SURAT

જેની સાથે પ્રેમમાં ભાગી લગ્ન કર્યાં એણે જ માથામાં કૂકર મારી હત્યા કરી, સુરતમાં પ્રેમિકાને પ્રેમના બદલામાં મોત મળ્યું

સુરત: (Surat) સુરતમાં એક યુવતીને પ્રેમ (Love) કરવો ભારે પડ્યો છે. સમાજ અને માતા-પિતાની ચિંતા કર્યા વિના સર્વસ્વ છોડીને યુવતીએ પ્રેમી સાથે ભાગી લગ્ન કર્યા હતા, પરંતુ આ તેના જીવનની સૌથી મોટી ભૂલ સાબિત થઈ છે. જેને પ્રેમ કરતી હતી તે પ્રેમીએ પતિ બન્યા બાદ પોતાનું પોત પ્રકાશ્યું હતું અને ચરિત્ર પર શંકા (Doubt over character) કરી તેના માથામાં કૂકર મારી હત્યા (Murder) કરી દીધી હતી.

ઉત્રાણ (Utran) ખાતે રહેતી પરિણીતાની હત્યા તેના જ પતિએ કરી હોવાનો મામલો બહાર આવ્યો છે. અમરોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કતારગામ ખાતે આંબા તલાવડી ગીરનાર મહોલ્લામાં રહેતા 40 વર્ષીય સુરેશભાઇ સુખદેવભાઇ રાઠોડે અમરોલી પોલીસ સ્ટેશનમાં સૂરજભાઇ સંતોષભાઇ પટેલ (રહે.,ઘર નં.૦૭, જીતેશ્વર મહાદેવની ચાલ, ધાબાનો વડ, હળપતિવાસ, કોમ્યુનિટી હોલની પાછળ, ઉત્રાણ, અમરોલી) ની સામે હત્યાનો ગુનો નોંધાવ્યો હતો. સુરેશની બહેન આરતી છ વર્ષ પહેલાં સૂરજ સાથે ભાગી ગઈ હતી. અને સૂરજ સાથે જ પત્ની તરીકે રહેતી હતી.

સાતેક મહિનાથી ઘર નં.૦૭, જીતેશ્વર મહાદેવની ચાલ ખાતે રહેતી હતી. સૂરજ છેલ્લા પંદર દિવસથી આરતીના ચરિત્ર ઉપર શંકા રાખી મારઝૂડ કરતો હતો. ગત તા.16 તથા 17 ડિસેમ્બરે પણ સાંજે સૂરજ પટેલે આરતીના ચરિત્ર ઉપર શંકા કરી હતી. અને ઢીકમુક્કીથી મોં, હાથ-પગ, લાકડાના સપાટાનો માર, માથામાં કૂકર મારી હત્યા કરી હતી. આમ જેની સાથે પ્રેમમાં આંધળી બનીને ભાગી ગઈ હતી, તે પતિએ જ પરિણીતાના ચારિત્ર્ય પર શંકા રાખીને ઢીકમુક્કીનો મારમારી માથામાં કૂકર મારી હત્યા કરી હતી. પરિણીતાના ભાઈની ફરિયાદના આધારે અમરોલી પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top