હાઉસિંગ સોસાયટીઓમાં જ્યારે મકાન રિ-સેલ થાય ત્યારે સોસાયટીની કમિટીઓ દ્વારા ટ્રાન્સફર ફીની વસૂલાત કરવામાં આવતી હોય છે. અત્યાર સુધી હાઉસિંગ સોસાયટીઓ દ્વારા પોતાની મરજી પ્રમાણે ફીની વસૂલાત કરાતી હતી, પરંતુ હવે આ મામલે સરકારે એક મહત્ત્વનો નિર્ણય લીધો છે.
રાજ્યમાં 30,000થી વધુ હાઉસિંગ અને હાઉસિંગ સર્વિસ સોસાયટીઓ આવેલી છે. આ સોસાયટીઓનું મેનેજમેન્ટ સહકારી કાયદા મુજબ કરવામાં આવતું હોય છે. આ સોસાયટીઓમાં જ્યારે કોઈ વ્યક્તિ દ્વારા મકાનની ખરીદી કરવામાં આવતી હોય છે ત્યારે સોસાયટી મેનેજમેન્ટ દ્વારા તે વ્યકિત પાસેથી ટ્રાન્સફર ફી વસૂલવામાં આવતી હોય છે.
આ ટ્રાન્સફર ફી બાબતે સહકારી કાયદા અને નિયમોમાં જોગવાઈનો અત્યાર સુધી અભાવ હતો, જેના લીધે સોસાયટીઓ દ્વારા મનમાની કરાતી હતી. ઘર ખરીદનાર પાસેથી મોટી ટ્રાન્સફર ફી વસૂલમાં આવતી હતી, જે અંગે અનેક ફરિયાદો રાજ્ય સરકારને મળી હતી.
આખરે આ મામલે રાજ્ય સરકારે મધ્યસ્થી કરતા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારના સહકાર મંત્રી વિશ્વકર્માએ જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા આવી હાઉસિંગ અને હાઉસિંગ સર્વિસ સોસાયટીઓમાં થતી હેરાનગતિને અટકાવવા, ટ્રાન્સફર સંબંધિત જરૂરી કાયદા અને નિયમો બનાવવાનું નક્કી કરાયું હતું, જેના અનુસંધાને વર્ષ 2024માં સહકારી કાયદામાં સુધારો કરવામાં આવ્યો હતો.
રાજ્ય સરકાર દ્વારા સહકારી કાયદામાં થયેલ સુધારા બાદ હાઉસિંગ અને હાઉસિંગ સર્વિસ સોસાયટીઓમાં કોઈપણ ઘરની ખરીદ/ વેચાણ સમયે કુલ અવેજ રકમના 0.5 ટકા અથવા વધુમાં વધુ રૂપિયા 1 લાખ કરતાં કોઈ વધુ ટ્રાન્સફર ફી વસૂલ કરી શકશે નહી તેવી જોગવાઇ કરવામાં આવી છે.
નવી જોગવાઈ શું છે?
આ ટ્રાન્સફર ફી ની જોગવાઈ વધુમાં વધુ છે જેથી હાઉસિંગ અને હાઉસિંગ સર્વિસ સોસાયટીઓ પોતાની મેળે તે રકમમાં ઘટાડો કરી અને તેઓના ઉપનિયમોમાં જોગવાઈ કરી શકે છે પરંતુ કોઈ પણ સંજોગોમાં આ રકમથી વધુ રકમ તેઓ વસૂલ કરી શકશે નહીં.
આ ઉપરાંત કોઈપણ કાયદેસરના વારસદારને જો કોઈ અવેજ વગર મિલકત ટ્રાન્સફર કરાઈ હશે તો ટ્રાન્સફર ફી લઈ શકાશે નહીં. ઉપરાંત કોઇ પણ વ્યકિત પાસેથી ડેવલપમેન્ટ ચાર્જ, દાન કે અન્ય કોઈપણ નામે ટ્રાન્સફર સમયે કોઈપણ રકમ સોસાયટીઓ વસૂલ કરી શકશે નહીં.
હેરાનગતિ બંધ થશે
રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા આ નિર્ણયથી આવી સોસાયટીઓની કામગીરીમાં નિયમિતતા આવશે. આ સોસાયટીઓ સાથે જોડાનાર લાખો સભાસદોને પણ ભવિષ્યમાં મોટી રાહત મળશે. સોસાયટી મેનેજમેન્ટ દ્વારા કરાતી કાર્યવાહીથી ઘર ખરીદનાર વ્યક્તિ બચી શકશે. રાજ્ય સરકારના આ નિર્ણયનું સર્વત્રે ખૂબ જ આવકારદાયક પગલું ગણવામાં આવી રહ્યું છે.
