Gujarat

શેરડીના શ્રમિકોના લઘુત્તમ વેતનમાં 100 ટકા વધારે કરાયો

ગાંધીનગર: લઘુત્તમ વેતન અધિનિયમ હેઠળ જુદા જુદા ૪૬ વ્યવસાયના લઘુત્તમ વેતનદરોમાં હાલ કુશળ શ્રમિકને કાર્પોરેશન વિસ્તારો તથા નગરપાલિકાઓ અને સ્થાનિક સત્તામંડળ હેઠળના વિસ્તારોમાં માસિક વેતન રૂા.૯,૮૮૭.૮૦/- મળે છે. તેના સ્થાને માસિક વેતન રૂ.૧૨,૩૨૪/- મળશે. આમ થવાથી શ્રમિકના માસિક વેતનમાં રૂા. ૨,૪૩૬.૨૦નો વધારો એટલે કે ૨૪.૬૩ ટકાનો વધારો થશે.

શ્રમ રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂતે કહ્યું હતુ કે, અર્ધ કુશળ શ્રમિકને માસિક વેતન રૂા.૯,૬૫૩.૮૦/- મળે છે. તેના સ્થાને માસિક વેતન રૂ.૧૧,૯૮૬/- મળશે એટલે કે તેમાં રૂ.૨,૩૩૨.૨૦નો માસિક વધારો થશે જે સરેરાશ ૨૪.૧૫ ટકાનો વધારો થાય છે. તે જ રીતે બીન કુશળ શ્રમિકને માસિક વેતન રૂા.૯,૪૪૫.૮૦/- મળે છે. તેના સ્થાને માસિક વેતન રૂ.૧૧,૭૫૨/- મળશે એટલે કે રૂ.૨,૩૦૬.૨૦નો માસિક વધારો થશે જે સરેરાશ ૨૪.૪૧ ટકાનો વધારો થાય છે.

લઘુત્તમ વેતન ધારા હેઠળ શેરડી કાપણી-ભરણીના વ્યવસાય સાથે સંકળાયેલ શ્રમિકો માટે લઘુત્તમ વેતનદરમાં વધારો કરવા માટે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા સૂચિત લઘુત્તમ વેતનના દરો અંગે સંબંધકર્તાઓના વાંધા સૂચન મંગાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. હાલમાં પ્રવર્તમાન દર રૂા.૨૩૮/- પ્રતિ ટન છે. આ જાહેરનામાના અનુસંધાને ખાંડ ઉદ્યોગ તેમજ સહકારી મંડળીઓ દ્વારા ૫(પાંચ) વાંધાસૂચનો મળ્યા હતા તેમજ શ્રમિક મંડળો તરફથી એક વાંધાસૂચન મળ્યું હતું. આ વાંધાસુચનો ઉપર ગુજરાત રાજ્ય લઘુત્તમ વેતન સલાહકાર બોર્ડની ભલામણો મેળવવામાં આવી હતી. આ ભલામણો પર પુખ્ત વિચારણાના અંતે વેતનના દરોમાં ૧૦૦ ટકાનો વધારો કરી ૪૭૬ પ્રતિ ટન કરવામાં આવ્યો છે જેનાથી અંદાજે ૩ લાખથી વધુ લોકોને ફાયદો થશે.

કોર્પોરેશન વિસ્તારો તથા નગરપાલિકાઓ અને સ્થાનિક સત્તામંડળ હેઠળના વિસ્તારો સિવાયના કુશળ શ્રમિકને માસિક વેતન રૂ.૯,૬૫૩.૮૦/- મળે છે તેના સ્થાને માસિક વેતન રૂ.૧૨,૦૧૨/- મળશે એટલે કે તેમાં રૂ.૨,૩૫૮.૨૦નો માસિક વધારો થશે. જે સરેરાશ ૨૪.૪૨ ટકાનો વધારો થાય છે. તે જ રીતે અર્ધ કુશળ શ્રમિકને રૂ.૯,૪૪૫.૮૦/- ના સ્થાને માસિક વેતન રૂ.૧૧,૭૫૨/- મળશે એટલે કે તેમાં રૂ.૨,૩૦૬.૨૦નો માસિક વધારો થશે. જે સરેરાશ ૨૪.૪૧ ટકાનો વધારો થાય છે. તથા બિન કુશળ શ્રમિકને માસિક વેતન રૂ.૯,૨૩૭.૮૦/- મળે છે. તેના સ્થાને રૂ.૧૧,૪૬૬/- મળશે. એટલે કે રૂ.૨,૨૨૮.૨૦નો માસિક વધારો થશે જે સરેરાશ ૨૪.૧૨ ટકાનો વધારો થાય છે.

રાજ્ય સરકાર દ્વારા શ્રમિકોના વેતનમાં સૌ પ્રથમ વખત ૨૫ ટકા જેટલો માતબર વધારો કરાયો છે તેના પરિણામે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે રાજયના અંદાજે ૨ કરોડથી વધુ લોકોને ફાયદો થશે.

Most Popular

To Top