Vadodara

પાલિકા શ્રીજી ના વિસર્જન માટે ચાર મોટા અને એક નાનું તળાવ બનાવશે

વડોદરા : નર્મદા વિકાસ રાજ્ય મંત્રી શ્રી યોગેશભાઈ પટેલે ગણેશોત્સવના સંદર્ભમાં વિસર્જન શાંતિપૂર્ણ રીતે અને સૌહાર્દભર્યા વાતાવરણમાં થાય તે માટે વડોદરા મહાનગરપાલિકાના મેયરશ્રી, ધારાસભ્યો, મહાનગર પાલિકાના કમિશનરશ્રી અને શહેર પોલીસ કમિશનરશ્રી, જિલ્લા કલેકટરશ્રી અને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી સાથે સુચારૂ વ્યવસ્થાનો વિગતવાર વિચાર વિમર્શ કર્યો હતો.  વડોદરામાં ગણેશ ઉત્સવ રંગેચંગે ઉજવવાની પરંપરા છે તેનો ઉલ્લેખ કરતાં નર્મદા વિકાસ રાજ્ય મંત્રીશ્રી યોગેશભાઈ પટેલે જણાવ્યું કે, કોરોના ને લીધે આ પરંપરાગત ઉત્સવ ઘણાં નિયંત્રણો વચ્ચે ઉજવાયો હતો.

હાલમાં રાજ્ય સરકારે પરિસ્થિતિને અનુલક્ષીને નિયંત્રણો હળવા કર્યા છે અને જાહેરનામા દ્વારા ધારાધોરણો નિર્ધારિત કર્યા છે. ભાવિકો અને ગણેશ મંડળો તમામ નિયમોનું પાલન કરીને સહયોગ આપે અને પોલીસ તંત્ર સાથે સંકલન જાળવે. તેમણે જણાવ્યું કે, પ્રત્યેક મંડળના શ્રીજી સાથે વિસર્જન યાત્રામાં ૧૫ વ્યક્તિ જોડાઈ શકશે. ડીજે ના ઉપયોગની ઉચિત પરવાનગી મેળવી લેવાની રહેશે. વડોદરા મહાનગર પાલિકા મંડળો દ્વારા સ્થાપિત ગણેશજીના વિસર્જનમાં સરળતા માટે શહેરમાં ચાર મોટા અને એક નાનું તળાવ બનાવશે તેવી જાણકારી આપતાં તેમણે જણાવ્યું કે,સમા બ્રિજ, ગોરવા, સોમા તળાવ અને નવલખી ખાતે મોટા અને આઈનોકસ સામે એક નાનું તળાવ બનાવવામાં આવશે.

ઘરમાં સ્થાપિત ગણેશજીનું ભાવિકો ઘરમાં જ યોગ્ય વાસણમાં કે પાત્રમાં વિસર્જન કરે એવી તેમણે ખાસ અપીલ કરી હતી. કોઈ પણ વ્યક્તિ કાયદો હાથમાં ના લે તેવા અનુરોધ સાથે તેમણે કહ્યું કે,મંડળોને પોલીસ તંત્ર વિસર્જન માટે સમય આપશે એ નિર્ધારિત સમયે વિસર્જન કરે.પોલીસ તંત્ર સાથે સંકલન જાળવે.   તેમણે જણાવ્યું કે, મહાનગર પાલિકા તળાવોની આસપાસ પ્રકાશ વ્યવસ્થા સહિત જરૂરી પ્રબંધ કરશે. સહુ જાહેરનામાનો અમલ કરીને સહયોગ આપે.   વડોદરા મહાનગર પાલિકાના મેયરશ્રી કેયુર રોકડીયાએ જણાવ્યું કે, વિસર્જન સરળ રીતે થાય તે માટે મહાનગર પાલિકા ઝોન દીઠ એક ક્વિક રિસ્પોન્સ ટીમ તૈનાત કરશે.

  મંડળો દિવસ દરમિયાન સામાજિક સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ જાહેરનામા ની જોગવાઈઓ પાળીને કરે એવો તેમણે અનુરોધ કર્યો હતો અને રાત્રીના બાર વાગ્યા થી કરફ્યુનો અમલ થવાનો હોવાથી મોડામાં મોડું ૧૧ વાગ્યા સુધી તમામ પ્રક્રિયાઓ પૂરી કરી લેવા પર ભાર મૂક્યો હતો.   પોલીસ તંત્ર,મહાનગર પાલિકા અને જિલ્લા પ્રશાસન જાહેરનામા ના સંદર્ભમાં પોતાની ભૂમિકા અદા કરશે.ભાવિક ભક્તો અને મંડળો જાહેરનામાની જોગવાઈઓનું પાલન કરીને સહયોગ આપે,તહેવાર પણ ઉજવાય અને સૌહાર્દ જળવાય એવો તેમણે અનુરોધ કર્યો હતો.

સરકીટ હાઉસ ખાતેની બેઠકમાં ધારાસભ્ય સર્વશ્રી જીતેન્દ્રભાઈ સુખડિયા, શૈલેષભાઈ મહેતા, કેતનભાઈ ઈનામદાર, અક્ષયભાઈ પટેલ, સીમાબેન મોહિલે, કલેકટર શ્રી આર. બી. બારડ મ્યુનિસિપલ કમિશનર શ્રીમતી શાલિની અગ્રવાલ, પોલીસ કમિશનર શ્રી શમશેરસિંઘ જિલ્લા પોલીસ વડા શ્રી સુધીર દેસાઈ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજવા સરોવર ને નર્મદા નું પાણી આપવા ની મહાનગર પાલિકા ની વિનંતી અંગે નર્મદા વિકાસ મંત્રીશ્રીએ જણાવ્યું કે,વડોદરા ને પાણી ખૂંટવા નહિ દઈએ,ધારાધોરણો પ્રમાણે યોગ્ય નિર્ણય લેવામાં આવશે.

Most Popular

To Top