Gujarat

રાજ્યમાં વાવાઝોડાથી ૧૬ હોસ્પિટલોમાં વીજ પૂરવઠો ખોરવાયો

તાઉતે વાવાઝોડાના પગલે રાજ્યમાં કોરોનાના દર્દીઓ ના હોય તેવી ૧૬ હોસ્પિટલોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો, જો કે વીજ વિભાગની ટીમો દ્વારા ૧૨ હોસ્પિટલોમાં વીજ પુરવઠો પુન ચાલુ કરી દેવાયો હતો.

ગાંધીનગરમાં તાઉતે વાવાઝોડાની અસર અંગે વિગતો આપતાં ઊર્જા વિભાગના અધિક મુખ્ય સચિવ સુનયના તોમરે જણાવ્યું હતું કે ‘તાઉતે’ વાવાઝોડાના કારણે રાજ્યની કુલ ૮૧ કોવિડ હોસ્પિટલ, ૧૬ જેટલી અન્ય હોસ્પિટલ તથા ૧૯ જેટલા ઑક્સિજન રિફીલિંગ પ્લાન્ટનો વીજ પુરવઠો ખોરવાતા પાવર બેકઅપ પર કાર્યરત કરવામાં આવી હતી.

જેમાંથી ૨૯ કોવિડ હોસ્પિટલ, ૧૨ અન્ય હોસ્પિટલ તેમજ ૬ ઑક્સિજન યુનિટનો વીજપુરવઠો પૂર્વવત કરવામાં આવ્યો છે. જ્યારે હાલ પાવર બેકઅપ પર કાર્યરત ૫૨ જેટલી કોવિડ હોસ્પિટલ્સ, ૪ અન્ય હોસ્પિટલ્સ તેમજ ૧૩ ઑક્સિજન પ્લાન્ટનો વીજપુરવઠો પૂર્વવત કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.

અમદાવાદની ૩ પૈકી ૧, અમરેલીની ૨૧ પૈકી ૨, અરવલ્લીની ૧, ભાવનગરની ૧૧ પૈકી ૧, દેવભૂમિ દ્વારકાની ૧, ગિરસોમનાથની ૯ પૈકી ૧, જુનાગઢની ૪ પૈકી ૨, મોરબીની ૬, પંચમહાલની ૨, રાજકોટની ૮ પૈકી ૩, સાબરકાંઠાની ૧, જ્યારે સુરતની ૧૩ પૈકી ૮ કોવિડ હોસ્પિટલમાં વીજપુરવઠો પૂર્વવત કરવામાં આવ્યો છે. આ જ રીતે, મોરબીની ૧૧ તથા અમદાવાદની ૧ નોન-કોવિડ હોસ્પિટલમાં વીજપુરવઠો પૂર્વવત કરાયો છે, જ્યારે જુનાગઢની ૩ તેમજ સુરતની ૧ હોસ્પિટલ હાલ પાવર બેકઅપ પર કાર્યરત છે, જેનો વીજપુરવઠો ઝડપથી પૂર્વવત કરવાની કામગીરી ચાલી રહી છે.

રાજ્યના આટલા ઑક્સિજન પ્લાન્ટમાં અસર
રાજ્યના ઑક્સિજન પ્લાન્ટના વીજ પુરવઠાની વિગતો આપતા તેમણે કહ્યું હતું કે રાજકોટના ૬ પૈકી ૪ તથા સુરતના ૩માંથી ૨ ઑક્સિજન રિફીલિંગ પ્લાન્ટનો વીજપુરવઠો પૂર્વવત કરાયો છે. જ્યારે ભાવનગરના એક ઑક્સિજન મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સહિત કુલ ૯ પ્લાન્ટ તથા અમરેલીનો એક રિફીલિંગ પ્લાન્ટ હાલ પાવર બેકઅપ પર ચાલી રહ્યો છે. જેને ટૂંક સમયમાં ફરીથી વીજ પુરવઠા પર કાર્યરત કરવામાં આવશે.રાજ્યમાં વાવાઝોડાથી ૧૬ હોસ્પિટલોમાં વીજ પૂરવઠો ખોરવાયો

Most Popular

To Top