World

નેપાળમાં યુવાઓનું પ્રદર્શન: સંસદમાં ઘૂસ્યા, સેનાએ ગોળીબાર કર્યો, 16 ના મોત

નેપાળમાં સરકાર વિરુદ્ધ પ્રદર્શન દરમિયાન 16 લોકોના મોત થયા છે. નેપાળ પોલીસે આ વાતની પુષ્ટિ કરી છે. 100 થી વધુ યુવાનો ઘાયલ પણ થયા છે. આ વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ જનરલ-ઝેડ એટલે કે 18 થી 30 વર્ષની વયના યુવાનો કરી રહ્યા છે. સોમવારે સવારે 12 હજારથી વધુ યુવા પ્રદર્શનકારીઓ સોશિયલ મીડિયા પર પ્રતિબંધ અને સરકારી ભ્રષ્ટાચાર વિરુદ્ધ સંસદ ભવનના પરિસરમાં ઘૂસી ગયા હતા, ત્યારબાદ સેનાએ અનેક રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. નેપાળના ઇતિહાસમાં સંસદમાં ઘૂસણખોરીનો આ પહેલો કિસ્સો છે.

અહેવાલ મુજબ પ્રદર્શનકારીઓએ સંસદના ગેટ નંબર ૧ અને ૨ પર કબજો કરી લીધો છે. આ પછી સંસદ ભવન, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પીએમ નિવાસસ્થાન નજીકના વિસ્તારોમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. કાઠમંડુ વહીવટીતંત્રે તોડફોડ કરનારાઓને જોતાં જ ગોળી મારવાનો આદેશ આપ્યો છે.

નેપાળના વિરોધમાં અત્યાર સુધીમાં 16 લોકોના મોત
ટ્રોમા સેન્ટરમાં સારવાર માટે પહોંચેલા 6 લોકોના મોત થયા છે. ટ્રોમા સેન્ટરના ડો. દીપેન્દ્ર પાંડેએ જણાવ્યું હતું કે ત્યાં લાવવામાં આવેલા છ લોકોના જીવ બચાવી શકાયા નથી. તેમણે કહ્યું કે દસ દર્દીઓની હાલત ખૂબ જ નાજુક છે, જેમને માથા અને છાતીમાં ગોળી વાગી છે. આ ઉપરાંત 20 થી વધુ ઘાયલોની સારવાર પણ ચાલી રહી છે. વિરોધ પ્રદર્શનમાં અત્યાર સુધીમાં 16 લોકોના મોત થયા છે.

સિવિલ હોસ્પિટલમાં બે લોકોના મોત થયા છે. સિવિલ હોસ્પિટલના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર મોહન ચંદ્ર રેગમીએ જણાવ્યું હતું કે દાખલ કરાયેલા 2 લોકોના મોત થયા છે. કેએમસી અને ત્રિભુવન યુનિવર્સિટી ટીચિંગ હોસ્પિટલમાં એક-એક વ્યક્તિનું મોત થયું છે. મૃતકોની ઓળખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.

સરકારે 3 સપ્ટેમ્બરે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂક્યો હતો
નેપાળ સરકારે 3 સપ્ટેમ્બરે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ સહિત 26 સોશિયલ મીડિયા સાઇટ્સ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો હતો. આ પ્લેટફોર્મ્સ નેપાળના સંચાર અને માહિતી ટેકનોલોજી મંત્રાલય સાથે નોંધાયેલા નહોતા. મંત્રાલયે 28 ઓગસ્ટથી સાત દિવસની સમયમર્યાદા આપી હતી જે 2 સપ્ટેમ્બરે સમાપ્ત થઈ હતી.

Most Popular

To Top