂંટણની સર્જરી કરવામાં આવી છે કે જેના લીધે દર્દી ખૂબ ઓછા સમયમાં ફરી સામાન્ય જીવન જીવવા લાગે છે અને તેને પલાંઠી વાળવામાં પણ કોઈ તકલીફ પડતી નથી તેવો દાવો તબીબોએ કર્યો છે.

દક્ષિણ ગુજરાતમાં પહેલીવાર સુરતના શેલ્બી હોસ્પિટલમાં ટેક્સપ્લાસ્ટી એ વિટામીન ઇ પોલી સાથે પાર્શીયલ ની રિપ્લેસમેન્ટ સર્જરી કરવામાં આવી છે. ટેક્સપ્લાસ્ટી એ વિટાીન ઈ પોલી એ ઘૂંટણની આંશિક સર્જરીનો નવો પ્રકાર છે. શેલ્બીના સિનિયર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન ડૉ. મનુ શર્મા દ્વારા આ સર્જરી કરવામાં આવી હતી. ટેક્સપ્લાસ્ટી એ ની રિપ્લેસમેન્ટની એક ક્રાંતિકારી ટેકનિક છે. પરંપરાગત પાર્શીયલ ની રિપ્લેસમેન્ટ સર્જરીની તુલનામાં તેના વિશિષ્ટ ફાયદા છે. પરંપરાગત પાર્શીયલ ની રિપ્લેસમેન્ટ યુનિકમ્પાર્ટમેન્ટલ ની રિપ્લેસમેન્ટ, યુનિકોન્ડીલર ની રિપ્લેસમેન્ટ અને માઇક્રોપ્લાસ્ટી જેવા વિવિધ નામો દ્વારા ઓળખાય છે.

ટેક્સપ્લાસ્ટીમાં ઉપયોગમાં લેવાતા વિટામીન ઇ પોલી જોઈન્ટ ઈમ્પ્લાન્ટના આયુષ્યમાં ઘણો વધારો કરે છે. કારણ કે તેમાં ધસારાનો દર બહુ ઓછો હોય છે. ઘૂંટણના માત્ર એક ભાગને નુકસાન થયું હોય અને તેના રિપ્લેસમેન્ટની જરૂર પડે ત્યારે ટેક્સપ્લાસ્ટી એ આદર્શ સર્જરી છે. તે પાર્શીયલ (આંશિક) ઘૂંટણ રિપ્લેસમેન્ટ સર્જરીનો એકમાત્ર પ્રકાર છે જે ભારતમાં વિટામિન ઇ પોલી નો ઉપયોગ કરે છે.

60 વર્ષના દર્દી સવિતાબેન કોરીંગાનો કેસ એ ટેક્સપ્લાસ્ટી માટે એક આદર્શ કેસ હતો. કારણ કે તેમને ડાબા ઘૂંટણના માત્ર એક ભાગને નુકસાન થયું હતું. શેલ્બી હોસ્પિટલ્સના સિનિયર જોઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જન ડો. મનુ શર્માએ દક્ષિણ ગુજરાતમાં પ્રથમ ટેક્સપ્લાસ્ટી કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે, “સવિતાબેનના ઘૂંટણને મર્યાદિત નુકસાન થયું હતું અને તેથી અમે તેમના કેસમાં ટેક્સપ્લાસ્ટી કરવાનું નક્કી કર્યું હતું. ટેક્સપ્લાસ્ટીમાં તાહો યુનિકોન્ડીલર ની સિસ્ટમ ઇમ્પ્લાન્ટનો ઉપયોગ થાય છે. તેને વિસ્તૃત રિસર્ચ અને ડેવલપમેન્ટના પ્રયાસોથી શેલ્બી એડવાન્સ ટેક્નોલોજીના ઇમ્પ્લાન્ટ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં વિકસાવવામાં આવ્યું હતું.

અમેરિકાના વિખ્યાત જોઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જનોએ આ અનોખા જોઈન્ટ ઇમ્પ્લાન્ટ વિકસાવવા માટે ઈમ્પ્લાન્ટ ડેવલપર્સ સાથે સહયોગ કર્યો હતો. તેના ઘણા વધારાના ફાયદા પણ છે, જેમ કે તેમાં ઘણો નાનો ચીરો મુકવો પડે છે, બહુ ઓછા સમય માટે હોસ્પિટલમાં રહેવું પડે છે. હાડકાંનો ન્યૂનતમ ભાગ દૂર કરાય છે.

ઘૂંટણના સ્વસ્થ ભાગોમાં કોમલાસ્થિ અને અસ્થિબંધનનું જતન થાય છે, ઓછામાં ઓછો બ્લડ લોસ, ઝડપી સાજા થવું, ચેપ લાગવાનો કે લોહીના ગંઠાવાનું ઓછામાં ઓછું જોખમ રહે છે અને સર્જરી પછી ઝડપથી રિકવરી આવે છે. દર્દી લગભગ એક સપ્તાહમાં સક્રિય જીવનશૈલી માણી શકે છે. ભારતમાં તેનો એક અલગ ફાયદો એ છે કે આ સર્જરી પછી લોકો પલાંઠી વાળીને બેસી શકે છે જ્યારે ટોટલ ની રિપ્લેસમેન્ટ સર્જરીમાં આવું કરવું સલાહભર્યું નથી.

સવિતાબેન કહે છે, હું ડૉ. મનુ શર્માએ કરેલી સર્જરીના પરિણામથી ખુબ જ ખુશ છું. મારી રિકવરી ખૂબ જ ઝડપી હતી અને મને એ વાતનો આનંદ છે કે આ સર્જરી દ્વારા મારા ઘૂંટણના માત્ર ક્ષતિગ્રસ્ત ભાગને જ બદલવામાં આવ્યો.

શેલ્બી હોસ્પિટલ, સુરતના ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર ડૉ. સુપ્રિયો સરકારે જણાવ્યું કે, ઘૂંટણનો અસ્થિવા (ની ઓસ્ટીયોઆર્થરાઇટિસ) એ ઘૂંટણના સાંધા થયેલા નુકસાનનું સૌથી સામાન્ય કારણ છે. ઑસ્ટિઓઆર્થરાઇટિસના ગંભીર કેસોમાં ઘૂંટણના સંપૂર્ણ રિપ્લેસમેન્ટની જરૂર પડે છે, જ્યારે મધ્યમ કિસ્સામાં આંશિક ઘૂંટણ રિપ્લેસ કરવામાં આવે છે. ટસપ્લાસ્ટી એ એવા લોકો માટે એક આદર્શ સર્જરી છે જેમને પાર્શીયલ ની રિપ્લેસમેન્ટ ની જરૂર છે કારણ કે તે વિટામીન ઇ પોલીના ઉપયોગથી લાંબું આયુષ્ય આપે છે. આ ઉપરાંત, તે નુકસાન વગરના હાડકાને પણ સાચવે છે.

Most Popular

To Top