Business

નર્સ નિમિષા પ્રિયાની ફાંસીની સજા ટળી, યમનથી આવ્યા મોટા સમાચાર

ભારતીય નર્સ નિમિષા પ્રિયાની ફાંસીની સજા મુલતવી રાખવામાં આવી છે. સૂત્રોના હવાલેથી આ માહિતી પ્રકાશમાં આવી છે. યમનમાં 16 જુલાઈએ તેને ફાંસી આપવાની હતી.

આ અગાઉ આજે સવારે યમનમાં નિમિષા પ્રિયાને બચાવવા માટે ફરી એકવાર પ્રયાસો શરૂ થયા હતા. 16 જુલાઈના રોજ યમનમાં તેના પર મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી હતી અને તેના થોડા કલાકો પહેલા જ ફરી એકવાર આશાનું કિરણ ઉભરી આવ્યું હતું. ભારતીય મુફતી અને સુન્ની મુસ્લિમ સમુદાયના નેતા એપી અબુ બકર મુસલિયારે આ મામલે હસ્તક્ષેપ કરતા આશા જીવંત થઈ હતી.

એપી અબુ બકર મુસલિયારે યમન સરકારને નિમિષા પ્રિયાને માફ કરવા અપીલ કરી છે, જ્યારે મૃતક તલાલ અબ્દો મહેદીના પરિવારનો પણ સંપર્ક કરવામાં આવ્યો છે. આ અંગે આજે યમનમાં એક બેઠક યોજાઈ હતી. નિમિષાના વકીલ સુભાષ ચંદ્રન આ બેઠકમાં હાજર રહ્યાં હતાં. તલાલ અબ્દો મહેદીનો પરિવાર અને હુદૈદા સ્ટેટ કોર્ટના ચીફ જસ્ટિસ, યમન શુરા કાઉન્સિલના સભ્ય શેખ હબીબ ઓમર હાજર રહ્યા હતા.

મુસલિયારે ખરેખર તેમના યમનના મિત્ર અને પ્રખ્યાત વિદ્વાન શેખ હબીબ ઉમર દ્વારા દરમિયાનગીરી કરવાનો પ્રયાસ કર્યો છે. હબીબ ઉમરની વિનંતી પર માર્યા ગયેલા તલાલ અબ્દો મહેદીના પરિવારના કેટલાક સભ્યો અને હુદૈદા રાજ્ય અદાલતના મુખ્ય ન્યાયાધીશ યમનના દમાર પહોંચ્યા હતા. આ બાબતની ચર્ચા અહીં થઈ હતી.

શેખ હબીબ ઉમર યમનની શૂરા કાઉન્સિલ સાથે સભ્ય તરીકે સંકળાયેલા છે. યમનના રાજકારણમાં તેમનો થોડો પ્રભાવ હોવાનું પણ માનવામાં આવે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હબીબ ઉમરના હસ્તક્ષેપ પછી પીડિત તલાલનો પરિવાર હવે તેમની માંગણીઓ પર પુનર્વિચાર કરવા તૈયાર છે.

હકીકતમાં, નિમિષા પ્રિયાને બચાવવા માટે તલાલના પરિવારને બ્લડ મનીનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો, જેને તેમણે નકારી કાઢ્યો હતો. આનાથી નિમિષા પ્રિયાને બચાવવાની બધી આશાઓ તૂટી ગઈ હતી. હવે જ્યારે તલાલનો પરિવાર ફરીથી વાત કરવા માટે સંમત થયો છે, ત્યારે ફાંસીની સજા ટળી હોવાનું જાણવા મળ્યું છે.

શું છે મામલો?
નિમિષા પ્રિયાને હત્યાના કેસમાં મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે. તે 2017 થી યમનમાં જેલમાં છે. નિમિષાને યમનના નાગરિક તલાલ અબ્દો મહદીની હત્યાનો દોષી ઠેરવવામાં આવ્યો હતો. તેના પર આરોપ હતો કે તેણે મહદીને પોતાનો પાસપોર્ટ જમા કરાવવા માટે એનેસ્થેસિયાના ઇન્જેક્શન આપ્યા હતા, પરંતુ આ ઇન્જેક્શનને કારણે મહદીનું મૃત્યુ થયું.

કેરળના પલક્કડની રહેવાસી નર્સ નિમિષા છેલ્લા એક દાયકાથી તેના પતિ અને પુત્રી સાથે યમનમાં કામ કરી રહી હતી. 2016 માં, યમનમાં ગૃહયુદ્ધને કારણે, દેશની બહાર મુસાફરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પરંતુ તે પહેલાં, 2014 માં, તેના પતિ અને પુત્રી ભારત પાછા ફર્યા હતા. પરંતુ નિમિષા પાછી ફરી શકી નહીં. ત્યાર બાદ નર્સ પર જુલાઈ 2017 માં યમનના નાગરિકની હત્યા કરવાનો આરોપ મૂકવામાં આવ્યો. તેથી 7 માર્ચ, 2018 ના રોજ યમનની કોર્ટે નિમિષાની મૃત્યુદંડની સજાને સમર્થન આપ્યું હતું.

Most Popular

To Top