SURAT

સુરતમાં આજથી 100 ટકા કેપેસિટી સાથે મલ્ટિપ્લેક્સ સહિતનાં થિયેટરો શરૂ

સુરત: (Surat) ગુજરાત સરકારે સુરત સહિત રાજ્યમાં કોરોનાની સ્થિતિ અંકુશમાં હોવાથી રાત્રિ કરફ્યૂની (Curfew) સમયમર્યાદા ઘટાડી છે. આથી સિનેમા ઘરોના નાઇટ શો ચાલી શકે. રાજ્ય સરકારના જાહેરનામા પ્રમાણે તહેવારોની સિઝનને જોતાં એન્ટરટેઇન્મેન્ટ ઉદ્યોગને રાહત આપવા આવતીકાલે 30 ઓક્ટોબરથી 100 ટકા પ્રેક્ષકો સાથે થિયેટરો (Theater) ખોલવા મંજૂરી આપી છે. અગાઉ 60 ટકા કેપેસીટી સાથે થિયેટરો ખોલવા છૂટ આપી હતી. પરંતુ નબળી ફિલ્મોને (Film) લીધે પ્રેક્ષકો નહીં મળતાં થિયેટરમાલિકો અને ડિસ્ટ્રિબ્યુટરને 200 કરોડથી વધુનું નુકસાન થયાનો અંદાજ છે. સુરતમાં સરેરાશ 60થી વધુ સ્ક્રીન પર એક ડઝનથી વધુ મલ્ટિપ્લેક્સ કાર્યરત છે. પ્રેક્ષકો નહીં મળતાં થિયેટરમાં દર્શાવાતી જાહેરાત, ફૂડ કોટ સહિતને મોટું નુકસાન થયું છે. મલ્ટિપ્લેક્સ સંચાલકો કહે છે કે, દિવાળી વેકેશન દરમિયાન નવી ફિલ્મો રીલીઝ થવા જઇ રહી છે. આ સ્થિતિમાં 100 ટકા પ્રેક્ષકો બેસાડવાની છૂટ્ટી ઇન્ડસ્ટ્રીને રાહત થશે.

આ નવી ફિલ્મો થિયેટરોમાં પ્રેક્ષકો ખેંચી લાવવા મદદરૂપ બનશે
ફિલ્મ ડિસ્ટ્રિબ્યુટર અને મલ્ટિપ્લેક્સ સહિતના થિયેટરમાલિકોની સૌથી મોટી ચિંતા એ છે કે, પ્રેક્ષકો થિયેટરમાં મૂવી જોવા આવી રહ્યા નથી. વિતેલા મહિનાઓમાં માંડ 30 ટકા પ્રેક્ષકો સાથે સિનેમાઘરો ચાલ્યાં હતાં. હવે દિવાળી વેકેશન દરમિયાન 5 નવેમ્બરે અક્ષયકુમાર, અજય દેવગન, રણવીરસિંહ, જેકી શ્રોફ, કેટરિના કૈફ, ગુલશન ગ્રોવર, અનુપમ ખેર, અભિનિત મલ્ટિસ્ટારર ફિલ્મ સૂર્વવંશીને લઇ સારી સંભાવના જોવાઇ રહી છે. એ પછી 19 નવેમ્બરે બન્ટી-બબલી-2, 25મીએ સત્યમેવ જયતે અને 26મીએ સલમાનખાન અભિનિત ફિલ્મ અંતિમ મલ્ટિપ્લેક્સમાં પ્રદર્શિત થશે. આ ફિલ્મોને પ્રેક્ષકો કેવો પ્રતિસાદ આપે છે, તેના આધારે આ ઇન્ડસ્ટ્રીનું ભવિષ્ય નક્કી થશે. કારણ કે, ઓટીટી પ્લેટફોર્મ થિયેટરોને મોટી સ્પર્ધા આપી રહ્યું છે.

Most Popular

To Top