National

ચોમાસું વહેલુ આવશે, આંદામાન-નિકોબાર ટાપુ પર પહોંચી ગયું

આંદામાન-નિકોબાર ટાપુ પર ચોમાસું આવી પહોંચ્યું છે અને 27 મે સુધી કેરળમાં અને ત્યાર બાદ ગુજરાતમાં પણ ચોમાસું વહેલું બેસે તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગના ડાયરેક્ટરે જણાવ્યું હતું કે આંદામાન- નિકોબાર ટાપુ પર ચોમાસું પહોંચી ચૂક્યું છે. પરિબળો સાનુકૂળ હોવાથી આ વખતે ચોમાસું વહેલું આવે તેવી શક્યતા છે. કેરળમાં 27 મે સુધીમાં ચોમાસું પ્રવેશ કરશે, જેના પગલે હવે ગુજરાતમાં પણ ચોમાસું વહેલું આવવાની શકયતા છે.

વેધર એજન્સી સ્કાયમેટે પણ થોડા દિવસ પહેલાં વહેલા ચોમાસાની આગાહી કરી હતી. સ્કાયમેટ પ્રમાણે આ ચોમાસામાં 103% સાથે ચોમાસું સામાન્ય જઇ શકે છે. જ્યારે ભારતીય હવામાન વિભાગ પ્રમાણે 105% સાથે ચોમાસું સામાન્ય વધુ સારું રહી શકે છે.

સ્કાયમેટ અનુસાર આ વખતે અલનીનો સક્રિય નથી. જેથી ચોમાસું ખરાબ થવાની શક્યતા નથી. લા-નીનો થોડા સમય માટે એક્ટીવ થઇ હાલ ન્યુટ્રલ તરફ જઇ રહ્યું છે. જે ચોમાસા દરમિયાન પણ ન્યુટ્રલ રહેવાની શક્યતા છે.

બીજી તરફ ઈન્ડિયન ઓશન ડીપોલ પણ ચોમાસાં પહેલાં પોઝિટીવ થઇ જશે. આ તમામ પરિબળોથી ચોમાસું ખરાબ નહીં થાય. સામાન્ય ચોમાસા પ્રમાણે 103% સાથે દેશમાં સરેરાશ 895 મીમી વરસાદ થઇ શકે છે. આ ચોમાસામાં સરેરાશ વરસાદ સામે 96% થી 104% સાથે સામાન્ય ચોમાસાનું રહેવાની શક્યતા 40% છે. જ્યારે 104% થી વધુ વરસાદની શક્યતા 30% છે. એટલે કે ચોમાસું સામાન્ય કે તેથી સારૂ રહેવાની શક્યતા 70% છે. એટલે જ ચોમાસું સારૂ માનવામાં આવી રહ્યું છે.

જૂનમાં ચોમાસું શરૂ થઈ શકે
જૂન મહિનાથી ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઇ શકે છે. આ દરમિયાન દક્ષિણ ગુજરાત અને મધ્ય-પૂર્વ ગુજરાત સાથે ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં સારો વરસાદ થઇ શકે છે. કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતને સારા વરસાદ માટે રાહ જોવી પડી શકે છે.

Most Popular

To Top