ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં કરોડો ભક્તો દરરોજ સંગમમાં સ્નાન કરી રહ્યા છે. ભારત સહિત વિશ્વના વિવિધ દેશોના લોકો મહાકુંભમાં ગંગા, યમુના અને સરસ્વતીના ત્રિવેણી સંગમમાં સ્નાન કરી રહ્યા છે. જોકે 29 જાન્યુઆરીના રોજ મૌની અમાવસ્યાના દિવસે મહાકુંભમાં ભાગદોડ જેવી સ્થિતિ સર્જાઈ હતી જેમાં ઘણા ભક્તોએ જીવ ગુમાવ્યા હતા. આ અકસ્માતની ન્યાયિક તપાસ હાથ ધરવામાં આવી રહી છે. મહાકુંભમાં થયેલી દુર્ઘટના અંગે સંસદમાં વિપક્ષી પાર્ટીઓ પણ હંગામો કરી રહી છે. દરમિયાન ભાજપના સાંસદ રવિશંકર પ્રસાદે લોકસભામાં આ મુદ્દા પર જવાબ આપતા કહ્યું છે કે મહાકુંભ દુર્ઘટનાની તપાસમાં ષડયંત્રની ગંધ આવી રહી છે.
ભાજપના સાંસદ રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં ૩૫ કરોડ લોકોએ મહાકુંભમાં સ્નાન કર્યું છે. અકસ્માતની તપાસ ચાલુ છે અને તે તપાસમાં ષડયંત્રની ગંધ આવે છે. જ્યારે સંપૂર્ણ તપાસ બહાર આવશે ત્યારે અકસ્માત સર્જનારાઓને શરમથી માથું નમાવવું પડશે. રવિશંકર પ્રસાદે કહ્યું કે કુંભ અને સનાતનના નામ સાંભળીને વિપક્ષ કેમ નારાજ થાય છે. હું ગૃહમાં એક વાત સ્પષ્ટપણે કહેવા માંગુ છું. ભારત સનાતનનું અપમાન સહન નહીં કરે.
મહાકુંભમાં થયેલી ભાગદોડ અંગે મેળાના અધિકારી અને ડીઆઈજી કુંભ વૈભવ કૃષ્ણાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે કહ્યું હતું કે ભાગદોડમાં 30 લોકોના મોત થયા હતા. 36 ઘાયલો હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. ડીઆઈજીએ જણાવ્યું કે ભીડને કારણે કેટલાક બેરિકેડ તૂટી ગયા હતા. કેટલાક ભક્તો બેરિકેડ તોડીને આગળ વધવા માંગતા હતા જેના કારણે ટોળા ત્યાં સૂતેલા ભક્તો પર પગ મુકી આગળ વધ્યા હતા.