SURAT

સુરતમાં કોરોનાના નવા સ્ટ્રેનને લઇને તંત્ર ચિંતા અને મૂંઝવણમાં, જાણો કેમ?

સુરત (Surat): દેશમાં ટૂંક સમયમાં કોરોના રસીકરણ (Corona Vaccination) કાર્યક્રમ શરૂ થવાનો છે. લોકોનું અને સરકારનું ધ્યાન હાલમાં રસીકરણ કાર્યક્રમ પર છે. આજે અને આવતીકાલે ઉત્તર પ્રદેશ (UP) અને હરિયાણા (Haryana) સિવાય દેશના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના દરેક જિલ્લામાં ફરી કોરોના રસીકરણનો ડ્રાય રન યોજાશે જેથી રસીકરણની પ્રક્રિયાનું અસરકારક આયોજન અને વ્યવસ્થાપન થઈ શકે. આ બધાની વચ્ચે લોકોમાં કોરોનાનો ભય ભલે ઓછો થઇ ગયો હોય પણ કોરોનાના નવા પ્રકારનો (New strain of Corona, UK) ભય હવે તોળાઇ રહ્યો હોય એવુ લાગે છે.

બ્રિટનમાંથી (Britain/UK/London/England) મળી આવેલા કોરોનાના નવા સ્ટ્રેનના કારણે દેશ સહિત સુરતમાં પણ ચિંતાઓ વધી છે. જણાવી દઇએ કે સુરતમાં યુકેથી આવેલા 7 દર્દીઓ કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. દેશમાં યુકેથી આવેલા કોરોના પોઝિટિવ દર્દીઓના સેમ્પલ્સ પૂણેની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વિરોલોજી (National Institute of Virology, Pune) માં મોકલવામાં આવે છે. સુરતના આ 7 દર્દઓના નમૂના પણ પૂણેની આ સંસ્થામાં મોકલવામાં આવ્યો છે. પણ હજી સુધી તેમના રિપોર્ટ ન આવતા તંત્ર ચિંતામાં મૂકાયુ છે.

બીજી તરફ તમામ દર્દીઓની તબિયત પહેલા કરતા વધુ સારી છે અને હાલમાં તેઓ સ્વસ્થ હોવાનું પણ કહેવાઇ રહ્યું છે. આ જોતા સુરતમાં કોરોનાના નવા સ્ટ્રેનને લઇને તંત્ર ચિંતા અને મૂંઝવણમાં છે. સુરતમાં હજીરાથી આવેલા ત્રણ દર્દીઓ તેમજ કામરેજથી આવેલા ચાર દર્દીઓમાં કોરોનાના નવા સ્ટ્રેન હોવાની શંકા છે. હાલમાં તો તેઓની ટ્રાવેલ હિસ્ટ્રી તપાસીને તાત્કાલિક સારવાર માટે સુરતની નવી સિવિલ કોવિડ હોસ્પિટલના 10માં માળે દાખલ કરવામાં આવ્યા છે.

તેઓના સંપર્કમાં આવેલા વ્યક્તિઓને પણ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. સુરતમાં દર્દીઓની સારવાર કરતા ડોક્ટરોના કહેવા પ્રમાણે દાખલ 7 દર્દીઓના સેમ્પલો લઇને પુણેની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. પરંતુ પુણેમાં જે લેબોરેટરી છે તેમાં સમગ્ર દેશભરમાંથી સેમ્પલો ટેસ્ટિંગ માટે આવે છે. અને તે સેમ્પલનો રિપોર્ટ આવતા સમય લાગી જાય તેમ છે.

હાલમાં આવા સમયમાં જે દર્દીઓ દાખલ છે તેઓને પ્રાથમિક સારવાર કરીને જ તેઓ સાજા થઇ જાય તેવું પણ છે. પુણેની લેબોરેટરીમાં તમામ દર્દીઓના સેમ્પલો મોકલ્યાને સાત દિવસ જેટલો સમય થઇ ગયો છે પરંતુ હજુ સુધી કોઇપણ દર્દીનો રિપોર્ટ આવ્યો નથી. પુણેની લેબોરેટરીમાં સમગ્ર દેશભરમાંથી સેમ્પલો ટેસ્ટિંગ થતાં હોવાથી સમય જઇ રહ્યો છે. બીજી તરફ સુરતની કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવતા નોડલ ઓફિસર ડો. અમિત ગામીના જણાવ્યા પ્રમાણે તમામ દર્દીઓની તબિયત પહેલા કરતા વધુ સારી છે, હવે પુણેથી ક્યારે રિપોર્ટ આવે છે તેની ઉપર નજર છે. હાલ તો તમામ પહેલા કરતા સ્વસ્થ છે અને વહેલી તકે સારા પણ થઇ જશે. જણાવી દઇએ કે દેશમાં યુકેમાં મળી આવેલા કોરોનાના નવા પ્રકારથી સંક્રમિત દર્દીઓનો આંકડો 73 પર પહોંચી ગયો છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top