Comments

રક્ષાબંધન નિમિત્તે બહેનોનાં આર્થિક, સામાજિક, રાજકીય હકોનું રક્ષણ કરવાની પ્રતિજ્ઞા લો

ગુજરાત યુનિવર્સિટીમાં પત્રકારત્વ વિભાગના અધ્યક્ષ ડૉ. સોનલ પંડ્યાએ રક્ષાબંધન નિમિત્તે એક વિચાર વહેતો મૂક્યો અને તે એ કે ભાઈ બહેનનું રક્ષણ કરે તેવા પરમ્પરાગત વિચારને થોડો વિકસાવવાની અને વ્યાપક બનાવવાની જરૂર છે. સ્ત્રી સશક્ત બને અને શારીરિક સ્વ-રક્ષા એ જાતે જ કરતી થાય તે જરૂરી છે પણ. રક્ષાબંધનના પરમ્પરાગત તહેવાર નિમિત્તે ભાઈએ એટલે કે પુરુષે સ્ત્રીને જો કોઈ બાંહેધરી આપવાની છે તો તે એ કે તેના આર્થિક, સામાજિક, રાજકીય હિતોનો તે સ્વીકાર કરે. તેના હકો પડાવી ના લે.

 આર્થિક ઉદારીકરણનાં ત્રીસ વર્ષમાં સ્ત્રીની ભૂમિકા કેટલી બદલાઈ તેના દરજ્જામાં શું ફેર પડ્યો આ વિષય પર વાત કરતાં તેમણે એક વાર માર્મિક વાક્ય કહ્યું હતું  કે ભારતમાં સ્ત્રીઓની સ્થિતિ ચોક્કસ બદલાઈ છે પણ તેના સામાજિક દરજ્જામાં બહુ ફેર નથી પડ્યો. તે ચૂલા ઉપર રાંધતી હતી. હવે ગેસ પર રાંધે છે પણ રાંધવાની જવાબદારી તો તેના માથે જ છે.

એક મલ્ટીનેશનલ કમ્પનીમાં સી.ઈ.ઓ. થયા પછી પણ, ઘરે દૂધ ગરમ કરવાની જવાબદારી સ્ત્રીની છે. દુનિયામાં કોઈ વિકસિત રાષ્ટ્રમાં માતા-પિતા પોતે જ પોતાના બાળકને જો તે બેબી હોય તો મોતને ઘાટ ઊતારે એ વાત ગળે નથી ઊતરતી.

ગરીબ ખેડૂત કે સુથારનો દીકરો ભણી ગણીને પાયલોટ કે કલેકટર બને તો તેની પાસે આશા નથી રખાતી કે તે તેનો જુનો વ્યવસાય પણ કરે, જ્યારે સ્ત્રી પાસે આશા રખાય છે કે તે તેનાં પરમ્પરાગત કામ તો કરે જ!

ઘણી વાર ઉદારમતવાદી લોકો કહે છે કે સ્ત્રીઓને સ્વતન્ત્રતા આપો.ખરી વાત એ છે કે આપણે સ્ત્રીઓને સ્વતન્ત્રતા આપવાની નથી તેમની સ્વતન્ત્રતાનો સ્વીકાર કરવાનો છે. આજે પણ ઘણાં ગામો સ્ત્રીઓને ચૂંટણીમાં મત આપવા નથી જવા દેતાં. પોતાની મિલકતમાં પોતાની દીકરીઓને સમાન હક આપવાનું શરૂ થયું છે પણ બધે આ વલણ જોવા મળતું નથી. દીકરીને જીવનસાથી પસંદ કરવાની છૂટ નથી. પત્નીને વ્યવસાય કરવાની છૂટ નથી. પુરુષપ્રધાન વ્યવસ્થામાં સ્ત્રીના હકો ઓલવી જવામાં આવે છે.

ચાલો, આ રક્ષાબંધન નિમિત્તે વચન આપીએ કે હું તારા તમામ હકોનું “મારાથી” રક્ષણ કરીશ. તને બીજો કોઈ હેરાન કરે કે ના કરે, હું હેરાન નહિ કરું.  શિક્ષણ સંસ્થાઓમાં થતા અર્થસભર સેમિનારો આપણને વિચારવલોણું પૂરું પાડે છે. અભ્યાસુ અધ્યાપકો, શિક્ષકો કાયમ બોલે તે કરતાં વચ્ચે વચ્ચે થોડું સાંભળે તો પણ ઘણો ફાયદો થાય. આપણે આ કોલમમાં કાયમ જણાવ્યું છે કે સર્વગ્રાહી આર્થિક વિકાસમાં માત્ર રાષ્ટ્રીય આવક નથી મપાતી. દુનિયામાં માત્ર સ્ત્રીની આવકના આધારે છઠ્ઠી આર્થિક સત્તા બનવાનો સંતોષ નથી લેવાનો. ખરી પ્રગતિશીલતા તો દેશમાં સ્ત્રીઓનો દરજ્જો કચડાયેલા વર્ગને મળતી તકો, અર્થસભર શિક્ષણની સુવિધા આ બધા પર આધાર રાખે છે.

ભારતમાં સ્ત્રી પુરુષ રેશિયો ૧૦૦૦ પુત્રજન્મ સામે ૯૩૩ પુત્રીનો છે. દેશમાં કુલ ખાનગી માલિકી સંપત્તિમાં સ્ત્રીઓનું માલિકીપણું ૧% જેટલું જ છે. રાજ્યોની રીતે વિચારીએ તો કેરલામાં સ્ત્રીઓ હક વધારે જોવા મળે છે. ઉદારીકરણ પછી રોજગારીમાં સ્ત્રીઓનું પ્રમાણ વધ્યું છે. સરકારી નોકરીઓમાં સ્ત્રીઅનામતની અસર પણ વધી છે. પણ સ્ત્રીઓનું સ્થાન હજુ બદલાતું નથી. સ્ત્રીઓ જે કામ કરે છે તેને આદર મળવો જોઈએ પણ મળતો નથી. જો હકની રીતે વિચારો તો જન્મનો અધિકાર સોનોગ્રાફી મશીને છીનવી લીધો છે. સ્વસ્થ રહેવાનો અધિકાર સ્ત્રીઓના ભાગે ઓછો આવે છે. શિક્ષણનો અધિકાર પુરુષની મજૂરી પછી આગળ વધે છે. જીવનસાથી પસંદગીના અધિકાર સામે ઓનર કિલિંગ  મોટો પડકાર બનીને ઉભું છે. જૂન ૨૦૧9 માં ભારતમાં આર્થિક ઉદારીકરણની નીતિ અપનાવવામાં આવી. ખાનગીકરણનો વેગ વધ્યો અને ખાનગી સ્કૂલો, ખાનગી હોસ્પિટલો, ખાનગી ધર્મસ્થળો બધું જ વધવા લાગ્યું.

આમાં સ્ત્રીઓને કામ તો મળ્યું પણ સાથે શોષણ પણ એટલું જ વધ્યું. ખાનગી ટી.વી. ચેનલો અને ફિલ્મોએ સ્ત્રીને એક વસ્તુ તરીકે રજૂ કરી. સ્ત્રીઓ પણ પુરુષ પ્રધાન માનસિકતા દ્વારા તૈયાર થયેલા માપદંડોને સ્વીકારવા લાગી.  તેને પુરુષની નજરમાં સ્લીમ એટલે કે પાતળા રહેવું છે. તેને પણ બાઈક ચલાવી મોર્ડન દેખાવું છે. સ્ત્રીઓ જે કામ કરે છે તેને પુરુષપ્રધાન વ્યવસ્થા મહત્ત્વના નથી ગણતા પણ હવે તો સ્ત્રીઓ પણ પોતાના કામને મહત્ત્વનું નથી ગણતી તેને પુરુષો કરે તે કામ કરીને મહાન થવું છે એટલે ભારતમાં હજુ સ્ત્રીઓના દરજ્જા અને સ્થાન માટે કામ થવું ઘણું બાકી છે.

અર્થશાસ્ત્રનાં અધ્યાપિકા ડૉ. પીન્કી બહેને એક વાતમાં જણાવ્યું હતું કે ભારતમાં અત્યારે ફાઈવ ટ્રિલીયન ડોલર ઈકોનોમીની દોડ ચાલે છે. પણ આપણે જો આપણી માતાઓ બહેનો જે કામ કરે છે તેનું આર્થિક મૂલ્ય ગણીએ તો આ દેશ ક્યારનો ફાઈવ ટ્રિલીયન ડોલર ઈકોનોમીમાં પહોંચી ગયો છે . પણ મૂળ આપણે જથ્થા ના વિકાસમાં પડ્યા છીએ એટલે ગુણવત્તા ણે ભૂલી ગયા છીએ . છેક આયોજનકાળથી જ આપણે ગ્રોથના ચક્કરમાં ગોલ એટલે કે લક્ષ ચૂકી ગયા છીએ.

સરકારે તાજેતરમાં ખાનગીકરણ અને ઉદારીકરણની નીતિથી દેશની દશા અને દિશા બદલી નાખનારા પૂર્વ પ્રધાનમંત્રી શ્રી પી વી નરસિમ્હા રાવને ભારતરત્ન આપીને આર્થિક ઉદારીકરણ માટે તેમણે યાદ તો કર્યા પણ હવે સમય છે આ ઉદારીકરણની ખરી અસરો તપાસવાનો પ્રયત્ન સરકાર તે  નિસ્બતપૂર્વક કરે અને સ્ત્રીનો દરજ્જો પણ બદલાય બલકે સુધરે તેવા પ્રયત્ન કરે . અ માટે માત્ર આવક નહી સામાજિક નિસ્બત પણ ધ્યાનમાં લેવી પડશે. આપણો મૂળ ગોલ સર્વાંગી વિકાસનો છે જ્યાં સ્ત્રીઓ પસંદગીની વિદ્યાસાખામાં ભણી શકે . સામાજિક પછાત જ્ઞાતિ હરખભેર વરઘોડો કાઢી શકે. 
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top