Comments

શું ગુજરાતીઓને આ અરાજકતા સદી ગઈ છે? કેટલું બધું આપણે ચલાવી લઈએ છીએ?

બોલો કોની ચર્ચા કરશો? વડોદરાના અકસ્માતની? અમદાવાદમાં ટોળાઓ દ્વારા થતી જાહેર હિંસાની? નિવૃત્ત કર્મચારીઓના અટવાયેલા પેન્શનની? કે ગુજરાત ભાજપમાં નવા પ્રદેશ પ્રમુખ ક્યારે આવશે તેની? ખરી વાતતો એ છે કે ચારે તરફ અરાજકતા છે અનિર્ણાયકતા છે આપણે માત્ર છૂટક ઘટનાઓની ચર્ચા કરીએ છીએ અને પછી ભાજપ કોંગ્રેસમાં વહેંચાઈ જઇએ છીએ. હકીકત એ છે કે ગુજરાતમાં ભાજપ સત્તામાં છે પણ શાસનમાં નથી. સત્તામાં હોવું અને શાસનમાં હોવું તે બાબતમાં ફેર છે. રીક્ષાવાલાનાં યુનિયન, સ્કુલ સંચાલકોના યુનિયન, બિલ્ડર લોબી, નેતાઓ અને અધિકારીઓના મળતિયાની હોસ્પિટલ અને શાળા કોલેજો… આ બધાને સતત ખુશ રાખીને ચુંટણી જીતી જવાય છે બાકી વિરોધ કરો તો ઘર ભેગા થવાનો વારો આવે.

આતો ઉપરાઉપરી દુર્ઘટના બની એટલે આપણે જાગ્યા પણ જાગ્યા ત્યારે ખબર પડી કે એમ જાગીને તરત નિયમના ડંડા પછાડી શકાય તેવી આપણી હાલત નથી. કોઇપણ સરકાર રાતોરાત નિયમ મુજબ દેશ ચલાવવા જાય તો દેશ ઉભો રહી જાય. આ સ્થિતિને જ અરાજકતા કહેવાય. બૌદ્ધિક લોકો આને અનિવાર્ય દુષણ ગણે છે પણ મૂળ આ ચાલાક રાજનેતાઓ અને સ્થાપિત હિતોની રાજરમત છે. ક્યાં જશે? એવો સ્પષ્ટ મત તે ધરાવે છે. પ્રજા જ જાતે કહેશે કે રહેવા દો કાયદા નથી પાળવા, ચાલે તેમ ચાલવાદો. પણ ખરેખર આવું હોવું ના જોઈએ પ્રજાએ પોતે પોતાના પ્રશ્નો માટે જાગવું જોઈએ. આ બની તે ઘટનાઓ ભૌતિક છે આ સિવાય પણ ઘણું અભૌતિક આપણી આજુબાજુ બની રહ્યું છે તેના માટે આપણે જાગૃત સમજ કેળવવો પડશે.

સરકાર ખરેખર નક્કી કરે કે નકશામાં મજુરી લીધી હોય તે સિવાયના બાંધકામ બ્લોક કરવા, પુસ્તકાલય, રમત મેદાનનાં હોય તે નિયમ અનુસાર પગાર ના આપતા હોય તે શાળા કોલેજો બંધ કરવા, પુરતી સગવડ વગરનાં સિનેમાઘર બંધ કરવા, રસ્તા પરના ગેરકાયદે બાંધકામ દબાણ દુર કરવા, સોશ્યલ મીડિયામાં નફરત ફેલાવતા ખરા તત્વો ઝેર કરવા, દારુની હેરા ફેરી સદંતર રોકી દેવી. માત્ર પી.યુ.સી.સર્ટિ નહિ ખરેખર ચેકિંગ કરીને પ્રદુષણ ફેલાવતા વાહનો રોકવા, ગેરકાયદે વાહનવ્યવહાર, શટલ ગાડીઓ રોકી દેવી… લિસ્ટ લાંબુ છે પણ એટલું ચોક્કસ છે કે છેલ્લા વર્ષોમાં આપણા જાહેર જીવનમાં આપણે કાયદા નેવે મૂકીને જીવન ચલાવ્યું છે કે કાયદો પાળવો અને નિયમમાં રહેવું હવે પોસાય તેવું નથી.

ગુજરાતના નાગરિકોની ચિંતાનો ખરો વિષય છે. કોન્ટ્રાકટ સિસ્ટમમાં યુવાનોનું થતું શોષણ, સરકારી નોકરીનો અભાવ, વધતા જતા ભાવ, પાયાની સામાજિક-સામુહિક સેવાઓનું ખાનગી કારણ આપણી ચિંતાનો વિષય છે જ. જીવવું મોઘું છે, માંદા પડવું પણ મોઘું છે, બાળકોને ભણાવવું મોઘું છે. પણ હવે આપણી નવી ચિંતાનો વિષય છે ગુજરાતના યુવાનોમાં ડ્રગ્સનું વધતું દૂષણ ગાંધીબાપુનાં ગુજરાતમાં દારુ બંધી છે છતાં દારુ વેચાય છે એમ ઘણા મને છે પણ હવે તો ડ્રગ્સ વેચાયા છે અને તે પણ ઓનલાઈન એ કેટલા જાણે છે? આપણે કદી આપણાં બાળકો ક્યાં, કોને મળે છે તેની ખબર રાખીએ છીએ? એમના મોબાઈલની કિંમત પણ ઘણાં મા-બાપ જાણતા નથી. જો બાળકો મોંઘા મોબાઈલ વાપરે છે તો તે ક્યાંથી આવ્યા? આ પ્રશ્ન થવો જોઈએ.

આજે સો રૂપિયાને પાર વેચાતું પેટ્રોલ એ કેવી રીતે ભરાવે છે? અને બાઈક પર ક્યાં ફરે છે તે આપણી ચિંતાનો વિષય છે? ક્યારેક તેની વોટ્સેપ ચેટ આપણે તપાસતા રહીએ તો પોલીસને નહી તપાસવી પડે. આજે કાળા કારોબાર કરનારા આધુનિક બની ગયા છે. ટેકનોલોજીનાં ઉપયોગથી ઓર્ડર લેવાયા છે. હોમ ડિલીવરી કે હેન્ડ ટુ હેન્ડ ડિલીવરી થયા છે ત્યારે, આ ડ્રગ્સનાં દૂષણમાં આપણા પાલ્ય નથી સપડાયા તે જોવું પડશે. ગુજરાતના માતાપિતા દીકરોદીકરી બીજા ગોળમાં કે બીજી જ્ઞાતિમાં ન પરણે તે માટે સતત ચિંતિત હોય છે. બીજા ધર્મમાં ન પરણે એતો ચિંતા સરકાર પણ કરે છે. પણ આ જ બાળક ખોટા રવાડેના ચડે એ ડ્રગ્સનાં બંધાણી ના બને એ માટે કોઈ ચિંતા કરતુ નથી.

છાપામાં ડર અઠવાડિયે ડ્રગ્સ સાથે માણસ પકડાયા ના સમાચાર છપાય છે. ગુજરતના અગ્રણી અખબાર તથા સામયિકો હવે ડ્રગ્સ વિશે કવર સ્ટોરી કરતા થયા છે. ગુજરતના પોર્ટ પર ૨૦૦૦ કરોડના ડ્રગ્સ પકડાયાના સમાચાર તાજા જ છે. પણ આ વચ્ચેથી ઉપસી આવતું સત્ય એ છે કે ગુજરાતમાં ડ્રગ્સનો કાળો કારોબાર હવે મોટો વ્યાપક અને કરોડોનો ધંધો છે. સ્વાભાવિક છે તંત્ર પણ આમાંથી કંઈક મેળવતું હોય. સત્તાનાં સાથ વગર આટલો મોટો એટલો ખોટો અને એટલો લાંબો સમય કોઈ કારોબાર ચાલે નહિ. પણ આપણો ઈરાદાઓ રાજકીય આક્ષેપો કરવાનો નથી. આપણો ઈરાદો પ્રજાને જાગૃત કરવાનો છે. એક દેશ ચલાવવા માટે કેટલું બધું ચલાવી લેવું પડે છે? આપણને અરાજકતા સદી ગઈ છે. સરકારનો વિરોધ તો ઠીક પણ આપણે સવાલ કરતા પણ ડરીએ છીએ અને આપણી યુવા પેઢી બરબાદ થઇ રહી છે.  
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top