Charchapatra

ઓછું બોલો પણ યોગ્ય બોલો

મેડિકલ સાયન્સ સહિત મનોચિકિત્સકોનું એવું માનવું છે કે, વધુ પ્રમાણમાં એકધારું બડબડ કરનારાં માનસિક રીતે મનોરોગથી પીડિત હોય છે. ખેર, અભ્યાસ મુજબ  પ્રકૃતિએ આપણને કાન તો બે આપ્યા છે પરંતુ જીભ એક જ આપી છે જે તે વાતનો સંકેત કરે છે કે આપણે વધારે સાંભળવું જોઈએ અને ઓછું બોલવું જોઈએ. જેવી રીતે જે ઓછું પણ સારું ખાવું તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે અને બુદ્ધિમાનનું કામ છે તે જ રીતે જો તમે કોઈને સાર ન કહી શકતાં હોય તો તમારે કોઈને ખરાબ કહેવાનો પણ અધિકાર નથી.

આમ પણ વધારે ખાવું અને વધારે બોલવું તે મૂર્ખતાની નિશાની છે.સમજી વિચારીને ન બોલનાર અને વધારે પડતો બકવાસ કરનાર, યોગ્ય વિચાર કર્યા વિના બોલનાર, જે વિષયનું જ્ઞાન ન હોય તે વિષય પ્રત્યે પણ બોલનાર, ખોટું બોલનાર ખાસ કરીને લજ્જાને પાત્ર હોય છે. એટલા માટે મનુષ્યે સમજી વિચારીને બોલવું જોઈએ અને જેટલી આવશ્યકતા હોય તેટલું જ બોલવું જોઈએ.જેવી રીતે કે કોયલ અને કાગડો બંને દેખાવે તો એક જ હોય છે પરંતુ જ્યાં સુધી બોલે નહિ ત્યાં સુધી કંઈ ખબર નથી પડતી કે કોયલ છે કે કાગડો.

એટલે કે જ્યાં સુધી કોઈ વાતચીત ન કરે, બોલે નહિ ત્યાં સુધી તે વ્યક્તિમાં સારા ગુણ છે કે ખરાબ તેની કંઈ સમજ પડતી નથી. ક્યાંય ક્યાંય એવા માણસો પણ હોય છે કે જે ક્યારેય બોલતા નથી અને બોલે પણ છે તો સમજી વિચારીને. આવા સ્વભાવવાળાં માણસોને લજ્જીત નથી થવું પડતું અને પછતાવું પણ નથી પડતું. એટલા માટે ઓછું અને સારું બોલવું જ યોગ્ય છે. અલબત્ત,  એક ઉચ્ચ શિક્ષિત પરિવારનો યુવક ખૂબ જ ઓછું બોલતો હતો અને સવારે પણ ચૂપ જ રહેતો હતો.

કોઈએ તેને પૂછ્યું કે તું ચૂપ કેમ રહે છે તો તેણે જવાબ આપ્યો કે ખોટું અને ખરાબ બોલવા કરતાં ન બોલવું સારું. આપણે જે કંઈ બોલીએ છીએ તે હંમેશ માટે વ્યોમમાં અંકિત થઈ જાય છે. કાગડાની જેમ કા કા કરતાં તો ચૂપ રહેવું સારું. નીતિમાં પણ કહ્યું છે કે- મૂર્ખનું બળ ચૂપ રહેવામાં જ છે અને બુદ્ધિમાન માટે આ શ્રેષ્ઠ અને આવશ્યક ગુણ છે. ગાંધીજીએ સાચું જ કહ્યું છે કે ન ખરાબ સાંભળો, ન ખરાબ બોલો અને ન ખરાબ જુઓ. મૌન રહેવું તે મૂર્ખનું બળ તો છે જ પણ સાથે સાથે વિદ્વાનનું આભૂષણ પણ છે.
સુરત     – સુનીલ રાજેન્દ્ર બર્મન            – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top