Columns

મણીપુરનો અનામતનો મુદ્દો ઉગ્રવાદનું સ્વરૂપ લે તે પહેલા ડામી દેવો જોઇએ

કાંગપોકપી જિલ્લામાં ગોળીબારમાં માર્યા ગયેલા એક વ્યક્તિના મૃતદેહને ઇમ્ફાલના એક ચોકમાં મૂકીને પરંપરાગત શબપેટીમાં રાખવામાં આવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે વિરોધીઓ ભેગા થયા અને ટોળાએ મુખ્યમંત્રીના નિવાસસ્થાન સુધી શબપેટી સાથે સરઘસ કાઢવાની ધમકી આપી હતી. આ દરમિયાન ભાજપાના કાર્યાલય પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. મણિપુરના કાંગપોકપી જિલ્લાના હરોથેલ ગામમાં ગઈકાલે સવારે સુરક્ષાકર્મીઓ સાથેની અથડામણમાં બે શંકાસ્પદ તોફાનીઓ માર્યા ગયા હતા અને અન્ય પાંચ ઘાયલ થયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે પાછળથી, સમુદાયના સભ્યો કે જેમાં બંને તોફાનીઓ હતા, તેઓએ તેમના મૃતદેહો સાથે ઇમ્ફાલમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાને સરઘસ કાઢવાનો પ્રયાસ કર્યો.

પોલીસે તેમને અટકાવ્યા ત્યારે સરઘસ હિંસક બની ગયું હતું. જે બાદ પોલીસે લાઠીચાર્જ અને ટીયર ગેસનો ઉપયોગ કરવો પડ્યો હતો અને લાંબી જહેમત બાદ સ્થિતિ કાબુમાં આવી હતી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ હિંસાથી ભડકેલા મણિપુરના બે દિવસના પ્રવાસે છે. રાહુલ ગાંધીએ હિંસાગ્રસ્ત મણિપુરના ચુરાચંદપુરમાં રાહત શિબિરોની મુલાકાત લીધી હતી અને લોકોને મળ્યા હતા. આ દરમિયાન રાહુલ ગાંધીને એરપોર્ટ પાસે રોકી દેવામાં આવ્યા હતા, ત્યારબાદ તેમને હેલિકોપ્ટર દ્વારા રાહત શિબિરો સુધી પહોંચવું પડ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું કે, “મણિપુરમાં શાંતિનું વાતાવરણ જ અમારી એકમાત્ર પ્રાથમિકતા હોવી જોઈએ.”

રાહુલ ગાંધીના કાફલાને રોકવાને લઈને ઘણો વિવાદ થયો હતો. કોંગ્રેસે આરોપ લગાવ્યો કે ભાજપાના નેતૃત્વવાળી સરકાર કોંગ્રેસના નેતાની મુલાકાતને નિષ્ફળ કરવાનો પ્રયાસ કરી રહી છે. બીજી તરફ ભાજપે દાવો કર્યો હતો કે ગાંધીને હેલિકોપ્ટરથી જવાનું કહેવામાં આવ્યું હતું કારણ કે તેમની મુલાકાતનો અનેક વર્ગો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો, પરંતુ તેઓ રોડ માર્ગે મુસાફરી કરવા પર અડગ હતા. મે મહિનાની શરૂઆતમાં મણિપુરમાં મેઇતી અને કુકી સમુદાયો વચ્ચે ફાટી નીકળેલી જાતીય હિંસામાં 100થી વધુ લોકોના મોત થયા છે.

મણિપુરમાં અનુસૂચિત જનજાતિના દરજ્જાની મેઇતી સમુદાયની માંગના વિરોધમાં 3 મેના રોજ પહાડી જિલ્લાઓમાં ‘આદિવાસી એકતા કૂચ’નું આયોજન કરવામાં આવ્યું તે પછી અથડામણો શરૂ થઈ હતી. હવે મણીપુરમાં શરૂ થયેલા વિવાદ ઉપર એક નજર કરીએ તો મણિપુરનો મૈતેઈ સમુદાય પોતાને અનુસૂચિત જનજાતિમાં સામેલ કરવાની માગ કરી રહ્યો છે અને આ જ માગણી આગળ જઈને સમગ્ર વિવાદનું કારણ બની હતી. 3મે થી 6મે સુધી પ્રદેશમાં જબરદસ્ત હિંસા થઈ, જેમાં મૈતેઈ લોકોએ કુકી પર અને કુકી લોકોએ મૈતેઈનાં સ્થળોને નિશાન બનાવ્યા હતા. રાજધાની ઇમ્ફાલથી બે કલાકના અંતરે આવેલા કુકી વસતી ધરાવતા ચુરાચાંદપુર જિલ્લામાં જ્યારે બંને જૂથો વચ્ચે હુમલા ચાલુ હતા, ત્યારે 23 વર્ષીય ઍલેક્સ જમકોથાંગ પણ આ ભીડનો ભાગ હતા.

અચાનક ઉપરની ઇમારત પરથી આવેલી ગોળી તેમની છાતીમાં વાગી હતી. તેમને તાત્કાલિક હૉસ્પિટલ પહોંચાડવામાં આવ્યા, પરંતુ ત્યાં સુધી તેમનું મોત થયું હતું. ગયા મહિને જ્યારે હિંસા શરૂ થઈ ત્યારે પોલીસ સ્ટેશનમાંથી હજારોની સંખ્યામાં હથિયાર લૂટવામાં આવ્યાં હતાં હાલ મણિપુર બે ભાગોમાં વહેંચાઈ ગયું છે. એક ભાગ મૈતેઈ લોકો પાસે છે, બીજો કુકી લોકો પાસે છે.

જે પ્રકારે હિંસાનું દૃશ્ય જોવા મળી રહ્યું છે, તે એક-બે કે ચાર દિવસ નહીં, પરંતુ અઠવાડિયા સુધી ચાલેલી હિંસા છે, જેમાં ઘર બરબાદ થઈ ગયાં, લોકો તબાહ થઈ ગયા છે અને ગામેગામ ઉજ્જડ થઈ ગયાં છે. જે પ્રકારની ફૉલ્ટલાઇન્સ અહીં જોવા મળી રહી છે, તેનાથી એવું લાગી રહ્યું છે કે આ તિરાડ ઘણા સમયથી પડી છે. આઝાદી પછી ઈસાઈ ધર્મ પાળનારા કુકી સમુદાયને અનુસૂચિત જનજાતિનો દરજ્જો મળ્યો છે, જ્યારે મૈતેઈ હિન્દુ સમુદાયમાં કેટલાકને અનામત મળી નથી, જ્યારે કેટલાક અનુસૂચિત જાતિ અને કેટલાકને ઓબીસીનો દરજ્જો મળ્યો છે.ઝઘડાનું કારણ આજ છે, કારણ કે મૈતેઈ લોકો કુકી વિસ્તારમાં જમીન ખરીદી શકતા નથી અને હવે તેઓ પણ જનજાતિનો દરજ્જો મેળવવા ઇચ્છે છે.

Most Popular

To Top