National

PM મોદી સાથે મંચ પર કેરળના CM અને થરૂર: PM એ કહ્યું- આ કાર્યક્રમ ઘણા લોકોની ઊંઘ ઉડાવી દેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે કેરળમાં વિઝિનજામ આંતરરાષ્ટ્રીય બંદરનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન તેમણે વિપક્ષ પર કટાક્ષ કરતા કહ્યું કે આજના કાર્યક્રમથી ઘણા લોકોની ઊંઘ હરામ થઈ જશે. પીએમ મોદીની સાથે મુખ્યમંત્રી પિનરાઈ વિજયન અને શશિ થરૂરે પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. પીએમ મોદીએ પોતાના ભાષણ દરમિયાન ગૌતમ અદાણીનો પણ ઉલ્લેખ કર્યો.

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, “મુખ્યમંત્રી વિજયન પણ અહીં બેઠા છે, તેઓ ભારત ગઠબંધનના મજબૂત સ્તંભ છે. શશિ થરૂર બેઠા છે. આજના કાર્યક્રમથી ઘણા લોકોની ઊંઘ ઉડી જશે. સંદેશ જ્યાં પહોંચવાનો હતો ત્યાં પહોંચી ગયો છે.” તેમણે કહ્યું, “આજે ભગવાન આદિ શંકરાચાર્યની જન્મજયંતિ છે. ત્રણ વર્ષ પહેલાં સપ્ટેમ્બરમાં, મને તેમના જન્મસ્થળ ક્ષેત્રમની મુલાકાત લેવાનું સૌભાગ્ય મળ્યું હતું. આદિ શંકરાચાર્યએ કેરળ છોડીને દેશના વિવિધ ખૂણામાં મઠો સ્થાપીને રાષ્ટ્રની ચેતના જાગૃત કરી હતી. હું તેમને સલામ કરું છું.”

વડા પ્રધાન મોદીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું નામ લીધા વિના તેમની પર પણ કટાક્ષ કર્યો. ગૌતમ અદાણીનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું, “ગૌતમ અદાણી પણ અહીં હાજર હતા. અદાણીએ ગુજરાતમાં બનેલા બંદર કરતાં અહીં વધુ સારું બંદર બનાવ્યું છે.

વિઝિનજામ બંદર આશરે 8,800 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું છે. આગામી સમયમાં તેની ટ્રાન્સશિપમેન્ટ હબ ક્ષમતા ત્રણ ગણી થશે. તેને મોટા માલવાહક જહાજોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યું છે. પીએમ મોદીએ કહ્યું, “અત્યાર સુધી ભારતની 75% ટ્રાન્સશિપમેન્ટ પ્રવૃત્તિઓ વિદેશી બંદરો પર થતી હતી, જેના પરિણામે દેશને ભારે આવકનું નુકસાન થયું હતું. જોકે હવે આ પરિસ્થિતિ બદલાવા જઈ રહી છે. પહેલા જે પૈસા વિદેશમાં ખર્ચવામાં આવતા હતા તે હવે સ્થાનિક વિકાસમાં રોકાણ કરવામાં આવશે, જેનાથી વિઝિનજામ અને કેરળના લોકો માટે નવી આર્થિક તકો ઊભી થશે.”

જણાવી દઈએ કે વિઝિનજામ ઇન્ટરનેશનલ ડીપ સી-વોટર મલ્ટીપર્પઝ સીપોર્ટ દેશનું પ્રથમ સેમી-ઓટોમેટિક ટ્રાન્સ શિપમેન્ટ પોર્ટ છે. તે ભારતના દરિયાઈ વેપારને વધારવા અને વૈશ્વિક સ્તરે તેને મજબૂત બનાવવા માટે બનાવવામાં આવ્યું છે.

Most Popular

To Top