એક કેસમાં સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચૂકાદો આપતા સ્પષ્ટ નોંધ કરી છે કે , રાષ્ટ્રપતિને પોકેટ વીટોનો અધિકાર નથી. એટલે કે રાષ્ટ્રપતિ પોતાનો નિર્ણય અનિશ્ચિત મુદ્દત માટે મુલ્તવી રાખી શકતા નથી.
તમિલનાડુના રાજ્યપાલ આર.એન. રવિના કેસમાં સુપ્રીમ કોર્ટે 8 એપ્રિલે ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. આ આદેશ શુક્રવારે જાહેર કરવામાં આવ્યો હતો અને તેને કોર્ટની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવ્યો છે. પહેલી વાર ન્યાયાધીશ જેપી પારડીવાલા અને આર મહાદેવનની બેન્ચે રાષ્ટ્રપતિને બિલો પર નિર્ણય લેવા માટે સમયમર્યાદા નક્કી કરી છે.
એક ઐતિહાસિક નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે રાજ્યપાલ દ્વારા મોકલવામાં આવેલા બિલો પર રાષ્ટ્રપતિએ ત્રણ મહિનાની અંદર નિર્ણય લેવો ફરજિયાત રહેશે. સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ આર મહાદેવનની બેન્ચે ચુકાદામાં કહ્યું કે કલમ 201 હેઠળ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવેલા કાર્યો ન્યાયિક સમીક્ષાને પાત્ર છે.
વાસ્તવમાં તમિલનાડુના રાજ્યપાલે બાકી રહેલા બિલોને મંજૂરી આપવાનો ઇનકાર કરી દીધો હતો. જે બાદ આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો. સુપ્રીમ કોર્ટે કેસની સુનાવણી કરી અને તમિલનાડુના રાજ્યપાલના નિર્ણયને ફગાવી દીધો. સુપ્રીમ કોર્ટે મંગળવારે આ ચુકાદો આપ્યો હતો અને શુક્રવારે સંબંધિત આદેશ જાહેર કરવામાં આવ્યો હતો.
આદેશમાં કહેવામાં આવ્યું છે કે બંધારણના અનુચ્છેદ 201 મુજબ જ્યારે રાજ્યપાલ દ્વારા કોઈ બિલ રાષ્ટ્રપતિને મોકલવામાં આવે છે ત્યારે રાષ્ટ્રપતિએ ક્યાં તો તેને પોતાની સંમતિ આપવી પડશે અથવા પોતાની અસંમતિ વ્યક્ત કરવી પડશે. જોકે, બંધારણમાં આ પ્રક્રિયા માટે કોઈ સમયમર્યાદા નક્કી કરવામાં આવી નથી.
સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે રાષ્ટ્રપતિને ‘પોકેટ વીટો’નો અધિકાર નથી. તેનો અર્થ એ કે તેઓ પોતાનો નિર્ણય અનિશ્ચિત સમય માટે મુલતવી રાખી શકતા નથી.
યોગ્ય કારણો આપવા પડશે’ બેન્ચે કહ્યું કે, કાયદાનો આ સ્પષ્ટ અભિપ્રાય છે કે જોગવાઈમાં કોઈ સમય મર્યાદા નિર્દિષ્ટ ન હોય તો પણ, સત્તાનો ઉપયોગ વાજબી સમયની અંદર થવો જોઈએ. કલમ 201 હેઠળ રાષ્ટ્રપતિ દ્વારા સત્તાનો ઉપયોગ કાયદાના આ સામાન્ય સિદ્ધાંતથી મુક્ત ન કહી શકાય.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો ત્રણ મહિનાથી વધુ વિલંબ થાય છે, તો યોગ્ય કારણો નોંધવા જોઈએ અને સંબંધિત રાજ્યને તેની જાણ કરવી જોઈએ. “અમારું માનવું છે કે રાષ્ટ્રપતિએ રાજ્યપાલ દ્વારા તેમના વિચારણા માટે મોકલવામાં આવેલા બિલો પર સંદર્ભ મળ્યાની તારીખથી ત્રણ મહિનાની અંદર નિર્ણય લેવો જરૂરી છે,” બેન્ચે નિર્દેશ આપ્યો.
અસંમતિ વ્યક્ત કરવી પણ ન્યાયિક સમીક્ષાના દાયરામાં આવે છે. સુપ્રીમ કોર્ટે વધુમાં કહ્યું કે જો નિર્ધારિત સમયમર્યાદામાં કોઈ કાર્યવાહી કરવામાં ન આવે તો સંબંધિત રાજ્ય કોર્ટનો સંપર્ક કરી શકે છે. જો કોઈ બિલ તેની બંધારણીય માન્યતાને કારણે અટકાવવામાં આવે છે, તો સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે કારોબારી અદાલતની ભૂમિકા ભજવવી જોઈએ નહીં.
આવા કેસોને કલમ ૧૪૩ હેઠળ સુપ્રીમ કોર્ટમાં મોકલવા જોઈએ. કોર્ટે કહ્યું, અમે સ્પષ્ટપણે કહીએ છીએ કે જ્યારે કોઈ બિલમાં ફક્ત કાનૂની મુદ્દાઓનો સમાવેશ થાય છે, ત્યારે કારોબારી પક્ષના હાથ બંધાયેલા હોય છે અને ફક્ત બંધારણીય અદાલતોને જ આવા મુદ્દાઓનો અભ્યાસ કરવાનો અને સૂચવવાનો અધિકાર છે.
સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય ત્યારે આવ્યો જ્યારે કોર્ટે કહ્યું કે તમિલનાડુના રાજ્યપાલ આરએન રવિએ ડીએમકે સરકાર દ્વારા પસાર કરાયેલા 10 બિલોને મંજૂરી ન આપીને ગેરકાયદેસર રીતે કાર્ય કર્યું છે. બિલો પર નિર્ણય લેવા માટે રાજ્યપાલો માટે સમયમર્યાદા નક્કી કરતી વખતે, કોર્ટે એમ પણ કહ્યું કે કોઈપણ નિષ્ક્રિયતા પણ ન્યાયિક સમીક્ષાને પાત્ર રહેશે.
