Comments

ગુજરાતના શિક્ષણક્ષેત્રમાં સર્વગ્રાહી ‘સ્વચ્છતા’ જરૂરી છે

રાજયના આદરણીય વડાએ સ્વચ્છંતાનો સંદેશ આપનાર મહાત્મા ગાંધીની વિદ્યાપીઠમાંથી કચરો સાફ કરાવ્યો તે ગુજરાતના શિક્ષણ જગતમાં ચર્ચાસ્પદ બન્યું છે. મુખ્ય મુદ્દો ગુજરાત વિદ્યાપીઠમાંથી કચરો સાફ થયો તે નથી. ચર્ચાનો વિષય એ પણ નથી કે રાજયપાલે ગુજરાત વિદ્યાપીઠની જ તપાસ કરવી જોઇએ કે સમગ્ર રાજયની તમામ શિક્ષણ સંસ્થાની. મુદ્દો એ છે કે સરકાર પોતે જ સ્વચ્છતા અભિયાન ચલાવે છે. આઝાદીનાં 75 વર્ષ પછી અને વિજ્ઞાન ટેકનોલોજીના યુગમાં સ્વચ્છતા અભિયાન ચલાવવું પડે તે જ ગૌરવપૂર્ણ છે કે શરમજનક તે ચર્ચાવું જોઇએ અને જો શિક્ષણ ક્ષેત્રની વાત આવે તો પ્રાથમિક શાળાથી માંડીને યુનિવર્સિટી સુધી તમામ જગ્યાઓ સ્વચ્છ જ હોવી જોઇએ. સત્તાવાળાએ તમામ શિક્ષણ સંસ્થામાં પાયાની જરૂરિયાત જેની સ્વચ્છતા જળવાવી જોઇએ! અને જો પ્રજામાં વૈચારિક સજ્જતા પુખ્તતા જોવા માંગતા હોઇએ તો શિક્ષણ ક્ષેત્રમાં બધા જ પ્રકારની ‘સ્વચ્છતા’નું અભિયાન ચલાવવા જેવું છે.

ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે ખાનગીકરણ બાદ જયાં ઘાસ ના ઊગે તેવી જમીનમાં શાળા-કોલેજો ઊગી નીકળી. બંધારણના ઘડવૈયાઓએ સમાજનું પ્રતિનિધિત્વ જળવાય તેવા આશયથી શાળા-શિક્ષણ બોર્ડ કે યુનિવર્સિટીમાં શિક્ષણ સિવાયના ક્ષેત્રના પ્રતિનિધિ મૂકવાની વ્યવસ્થા ગોઠવી હતી. હવે આ જ વ્યવસ્થાનો લાભ લઇ ખાનગી શાળા કોલેજોના સંચાલકો, રાજકારણીઓ, માથાભારે તત્ત્વો આ સત્તામંડળોમાં બેસી ગયા છે અને પ્રવેશ, પરીક્ષા, મૂલ્યાંકન સહિતના નિર્ણયને દુરસ્ત કરે છે. કોલેજોમાં સ્વચ્છતાનો મુદ્દો ચર્ચાયા બાદ એક અધ્યાપકે કહ્યું કે ‘જો અત્યારે અમારી સંસ્થામાં સફાઇ કરવામાં આવે તો કોથળા ભરીને માઇક્રો ઝેરોક્ષની ‘કાપલી’ઓ નીકળે!’ આ વાત બતાવે છે કે આપણી શિક્ષણ સંસ્થાઓમાં પરીક્ષા કેટલી પ્રદૂષિત થઇ ગઇ છે.

વિદ્યાર્થીઓ વર્ગખંડમાં આવતા જ નથી. ફી ભરો અને પરીક્ષા આપોની સ્કિમે શિક્ષણજગતને પ્રદૂષિત કર્યું છે. ગુજરાતના તળ ગામડાંની પ્રાથમિક શાળાઓ અને કોલેજોની હાલત લગભગ એકસરખી છે. માત્ર શિક્ષકો અધ્યાપકો હાજર હોય છે. વિદ્યાર્થીઓ ગાયબ! આ સંસ્થાઓમાં શિક્ષણકાર્ય ભાગ્યે જ થાય છે. વળી સેમેસ્ટર પ્રથા અને દર ચાર મહિને યોજાતી પરીક્ષાઓ આ શિક્ષણની રહી સહી શકયતા ખંખેરી નાખી છે. જેમ શિક્ષણ સંસ્થાઓમાંથી કચરો કાઢવાની જરૂર છે તેટલી જ જરૂર શિક્ષણ સંસ્થાઓમાં શિક્ષકોને લાવવાની છે. સ્વચ્છતાનો વિશાળ અર્થ નાણાંકીય ભ્રષ્ટાચાર અને સંબંધોના વ્યભિચાર અને મૂલ્યોના અનાચારમુકત થવાનો છે.

આપણા શિક્ષણની તમામ શાખાઓમાં ત્રણેય રીતે ગંદકી છે. શાળા કોલેજો કમાણીની રીતે કોઇ શરમ રાખ્યા વગર જાત જાતની ફી ઉઘરાવે છે. આ ખુલ્લી લૂંટ માટે પણ સરકારે નિયમનકારી પગલાં લેવાની જરૂર છે. આપણે જયારે શિક્ષણની વાત કરીએ ત્યારે આર્ટસ, કોમર્સ, સાયન્સના પરંપરાગત કોર્ષની જ વાત કરીએ છીએ. ખરેખર તો મેડીકલ કોલેજો, એન્જિનિયરીંગ કોલેજો, બી.એડ. કોલેજો, પી.ટી.ની કોલેજો તમામની વાત થવી જોઇએ. મેડીકલ કોલેજોમાં અધ્યાપકોની અછત છે. જયારે જયારે તપાસ સમિતિ આવે ત્યારે ત્યારે અધ્યાપકો એક મેડીકલ કોલેજમાંથી બીજી મેડીકલ કોલેજમાં મોકલવા પડે છે.

આપણે ભૌતિક અસ્વચ્છતાની સાથે જ નૈતિક /સૂક્ષ્મ અસ્વચ્છતા ત્યજવાનો વિચાર કરવા જેવો છે. ભણ્યા વગર ડીગ્રી મેળવવી, ભણાવ્યા વગર ફી મેળવવી, અભ્યાસ અધ્યયન કર્યા વગર પગાર મેળવવો આ તમામ અસ્વચ્છતા જ છે! વિદ્યાર્થીઓ વાંચતાં થાય, વર્ગ ખંડમાં આવતાં થાય. અધ્યાપકો અભ્યાસ કરતાં થાય. વિશાળ વાચનને અનુસરતાં થાય. શાળા કોલેજો વાજબી ફી લેતા થાય. પ્રાથમિક શાળાથી માંડીને કોલેજ સુધીની પરીક્ષાઓ વ્યાપક કોપીમાંથી મુકત થાય. તે શિક્ષણ ક્ષેત્રને ખરા અર્થમાં શુધ્ધ બનાવશે!

ગામડાંની પ્રાથમિક શાળામાં શૌચાલયોની દયનીય હાલત છે. પીવાના ચોખ્ખા પાણીની વ્યવસ્થા જ નથી. કુમાર શાળાઓ તો ઠીક કન્યાશાળાઓમાં પ્રાથમિક સુવિધા શરમજનક છે. જો રાજયાલ સમગ્ર રાજયના વડા તરીકે સ્વચ્છતા અભિયાન ચલાવવા માંગતા હોય અને ગુજરાત સરકાર વડા પ્રધાનના સ્વચ્છતા અભિયાનને ખરેખર અમલમાં એમૂકવા માંગતી હોય તો રાજકારણને બાજુમાં મૂકીને સત્વરે રાજયની તમામ શાળાઓમાં તાકીદના ધોરણે શૌચાલય અને પીવાના પાણીની સુવિધા સુધારવા તરફ ધ્યાન છે! માતા પિતા ખરા અર્થમાં બાળકોને જ્ઞાન માર્ગે વાળવા માંગતાં હોય તો તેમને નિયમિત શાળા કોલેજોમાં મોકલે અને તેઓ ખરેખર શું ભણે છે તેના પર ધ્યાન આપે! કોલેજમાં ભણતાં દીકરા-દીકરીઓના વાલીઓ ફકત એક વાર જો પૂછે કે ‘બેટા, તારાં પુસ્તકો કયાં?’ તો તેમનાં સંતાનો ખરેખર શું ભણી રહ્યા છે તેનો તેમને ખ્યાલ આવશે! બાકી આ સ્વચ્છતા અભિયાન સરકારી પરિપત્રો અને છાપાનાં ચર્ચાપત્રોમાં સીમિત થઇ જશે!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top