Columns

યુજીસીના નવા નિયમો લાવવા પાછળનો હેતુ ઓબીસીની મતબેન્કને રાજી કરવાનો હતો

સુપ્રીમ કોર્ટે ગુરુવારે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) ના નવા નિયમો પર રોક લગાવતાં કહ્યું કે તેમની જોગવાઈઓ પહેલી નજરે અસ્પષ્ટ લાગે છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે આ નિયમોનો દુરુપયોગ થવાની સંભાવના છે, તેથી નિષ્ણાતોની સમિતિ તેમની ખામીઓને દૂર કરવા પર વિચાર કરી શકે છે. ભાજપના ઘણા નેતાઓએ જણાવ્યું છે કે સરકાર કોર્ટના નિર્ણયનું પાલન કરશે.

સુપ્રીમ કોર્ટે નવા નિયમો પર રોક લગાવી દીધી હોવા છતાં આ મુદ્દો ગંભીર ચર્ચાનો વિષય રહ્યો છે. સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ નિયમો લાવવા પાછળ સરકારનો હેતુ શું હતો? બહુજન સમાજ પાર્ટીનાં સુપ્રીમો માયાવતીએ પણ કોર્ટના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો અને કહ્યું કે નવા નિયમો લાગુ થયા પછી સામાજિક તણાવનું વાતાવરણ વિકસિત થયું હતું. X પરની તેમની પોસ્ટમાં તેમણે લખ્યું કે જો UGC એ નવો નિયમ લાગુ કરતાં પહેલાં તમામ પક્ષોને વિશ્વાસમાં લીધા હોત અને કુદરતી ન્યાય મુજબ તપાસ સમિતિ વગેરેમાં ઉચ્ચ જાતિના સમુદાયને યોગ્ય પ્રતિનિધિત્વ આપ્યું હોત તો આ બાબતમાં સામાજિક તણાવ વગેરેની પરિસ્થિતિ ઊભી ન થાત.

હકીકતમાં, ગયા વર્ષે માર્ચમાં યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશને યુનિવર્સિટી કેમ્પસમાં જાતિ આધારિત ભેદભાવની ફરિયાદો અંગે સંસદીય શિક્ષણ સમિતિને માહિતી આપી હતી. એવું નોંધાયું હતું કે ૨૦૧૯-૨૦ અને ૨૦૨૨-૨૩ વચ્ચે યુનિવર્સિટીઓ અને કોલેજોમાં જાતિ આધારિત ભેદભાવની ફરિયાદોમાં લગભગ ૧૧૮ ટકાનો વધારો થયો હતો. ૨૦૨૦ માં HRD મંત્રાલયે કહ્યું હતું કે ૨૦૧૫ થી ૨૦૧૮ ની વચ્ચે વિવિધ યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં જાતિ આધારિત ભેદભાવના કુલ ૨૯૫ કેસ નોંધાયા હતા. તેની સામે વર્ષ ૨૦૧૯-૨૦માં ૧૭૩ ફરિયાદો નોંધાઈ હતી, જ્યારે ૨૦૨૦-૨૧માં ૧૮૨, ૨૦૨૧-૨૨માં ૧૮૬, ૨૦૨૨-૨૩માં ૨૪૧ અને ૨૦૨૩-૨૪માં ૩૭૮ ફરિયાદો નોંધાઈ હતી. આ ડેટા ૭૦૪ યુનિવર્સિટીઓ અને ૧,૫૫૩ કોલેજોમાંથી એકત્રિત કરવામાં આવ્યો હતો. તો શું આ જ કારણ હતું કે સરકાર નવા નિયમો લાવી?

આ પ્રશ્નના જવાબમાં, પ્રોફેસર અપૂર્વાનંદ કહે છે કે સરકારે નવા નિયમો લાવવા માટે કોઈ અલગ પહેલ કરી ન હતી. આ ઇન્દિરા જયસિંહ અને દિશા વાડેકર (વરિષ્ઠ વકીલ) ની પહેલનું પરિણામ હતું. ૨૦૧૭ માં રોહિત વેમુલાની આત્મહત્યા પછી વેમુલા કાયદાની માંગ કરવામાં આવી રહી છે. તે પહેલાં પણ ૨૦૦૬-૦૭ દરમિયાન AIIMS માં આત્મહત્યા સંબંધિત ઘણી ઘટનાઓ બની હતી, જેના પગલે તત્કાલીન UGC ચેરમેન સુખદેવ થોરાટને શૈક્ષણિક સંસ્થાઓમાં ભેદભાવ સંબંધિત માર્ગદર્શિકા વિકસાવવા સૂચના આપવામાં આવી હતી.

વર્ષ ૨૦૧૨ માં જારી કરાયેલા આ નિયમમાં પ્રથમ વખત શૈક્ષણિક સંસ્થાઓમાં ભેદભાવના તથ્યને ઉજાગર કરવામાં આવ્યું હતું અને કહેવામાં આવ્યું હતું કે કયાં પગલાં દ્વારા તેને રોકી શકાય છે, પરંતુ આ નિયમોનો અસરકારક રીતે અમલ કરવામાં આવ્યો ન હતો. આના કારણે રોહિત વેમુલા અને પાયલ તડવીની માતાઓએ સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરી અને નવા નિયમો રજૂ કરવામાં આવ્યા હતા.રોહિત વેમુલા હૈદરાબાદ યુનિવર્સિટીનો વિદ્યાર્થી હતો, જેણે ૨૦૧૬ માં યુનિવર્સિટી કેમ્પસમાં કથિત જાતિ આધારિત ભેદભાવને કારણે આત્મહત્યા કરી હતી. પુણેની એક મેડિકલ કોલેજની વિદ્યાર્થિની પાયલ તડવીનું ૨૦૧૯ માં આવા જ ભેદભાવને કારણે મૃત્યુ થયું હતું.

વરિષ્ઠ પત્રકાર નીરજા ચૌધરી માને છે કે નવા નિયમો લાવવા પાછળનો હેતુ પણ OBC વર્ગને આકર્ષવાનો હતો. અત્યાર સુધી, શૈક્ષણિક સંસ્થાઓમાં જાતિ ભેદભાવની વ્યાખ્યામાં OBCનો સમાવેશ થતો ન હતો. જો કે, એક સંસદીય સમિતિએ UGC ને આ માળખામાં OBC વિદ્યાર્થીઓનો સમાવેશ કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ પછી, નવા નિયમોમાં જાતિ ભેદભાવની વ્યાખ્યામાં OBCનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આપણી રાજનીતિ ઓબીસીકરણ તરફ આગળ વધી રહી છે. ઓબીસી સમુદાય ઘણો મજબૂત બન્યો છે અને ભાજપની ઓળખની રાજનીતિનો એક મુખ્ય ભાગ છે. તેથી, ઓબીસી સમુદાયનો સમાવેશ કરીને ભાજપ તેનાં કેટલાંક રાજકીય હિતો પ્રાપ્ત કરવા માંગતો હતો. જો સામાન્ય વર્ગનાં વિદ્યાર્થીઓનો ગુસ્સો વધ્યો હોત, તો ભાજપ માટે આ નવી પરિસ્થિતિને સંભાળવી એક પડકારરૂપ બની ગઈ હોત.

ભાજપમાં એવી ચર્ચા હતી કે પાર્ટી વધુ પડતી ઓળખનું રાજકારણ રમી રહી છે, જેના કારણે સામાન્ય જનતાની અવગણના થઈ રહી છે. છેલ્લાં કેટલાંક અઠવાડિયાંથી દેશભરના વિવિધ પ્રદેશો અને યુનિવર્સિટીઓમાં આ નિયમો વિરુદ્ધ વિરોધ પ્રદર્શનો થઈ રહ્યાં છે. એવું માનવામાં આવે છે કે મોટા ભાગના વિરોધ કરનારાં સામાન્ય લોકોમાંથી હતાં. ભાજપ સરકાર ઓબીસીને રાજી કરવા ગઈ તેમાં સવર્ણો નારાજ થઈ ગયાં હતાં, જેને કારણે સરકાર માટે મુસીબત ઊભી થઈ હતી.

 હવે ચાલો, યુજીસીના નિયમોને સમજીએ, જેણે આ વિવાદ ઊભો કર્યો છે. તેને લાવવા પાછળનો હેતુ UGCના ચૌદ પાનાંના નોટિફિકેશનના પાનાં નંબર બે પર સમજાવવામાં આવ્યો હતો. તેમાં જણાવાયું છે કે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં ધર્મ, જાતિ, લિંગ, જન્મસ્થળ અથવા અપંગતાના આધારે ભેદભાવ દૂર કરવા, ખાસ કરીને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો, આર્થિક રીતે નબળા વર્ગો અને અપંગ વ્યક્તિઓ સામે.

આની નીચે, જાતિ આધારિત ભેદભાવની વ્યાખ્યા પણ આપવામાં આવી હતી, જે કહે છે કે જાતિ આધારિત ભેદભાવ એટલે ફક્ત જાતિ અથવા જનજાતિના આધારે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગનાં સભ્યો સામે ભેદભાવ. વાંધો ઉઠાવનારાંઓએ જણાવ્યું હતું કે આ નિયમોનો ઉપયોગ સામાન્ય શ્રેણીનાં વિદ્યાર્થીઓ સામે થઈ શકે છે અને ખોટા આરોપો તરફ દોરી શકે છે. તેઓએ જાતિ આધારિત ભેદભાવની વ્યાખ્યા સામે પણ વાંધો ઉઠાવ્યો હતો.

પ્રોફેસર અપૂર્વાનંદ કહે છે કે શૈક્ષણિક સંસ્થાઓમાં અનામત દ્વારા આવતાં વિદ્યાર્થીઓ સામે ભેદભાવ ઘણી વાર જોવા મળે છે, તેથી તે સ્પષ્ટ છે કે જાતિ ભેદભાવની વ્યાખ્યામાં ફક્ત અનામત શ્રેણીનાં વિદ્યાર્થીઓનો જ સમાવેશ કરવામાં આવશે. આર્થિક રીતે પછાત સામાન્ય શ્રેણીનાં વિદ્યાર્થીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો, પરંતુ વિરોધ કરનારાંઓ આ હકીકતને અવગણી રહ્યાં હતાં. વિરોધનું બીજું કારણ સમાન તક કેન્દ્ર હતું.

હકીકતમાં, આ સૂચનાના ચોથા પાનાં પર ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે યુનિવર્સિટીઓ સમાન તક કેન્દ્રો સ્થાપિત કરશે. તેમનું કાર્ય વંચિત જૂથો માટેની નીતિઓ અને કાર્યક્રમો અસરકારક રીતે લાગુ કરવામાં આવી રહ્યા છે કે કેમ તેનું નિરીક્ષણ કરવાનું હતું. આ સમાન તક કેન્દ્ર હેઠળ, સમાનતા સમિતિ બનાવવાની પણ જોગવાઈ હતી, જે ભેદભાવની ફરિયાદોની તપાસ કરશે. આ સમિતિમાં ઓબીસી, અપંગ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને મહિલાઓના પ્રતિનિધિત્વ અંગે ચર્ચા થઈ હતી.

આવી સ્થિતિમાં, વિરોધ કરનારાંઓએ પ્રશ્ન કર્યો કે સમિતિમાં સામાન્ય વર્ગનું પ્રતિનિધિત્વ કેમ નથી? ભારતીય જનતા પાર્ટીને તેનાં જ કેટલાંક કાર્યકરો અને નેતાઓના વિરોધનો સામનો પણ કરવો પડ્યો હતો. રાયબરેલીમાં ભાજપ કિસાન મોરચાના પ્રમુખ શ્યામસુંદર ત્રિપાઠીએ નવા યુજીસી નિયમોના વિરોધમાં રાજીનામું આપી દીધું હતું. યુપી કોંગ્રેસના પ્રમુખ અજય રાયે કહ્યું કે ભાજપ સત્તામાં રહેવા માટે ભાગલા પાડી રહી છે. પહેલાં તેણે હિન્દુઓ અને મુસ્લિમોના નામે લોકોને લડાવ્યાં અને હવે તે જાતિના આધારે હિન્દુઓને વિભાજીત કરી રહી છે. સુપ્રીમ કોર્ટના નિર્ણયથી આ નવા નિયમોનો વિરોધ કરનારાંઓને થોડીક રાહત
મળી છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top