National

દોઢ વર્ષમાં 10 લાખ નોકરીઓ મળશે, PM મોદીએ તમામ વિભાગો અને મંત્રાલયોને ભરતી માટે આપ્યા નિર્દેશ

નવી દિલ્હી: (New Delhi) સરકારી નોકરીની (Government Job) તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર છે. આગામી દોઢ વર્ષમાં સરકાર વિવિધ વિભાગોમાં 10 લાખ જગ્યાઓ પર ભરતી કરશે. આ ભરતી કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો અને મંત્રાલયો હેઠળ હાથ ધરવામાં આવશે. સરકારના આ પગલાથી દેશના કરોડો યુવાનોને રાહત મળવાની આશા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) તમામ વિભાગો અને મંત્રાલયોમાં કર્મચારીઓની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ આ નોકરીઓ આપવાનો આદેશ આપ્યો છે.

સરકારના આ પગલા માટે વડાપ્રધાન કચેરી એટલે કે પીએમઓ (PMO ) દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે. PMO દ્વારા કરવામાં આવેલા ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે PM નરેન્દ્ર મોદીએ તમામ વિભાગો અને મંત્રાલયોમાં માનવ સંસાધનની સ્થિતિની સમીક્ષા કરી અને નિર્દેશ આપ્યો કે સરકાર આગામી 1.5 વર્ષમાં મિશન મોડમાં 10 લાખ લોકોની ભરતી કરે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પીએમ મોદીએ ગત એપ્રિલમાં પણ સરકારના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી તેમણે અધિકારીઓને સરકારના વિવિધ વિભાગોમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયાને પ્રાથમિકતા આપવા જણાવ્યું હતું. જેથી દેશમાં યુવાનો માટે તકો ઊભી કરી શકાય. તમને જણાવી દઈએ કે છેલ્લા ઘણા સમયથી બેરોજગારીના મુદ્દે વિપક્ષ દ્વારા મોદી સરકારની ટીકા કરવામાં આવી રહી છે. દરમિયાન, સરકાર દ્વારા આટલી મોટી સંખ્યામાં ભરતીને લીલી ઝંડી આપવામાં આવી છે. આ ભરતીઓ કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો અને મંત્રાલયો દ્વારા આગામી 1.5 વર્ષ એટલે કે ડિસેમ્બર 2023 સુધી હાથ ધરવામાં આવશે. 

તમને જણાવી દઈએ કે રોજગાર મુદ્દે વિપક્ષ મોદી સરકારને સતત ઘેરી રહ્યો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને અન્ય નેતાઓ રોજગાર પર પીએમ મોદી અને બીજેપીના શબ્દો વારંવાર યાદ કરાવે છે. ખાસ કરીને દર વર્ષે બે કરોડ નોકરીઓના વચન પર તમામ વિપક્ષી પાર્ટીઓ અને નેતાઓ મોદી સરકારને ઘેરી રહ્યા છે. ચૂંટણીમાં પણ આ મુદ્દો રહ્યો છે. બિહાર વિધાનસભા ચૂંટણીમાં આરજેડી નેતા તેજસ્વીએ સરકારી નોકરીઓના વચન પર એનડીએ વિરુદ્ધ પ્રચાર કર્યો હતો, અને નોકરી આપવાના વચન સાથે સારા પરિણામો મળ્યા હતા. હવે જ્યારે પીએમ મોદીએ નવો વાયદો કર્યો છે તો તેના પર પણ સવાલો ઉઠી રહ્યા છે.

પીએમઓ દ્વારા ટ્વીટ કર્યા બાદ પણ કોંગ્રેસે તેના પર સવાલ ઉઠાવ્યા છે. રણદીપ સુરજેવાલાએ કહ્યું, ‘કહેવાય છે કે 900 ઉંદરો ખાધા પછી બિલાડી હજ પર ગઈ. છેલ્લા 50 વર્ષમાં બેરોજગારીનો દર સૌથી વધુ વધ્યો છે. રૂપિયો 75 વર્ષમાં સૌથી નીચા ભાવે છે. ક્યાં સુધી પીએમ ટ્વિટર ચલાવીને આ બાબતો પરથી ધ્યાન હટાવશે?

Most Popular

To Top