Comments

કાશ્મીરી પરિવારોએ અલગ અલગ રાજ્યોમાં આશરો કેમ લેવો પડતો હતો? તથ્ય જાણી દુખી થઈ જશો

કાશ્મીર રાજ્ય બનવાના પેંચ કસી રહ્યું છે, જે ધાર્યા પ્રમાણે સ્વર્ગમાં શાંતિ મેળવવા જેવું કામ છે,પણ સરળ નથી!ચિત્રો કે ચિલચિત્રો જોઈ આંસુ છલકાવાથી કશું વળતું નથી,થોડાં નજીક જઈએ તો સમજાય કે ઈતિહાસમાં કેટલાં જુલ્મ દાટયા છે! કેટલી કરૂણા છે, કોણે ક્યાં જઈ આશરો લીધો તે પણ સાવ અજાણ્યાં પ્રદેશમાં! આઝાદીની ચળવળ અને સંગ્રામ વચ્ચે હિજરત થઈ એ દુઃખદ પ્રકરણ હતું પણ ૨૦૧૨માં જે થયું તે રાજકીય અસ્થિરતા કે ઈચ્છાશક્તિનો અભાવ હતો! આજે યુક્રેનથી જે લોકો જયાં ધરતી મળી ત્યાં તંબુમાં, બંકરમાં જાન બચાવી શક્યાં પણ માલમત્તા ગુમાવી ચૂક્યાં છે,આંતરરાષ્ટ્રિય સંસ્થાઓ તેમને ફરી ઠરીઠામ કરાવી શકશે?આ સમજવા ફ્લેશબેકમાં જવું પડશે! ૨૦૧૨માં કોઈપણ પ્રોટોકોલ સ્વીકાર્યા વગર પાકિસ્તાની ફોજ અંધાધૂંધી ફેલાવી રહી હતી,સરહદ આસપાસ લોકોનાં ઘરમાં ગોળીનાં છિદ્રો તેમને સતત ધમકાવતાં હતાં જાન બચાવો જમીન છોડો! ૧૭ જાન્યુઆરી ૨૦૧૨ના રૂબરૂ જોયેલાં દ્રશ્યો છે. રાણી રાસમણીએ જ્યાં ભવતારીણી કાલીનું મંદિર બનાવ્યું અને રામકૃષ્ણ પરમહંસ અને માં શારદાએ કાલી ભક્તિ કરી તે દક્ષિણેશ્વર મંદિર સમીપ ગોરા,લાલચટ,કુમળા બાળકો ગંદુ પાણી વહી જતું હતું તે નહેરનાં કિનારે તંબુમાં સંકોચાઈ ભયભીત હતાં.

તેમનાં માટે આ છેલ્લું ઠેકાણું નહોતું,અલગ અલગ રાજ્યોમાં ત્રણસો આસપાસ કાશ્મીરીઓને સરહદ પર થતાં ટેંકોનાં ગોળાથી ધ્વસ્ત થતાં અટકાવવા તાત્કાલિક પાઠવવામાં આવ્યાં. ૩૫૦થી ૪૦૦ કાશ્મીરી શરણાર્થીઓ માટે કામચલાઉ સરનામું ઠેરઠેર બન્યું, જેમાંથી મોટા ભાગના બારામુલ્લા,બદાઉન અને કાશ્મીર ખીણના હતાં. બારામુલ્લા જિલ્લો જેને કાશ્મીરમાં વર્મુલ કહેવાય છે. એ જમ્મુ અને કાશ્મીરના ભારતીય કેન્દ્રશાસિત પ્રદેશમાંના 20 જિલ્લાઓમાંનો એક હતો. જિલ્લાના વહીવટી મુખ્ય મથક પર આતંકનો પડછાયો હોય ત્યારે શું થયું હશે! તેમણે ધરતી પર જેને સ્વર્ગ ગણાય છે તે ભુમિ બહાર દુનિયા જોઈ જ ન્હોતી! સ્વર્ગ પરથી પટકાયા અને ક્યાં જઈ પડ્યા હતાં! પોતાનાં જ દેશમાં વિભિન્ન રાજ્યોમાં રાજ્ય સરકાર કે શ્રીમદ્દ રાજચંદ્ર મિશન કે માનવ જ્યોત, ગુરુદ્વારા, જીવરક્ષા જેવી સામાજિક ધાર્મિક સંસ્થાઓ પર અનાજ, ઈંધણ, પીવાનું પાણી, બાળકો માટે ગરમ વસ્ત્રો અને વૈકલ્પિક સંડાસ માટે નિર્ભર થવું પડ્યું! એક આવું દ્રશ્ય મુંબઇનાં બાંદ્રામાં દેખાયું, ૫૦૦ શરણાર્થીઓ લોહી પરસેવો અને આંસુ સારતાં રહ્યાં હતાં.

શરણાર્થી શિબિરોમાં રહીને, પશ્ચિમના શાલ વણાટ કરીને, કારીગરોનું એક જૂથ આશાના ઔષધ પર હતું. પાછા ફર્યા તો જમ્મુમાં શું મળ્યું, ક્યાં હતાં માનવ અધિકાર! નામો ઘણાંનાં લખી શકાય જેમણે આપવીતી કહી,એક મહિલા ડોક્ટરે કહ્યું અમે પાછાં જીવતાં રહેવા માંગીએ છીએ! તેમણે તસ્વીરો સુદ્ધાં પ્રગટ ન કરવા આગ્રહ કર્યો, તેમણે કહ્યું કે જ્યાં સુધી અમે પાછાં ન ફરીએ ત્યાં સુધી અમારી હાલત ખાનાબદોશ જેવી રહેશે. તબુંમાં સાંકડી જગ્યા,હવામાં ઉડતાં પ્લાસ્ટિકના તિરપાલ… રસોડું, શાળા, કારીગરી,બીમારી અને ઘૂંટાતી જિંદગી સિવાય શું હતું!સમાચારોમાં પોલીસકર્મીની હત્યા,તત્કાલીન વડાપ્રધાન મનમોહનસિંહની કાશ્મીર યાત્રા,વાટાઘાટો અને મંત્રણા ! આજે ફરી શરણાર્થીઓ યુરોપ સહિત સર્વત્ર દેખાય છે તેમણે ઇતિહાસમાં ડોકિયું કરવું જોઈએ.

એક પ્રસંગ અહીં પ્રાસંગિક છે તે ભૂતપૂર્વ વડાપ્રધાન વિશ્વનાથ પ્રતાપ સિંહનો જે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી હતાં. દેશનાં તમામ અગત્યના વિભાગોના કેબિનેટ પ્રધાન બન્યાં.વી.પી.સિંઘે સત્તા સંભાળ્યાના થોડા જ દિવસોમાં પ્રથમ કટોકટીનો સામનો કરવો પડ્યો, જ્યારે કાશ્મીરી અલગાવવાદીઓ અને આતંકવાદીઓએ તેમના ગૃહ પ્રધાન મુફ્તી મોહમ્મદ સઈદ (જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન)ની પુત્રીનું અપહરણ કર્યું. તેમની સરકાર બદલામાં આતંકવાદીઓને મુક્ત કરવાની માંગ સાથે સંમત થઈ ! જે દેશમાં અમૃત મહોત્સવ ઉજવાય છે ત્યાં ૧૯૪૭નાં ઘા હજી રૂઝાયા નથી!  આ દેશમાં હજી એક મોટો આંકડો છે જેમની ગણતરી શરણાર્થીઓમાં જ થાય છે, ક્યારેક જાતિનાં નામે,ક્યારેક ભાષાનાં નામે… આપણે માનવતાના નામે,ભક્તિનાં નામે મીરાંબાઈથી આજ સુધી ઘણાં સ્વાદ ચાખ્યાં ! યુક્રેનનાં શરણાર્થીઓને નવો બોધપાઠ મળશે! આશા રાખીએ શિક્ષણ અને સાધનો તેમને સાચવી લેશે!
મુકેશ ઠક્કર -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top