Latest News

More Posts

ઓગસ્ટ 2027 સુધીમાં 600 સ્ક્વેર ફૂટની લેબ બનાવવી પડશે

પુસ્તકિયા જ્ઞાનને બદલે કૌશલ્ય આધારિત શિક્ષણને મજબૂત બનાવવા માટે નિર્ણય લેવાયો

( પ્રતિનિધિ )વડોદરા,તા.19

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા શાળાઓમાં માત્ર પુસ્તકિયા જ્ઞાનને બદલે કૌશલ્ય આધારિત શિક્ષણને મજબૂત બનાવવા માટે એક સીમાચિહ્નરૂપ નિર્ણય લેવામાં આવ્યો છે. નવી શિક્ષણ નીતિ અને એનસીએફ-એસઈ 2023 ના લક્ષ્યાંકોને પૂર્ણ કરવા માટે બોર્ડે તેની તમામ સંલગ્ન શાળાઓમાં કોમ્પોઝિટ સ્કિલ લેબ સ્થાપિત કરવાનું ફરજિયાત બનાવ્યું છે. આ પગલાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને પ્રાયોગિક અને અનુભવાત્મક શિક્ષણ આપીને વાસ્તવિક દુનિયાના પડકારો માટે તૈયાર કરવાનો છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનના જણાવ્યા અનુસાર, હવે વોકેશનલ એજ્યુકેશન શાળાકીય શિક્ષણનો અભિન્ન ભાગ બનશે. આ લેબ્સ દ્વારા વિદ્યાર્થીઓમાં રિયલ વર્લ્ડ કોમ્પિટન્સી વિકસાવવા, એક્ટિવિટી આધારિત શિક્ષણ અને મલ્ટી-ડિસિપ્લિનરી લર્નિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. વિદ્યાર્થીઓ વિવિધ ટેકનિકલ સાધનો અને પ્રયોગો દ્વારા વિષયોને માત્ર વાંચવાને બદલે અનુભવીને શીખશે, જેનાથી થિયરી અને પ્રેક્ટિકલ વચ્ચેનું અંતર ઘટશે.

બોર્ડે લેબની સ્થાપના માટે ચોક્કસ માર્ગદર્શિકા જાહેર કરી છે:

1.લેબનું કદ : ધોરણ 6 થી 12 માટે 600 સ્ક્વેર ફૂટનું એક કોમ્પોઝિટ સ્કિલ લેબ બનાવવું પડશે.
2.વૈકલ્પિક વ્યવસ્થા: શાળાઓ બે અલગ લેબ પણ બનાવી શકે છે. (ધોરણ 6-10 માટે એક અને 11-12 માટે બીજી), જેમાં એક લેબ ઓછામાં ઓછી 400 સ્ક્વેર ફૂટની હોવી જોઈએ.
3.સુવિધાઓ: આ લેબ્સમાં જે-તે વિષયને અનુરૂપ સાધનો, જરૂરી મશીનરી અને પ્રયોગાત્મક સેટઅપ રાખવા ફરજિયાત છે.

સમયમર્યાદા અમલીકરણ સાથે આયોજનબદ્ધ રીતે આ દિશામાં આગળ વધવા સૂચના

નવી સંલગ્નતા મેળવતી શાળાઓ માટે આ લેબની સ્થાપના શરૂઆતથી જ ફરજિયાત રહેશે. જોકે,હાલમાં કાર્યરત શાળાઓને માળખાકીય સુવિધાઓ ઊભી કરવા માટે પૂરતો સમય આપવામાં આવ્યો છે. આવી શાળાઓએ 22 ઓગસ્ટ 2027 સુધીમાં આ લેબ્સ કાર્યરત કરી દેવી પડશે. બોર્ડે શાળાઓને આયોજનબદ્ધ રીતે આ દિશામાં આગળ વધવા સૂચના આપી છે, જેથી શિક્ષણની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો લાવી શકાય.

To Top