National

સર્વપક્ષોનો નિર્ણય: જમ્મુ-કાશ્મીરમાં પરપ્રાંતિય લોકોના મતદાન અધિકારનો વિરોધ કરશે

જમ્મુ કાશ્મીર: (Jammu Kashmir) જમ્મુ અને કાશ્મીરના રાજકીય પક્ષોએ પરપ્રાંતિય લોકોને આપવામાં આવેલા મતદાન અધિકારના કાયદાનો વિરોધ કર્યો છે. પૂર્વ મુખ્યમંત્રી ડો. ફારૂક અબ્દુલ્લાએ (Farooq Abdulla) કહ્યું કે તેમણે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે જમ્મુ-કાશ્મીરમાં બિન-સ્થાનિક લોકોને મત આપવાના અધિકારનો વિરોધ કરવામાં આવશે. ફારુક અબ્દુલ્લાના નિવાસસ્થાને સર્વપક્ષીય બેઠક યોજાઈ હતી જેમાં પીડીપીના વડા મહેબૂબા મુફ્તી પણ હાજર હતા. નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ડૉ. ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે અમે આ મામલાને કોર્ટમાં પણ પડકારવાનો વિચાર કરી રહ્યા છીએ. NC, PDP, CPI, CPIM, કોંગ્રેસ, શિવસેનાના નેતાઓએ ફારુક અબ્દુલ્લાના નિવાસસ્થાને સર્વપક્ષીય બેઠકમાં હાજરી આપી હતી.

કેન્દ્રશાસિત પ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારી હિર્દેશ કુમારે સુધારેલી મતદાર યાદીમાં “જમ્મુ અને કાશ્મીરમાં રહેતા બિન-સ્થાનિક મતદારોનો સમાવેશ” કરવા માટે હાકલ કર્યા બાદ એનસી પ્રમુખ ફારૂક અબ્દુલ્લાએ સોમવારે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. પીપલ્સ કોન્ફરન્સ (PC)ના પ્રમુખ સજ્જાદ લોન આ બેઠકમાં હાજર ન હતા પરંતુ તેમણે પણ આ કાયદાનો વિરોધ કર્યો હતો. સજ્જાદ લોને સોમવારે કહ્યું હતું કે જો જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી દરમ્યાન મતદારોની વસ્તીને બદલવામાં આવશે તો તે સંસદની સામે ભૂખ હડતાળ પર બેસશે. મીડિયા સાથે વાત કરતા લોને કહ્યું કે લોકોનું પ્રતિનિધિત્વ અધિનિયમ (1950 અને 1951) અમારી વિરુદ્ધ નથી, અમે સરકારના ઈરાદા વિરુદ્ધ છીએ. તેમણે કહ્યું કે બિન-સ્થાનિકોના મત આપવાના અધિકાર અંગે સરકાર દ્વારા આપવામાં આવેલી સ્પષ્ટતા તેઓ સ્વીકારશે નહીં. તેમણે કહ્યું કે અમે રાહ જોઈશું અને પરિસ્થિતિ જોઈશું.

સજ્જાદ લોને કહ્યું કે મને વ્યક્તિગત રીતે ડો. ફારૂક અબ્દુલ્લા માટે ઘણું સન્માન છે, પરંતુ હું બેઠકમાં હાજર રહી શકીશ નહીં, કારણ કે જો અમારે મતદારો તરીકે બિન-સ્થાનિક લોકોને સામેલ કરવા સામે લડવા માટે કોઈ નક્કર પગલાં લેવા હોત તો મીડિયાની સામે મીટિંગ બોલાવવામાં આવી ન હોત. તેમણે પીડીપી પ્રમુખ મહેબૂબા મુફ્તી પર આરોપ લગાવ્યો કે તેમણે આ બેઠકો દ્વારા ગુમાવેલી સત્તા પાછી મેળવવાનો પ્રયાસ કર્યો. એવું કહેવામાં આવી રહ્યું છે કે મુફ્તીએ ડોક્ટર અબ્દુલ્લાને આ મુદ્દા પર ચર્ચા કરવા માટે સર્વપક્ષીય બેઠક બોલાવવાની વિનંતી કરી હતી. સજ્જાદે કહ્યું કે એકતાના દાવાઓ છતાં સ્થાનિક રાજકારણીઓ એકબીજાની વિરુદ્ધ બોલી રહ્યા છે. જેનાથી એવી છાપ ઉપજે છે કે તેઓ સ્થાનિક રાજકીય પક્ષો વચ્ચે એકતા બનાવવા માટે ગંભીર નથી.

આ પહેલાં ઉચ્ચ સુરક્ષાવાળા ગુપકર વિસ્તારમાં એનસી પ્રમુખ ફારૂક અબ્દુલ્લાના નિવાસસ્થાને આજે સવારે આ બેઠક શરૂ થઈ હતી અને તેમાં એનસીના નેતાઓ, પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી)ના વડા મહેબૂબા મુફ્તી, કોંગ્રેસના જમ્મુ અને કાશ્મીર એકમના પ્રમુખ વિકાર રસૂલ, કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઈન્ડિયા (ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી) ના નેતા એમ.વાય. તારીગામી અને શિવસેનાના નેતાઓએ ભાગ લીધો હતો. વહીવટીતંત્રે જોકે શનિવારે એક સ્પષ્ટતા જારી કરીને જણાવ્યું હતું કે સંક્ષિપ્ત સુધારણા પછી 2.5 મિલિયનથી વધુ મતદારો મતદાર યાદીમાં જોડાયા હોવાના અહેવાલો નિહિત હિતોને કારણે તોડી મરોડીને પ્રસ્તુત કરવામાં આવ્યા છે.

શું કહે છે નેતાઓ?
એનસી અને પીડીપી જેવા પક્ષોએ દાવો કર્યો હતો કે વહીવટીતંત્રે તેમની મુખ્ય ચિંતાનું સમાધાન કર્યું નથી કે જમ્મુ કાશ્મીરમાં સામાન્ય રીતે રહેતા “બહારના લોકો” ને મતદારો તરીકે પોતાની નોંધણી કરવાની મંજૂરી આપવામાં આવશે કે નહીં. ખુલાસાથી સંતુષ્ટ ન થતાં તેમણે સર્વપક્ષીય બેઠક યોજવાનું નક્કી કર્યું. બીજી તરફ લોને પત્રકારોને જણાવ્યું હતું કે આ બેઠક ફક્ત ચર્ચામાં રહેવાની કવાયત જેવી લાગે છે અને તે તેનો ભાગ બનવાનું તે પસંદ કરશે નહીં.

Most Popular

To Top