કાપડ ઉદ્યોગમાં કામ ઓછું અને યુપીની ચૂંટણીને પગલે કામદારોનું સુરતથી પલાયન શરૂ

સુરત: (Surat) કોરોનાની (Corona) ત્રીજી લહેરનો (Third Wave) ભય ઉપરાંત એક સાથે અનેક કારણોસર સુરતની ડાઈંગ-પ્રિન્ટિંગ, પ્રોસેસિંગ મિલો (Textile Mills) અને પાવરલૂમ કારખાનાઓમાં (Weaving Units) કામ કરતા મૂળ ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) કામદારો (Workers) ટ્રેનમાં (Train) વતને જઈ રહ્યાં છે. જાણકારો કહે છે કે દક્ષિણ અને ઉત્તર ભારતમાં (South And North India) કોરોનાની ત્રીજી લહેરની ઇફેક્ટ (Effect) સુરતના કાપડ ઉદ્યોગ (Textile Industry) પર પડી છે. કાપડની ડિમાન્ડ (Demand) નથી. બીજી તરફ સુરતની કાપડ મિલો અને વિવિંગ ખાતાઓમાં કામ ઓછું મળવા સાથે યુપીની ચૂંટણીઓ (UP Elections) જાહેર થતા ધીમી ગતિએ કામદારોનું પલાયન (Escape) શરૂ થયું છે.

  • જાન્યુઆરીનો પગાર લીધા બાદ કારીગરો વતન જવા માંડ્યા, ઓડિશાના કામદારોનું પણ પલાયન
  • ડાઈંગ-પ્રિન્ટિંગ મિલો મહિનામાં 12 દિવસની રજા રાખે છે. 18 દિવસના પગારમાં રૂમ ભાડું અને ભોજનનો ખર્ચ પરવડતો નથી
  • દક્ષિણ-ઉત્તર ભારતમાં કોરોનાની ત્રીજી લહેર અને જીએસટીની ઇફેક્ટ સુરતના કાપડ ઉદ્યોગ પર પડી

ઇનટુકના પ્રદેશ મહામંત્રી કામરાન ઉસ્માની કહે છે કે દેશમાં કોરોનાની ત્રીજી લહેરને લીધે ડિમાન્ડ નહીં હોવાથી ડાઈંગ-પ્રિન્ટિંગ મિલો મહિનામાં 12 દિવસની રજા રાખે છે. 18 દિવસના પગારમાં રૂમ ભાડું અને ભોજનનો ખર્ચ પરવડતો નથી, યુપીની ચૂંટણીમાં ખાવા-પીવાની સુવિધાઓ સાથે પ્રચાર ખર્ચ મળતો હોવાથી કારીગરો વતને જઈ રહ્યાં છે. કેટલાક લગ્નસરાની સિઝન અને ખેતીના કામો માટે પણ વતન જઈ રહ્યાં છે. કેટલાક ચેનલોમાં સુરતની પરિસ્થિતિના હેવાલોથી ડરીને જઈ રહ્યાં છે.

જોકે વતને જઈ રહેલા કામદારોની સંખ્યા 10 થી 15 ટકા જેટલી જ રહેશે. કારણકે કોરોનાની બીજી લહેર પછી યુપીના ગામોમાં કોઈ ખાસ કામ નહીં બચતા 20 ટકા નવા યુવાન કામદારો પણ સુરત આવ્યાં હતાં. કામદારોની સંખ્યા વધી જતાં ઘણાને કામ મળ્યું ન હતું. તેથી ઉદ્યોગમાં કામદારોની કોઈ મોટી અછત સર્જાશે નહીં.

માર્ચમાં હોળીના તહેવારને લઈ વતન જતાં કામદારો આ વર્ષે જાન્યુઆરીમાં જવા લાગ્યા
ટેક્સટાઇલ લેબર યુનિયનના અગ્રણી ઉમાશંકર મિશ્રાએ જણાવ્યું હતું કે, કાપડ ઉદ્યોગમાં મંદી છે, કામદારોને પૂરતું કામ મળી રહ્યું નથી. માર્ચ સુધી સ્થિતિ સુધરે તેવું લાગતું નથી તેથી યુપીની ચૂંટણી, ખેતી અને લગ્નસરાની સીઝનના કામ માટે કેટલાક કામદારો વતને જઈ રહ્યા છે. જોકે મોટાપાયે પલાયન જણાતું નથી.

ગુજરાતમાં લગ્ન સમારોહની મર્યાદા 150 કરાતા કામદારોમાં ભયનો માહોલ ઉભો થયો છે. ગામડામાં ગુજરાન થઈ શકે તેવા પરિવારો જ જઈ રહ્યા છે. ટેક્સટાઇલ માર્કેટના અગ્રણી શાન ખાને કહ્યું હતું કે 12 ટકા જીએસટીને લીધે દિવાળી પછી કાપડનો વેપાર ઠપ્પ થયો હતો. હવે કોરોનાની ત્રીજી લહેરને લીધે ડિમાન્ડ નથી. કામ નહીં મળે તો કારીગર રોકાશે નહીં. યુપીની ચૂંટણી જાહેર થયા પછી વતને જનારાઓની સંખ્યા વધી છે. ટ્રેન ભરીને લોકો જઈ રહ્યા છે. કારણકે વિવિંગ એકમોની સાથે ડાઈગ પિન્ટીંગ મિલોમાં કામ ઘટી ગયું છે.

પાંડેસરા વિવર્સ સોસાયટીના અગ્રણી વિમલ બેકાવાલા કહે છે કે 10 જાન્યુઆરીએ કારીગરોને પગાર ચૂકવાયો તે પછી પાવરલૂમમાં સંખ્યા ઘટી રહી છે. માત્ર યુપી નહીં બિહાર, ઓડીશાના કામદારો પણ વતને જઇ રહ્યાં છે. સામાન્ય રીતે , દર વર્ષે માર્ચમાં હોળી બાદ કારીગરો વતન જતાં હોય છે પણ આ વખતે વહેલા જઈ રહ્યાં છે.

Most Popular

To Top