National

રામ મંદિરનો મુદ્દો અયોધ્યામાં જ ફેઈલ, ફૈઝાબાદમાં ભાજપ હાર્યું

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024માં સૌથી મોટો મુદ્દો રામ મંદિર નિર્માણનો હતો, પરંતુ પ્રભુ શ્રી રામ પણ નરેન્દ્ર મોદીની નૈયા પાર લગાવી શક્યા નહોતા.

સૌથી આશ્ચર્યની વાત એ છે કે રામ મંદિર જ્યાં બન્યું છે તે અયોધ્યા એટલે કે ઉત્તર પ્રદેશની ફૈઝાબાદ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર લલ્લુ સિંહ ખરાબ રીતે હારી ગયા છે. લલ્લુ સિંહ 40 હજાર મતોથી હાર્યા છે. ફૈઝાબાદની બેઠક પર સમાજવાદી પાર્ટીના ઉમેદવાર અવધેશ પ્રસાદ રાવત જીત્યા છે.

ચૂંટણી દરમિયાન ભાજપે રામ મંદિરના નામે ખૂબ પ્રચાર કર્યો હતો, પરંતુ તે પ્રચારનો લાભ ભાજપને અયોધ્યામાં જ મળી શક્યો નથી. આ બેઠક પર ભાજપની હાર દર્શાવે છે કે જનતાએ રામ મંદિરના મુદ્દાને સ્વીકાર્યો નથી. ફૈઝાબાદના મતદારો ભાજપથી ખુશ નથી.

આ બેઠક પહેલાં સામાન્ય હતી, પરંતુ સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવે આ સીટ પર દલિત ઉમેદવારને મેદાનમાં ઉતારી બાજી પલટી નાંખી હતી. અખિલેશ યાદવનો તે દાવ સાચો ઠર્યો છે. અવધેશ પ્રસાદ 40 હજાર મતોથી જીત્યા છે.

અયોધ્યામાં ભાજપ કેમ હાર્યું?
નિષ્ણાંતોના મતે અયોધ્યાના વિકાસ માટે જાતિના સમીકરણ અને જે રીતે જમીન સંપાદિત કરવામાં આવી હતી તેને લઈને લોકોમાં નારાજગી હતી. આ સાથે કોંગ્રેસનો અનામત અને બંધારણનો મુદ્દો કામ કરી ગયો. આ ઉપરાંત બીએસપીનું નબળું પડવું અને તેની વોટ બેંક એકતરફી ભારત ગઠબંધન તરફ વળવું એ મુખ્ય કારણ હતું કે ભાજપ તેના અગાઉના પ્રદર્શનનું પુનરાવર્તન કરી શક્યું નહીં.

બીજું સૌથી મોટું કારણ એ હતું કે 2017ની વિધાનસભા ચૂંટણીમાં સફળ ન રહેલું કોંગ્રેસ અને સપા ગઠબંધન આ વખતે લોકસભા ચૂંટણીમાં વધુ જોરમાં કામે લાગ્યું હતું. મુસ્લિમ મતો ઈન્ડિયા ગઠબંધનની તરફેણમાં ગયા હતા. આ ઉપરાંત ઈન્ડિયા ગઠબંધન હિન્દુ મતોનું વિભાજન કરવામાં પણ સફળ રહ્યું હતું જેના લીધે ભાજપ જીતથી દૂર રહી ગયું હતું. દલિત મતો, ઓબીસી અને બ્રાહ્મણ અને ઠાકુર મતોથી બીએસપીનો અસંતોષ પણ એક કારણ હતું જેના કારણે ભાજપને મોટો આંચકો લાગ્યો હતો. આ ઉપરાંત મોંઘવારી અને બેરોજગારીનો મુદ્દો પણ કામ કરતો જોવા મળ્યો હતો.

Most Popular

To Top