એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ સુરત એરપોર્ટના વિકાસનો માસ્ટર પ્લાન કર્યો છે. આ નવા માસ્ટર પ્લાન મુજબ સુરતને લિમિટેડ ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવી દેવાશે, કારણ કે આ પ્લાન મુજબ હવે મોટા વિમાનો લઇને કોઇ પણ ઇન્ટરનેશનલ એરલાઇન્સ સુરત પર આવશે નહીં. સુરત એરપોર્ટનો 2047 સુધીનો માસ્ટર પ્લાન મુજબ હાલનો 2905 મીટરનો જ રનવે છે એ પુરતો છે. 2905 મીટરનો રનવેને 3810 મીટરનો કરવા માટે 2004થી 2014 સુધીના સુડાના ડીપીમાં જોગવાઇ હતી અને તે મુજબ જૂરી જમીન સંપાદનની પણ જોગવાઇ હતી તે રદ કરવામા આવી છે.
2047 સુધી રનવેનું કોઇ નવું વિસ્તરણ થશે નહી. જેથી વધારાની જમીન પણ સંપાદન કરાશે નહી. માટે અત્યારે એરપોર્ટ જેટલુ છે એટલા જ પરિસરમાં વિકાસના કામો થશે. 2016થી ખજોદથી આભવા સુધીની જમીનો એરપોર્ટ વિસ્તરણ માટે રિઝર્વેશન મૂકી હતી તે રિઝર્વેશન હટાવી લેવામાં આવશે. રિઝર્વમાં મુકેલી જમીનો છુટી થઇ જશે. 2047 સુધીના એરપોર્ટ માટે વિકાસ પ્લાનમાં અનેક રૂડા-રૂપામાં પ્રોજેક્ટ્સના સપના દેખાડાયા છે પણ પૂર્ણ આંતરરાષ્ટ્રીય કનેકટીવીટી માટે જરૂરી રનવે કે ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડીંગ સીસ્ટમનો ઉલ્લેખ થયો જ નથી. સુરતના કલેકટરને મોકલાવેલ માસ્ટર પ્લાનમાં સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ માટેના વિસ્તરણનો કોઇ ઉલ્લેખ છે જ નહી. હવે જે જમીનો છુટી થશે ત્યાં બિલ્ડરો મોટા-મોટા પ્રોજેક્ટો શરૂ કરી દેશે. હવે શહેરના તમામ હોદ્દેદારો તથા સુરતના અગ્રગણ્ય નાગરિકો સૌએ ભેગા મળી આ અન્યાય સામે જોરદાર રજૂઆત કરવી પડશે.
યુએસએ – ડો. કિરીટ એમ. ડુમસિયા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.