Comments

સશસ્ત્ર દળોને અબાધિત સત્તા અપાય?

What is Armed Forces (Special Powers) Act, and where is it in force? - The  Hindu

નાગ પ્રદેશમાં સૈન્ય દ્વારા ૧૪ ભારતીયોને મારી નાંખવાની ઘટનાએ સશસ્ત્ર દળોની વિશિષ્ટ સત્તાના કાયદા – આફસ્પાને પાછો ખેંચી લેવાની માંગને ફરી સતેજ કરી છે. પૂર્વાંચલના બે મુખ્ય પ્રધાનોએ કહ્યું કે અમારાં રાજયોમાંથી આ કાયદો જાય એમ અમે ઇચ્છીએ છીએ. આ મહિનામાં હવે પછી નાગ પ્રદેશ વિધાનસભાની ખાસ બેઠક મળશે અને તેમના રાજયમાંથી આ કાયદો રદ કરવાની માંગણી કરશે. આ કાયદાની તરફેણમાં કે વિરુધ્ધમાં કંઇ કહીએ તે પહેલાં બે વાત પૂછવાની છે: આ વિશિષ્ટ સત્તા શું છે? અને તે પાછી ખેંચવાનો મતલબ શું છે?

આ કાયદાની ચાવીરૂપ જોગવાઇ પોલીસ, લશ્કરી દળ અને અર્ધ લશ્કરી દળના જવાનોને અપાયેલી એ અબાધિત સત્તા છે જેના અન્વયે તે જાહેર વ્યવસ્થા જાળવવા માટે જરૂરી લાગે તો ગોળીબાર પણ કરી શકે. દળ ‘મૃત્યુ નિપજાવે તેવા બળનો પણ ઉપયોગ કરી શકે અને કેન્દ્ર સરકારની મંજૂરી વગર તેમની સામે કામ પણ નહીં ચલાવી શકાય. બીજું કે હુમલો થઇ શકે તેવા કોઇ પણ ‘અડ્ડા’ કે કિલ્લેબંધી લાગે તેવા કોઇ પણ સ્થળનો તેઓ નાશ કરી શકે છે. તેઓ ધારે તેને વોરંટ વગર પકડી શકે અને ધરપકડ કરવા માટે બળપ્રયોગ કરી શકે.

Meghalaya High Court's order seeking imposition of draconian AFSPA invites  protests

રાજય દ્વારા જ જયારે જે સ્થળને શત્રુતાભર્યું જાહેર કર્યું હોય ત્યાં સશસ્ત્ર દળોને તમે આટલી સ્વતંત્રતા આપી દો તો બીજું શું થાય તેની કલ્પના કરવાનું મુશ્કેલ નથી. પાછું ખેંચવું એટલે શું? કોઇ વ્યકિત પર ગુનો કરવાનો આરોપ મૂકાય અને એફ.આઇ.આર. નોંધાય પછી પોલીસ શું તપાસ કરે અને પ્રાથમિક પુરાવા  મેળવે અને તહોમતનામું મૂકયા બાદ અદાલતમાં તે વ્યકિત સામે ખટલો ચાલે. જો સદરહુ વ્યકિત ગુનેગાર ઠરે તો તેને સજા થાય તેવો તેનો  મતલબ થાય.

‘આફસ્પા’ માં આવું કરવા માટે જોગવાઇ છે. સશસ્ત્ર દળ સામે નોંધાયેલા તહોમતનામાને સૈનિકોના કિસ્સામાં સંરક્ષણ મંત્રાલય (દિલ્હી) અને અર્ધ લશ્કરી દળ માટે ગૃહ મંત્રાલયમાં મોકલવામાં આવે છે. સદરહુ વ્યકિતને જે રક્ષણ આપવામાં આવ્યું છે  તે પાછું ખેંચવું કે નહીં તેનો નિર્ણય આ મંત્રાલય કરે છે અને પછી જે તે વ્યકિત સામે અદાલતમાં કામ ચલાવી શકાય. તા. ૧ લી જાન્યુઆરી, ૨૦૧૮ ના દિને રાજયસભાને કહેવામાં આવ્યું હતું કે ૧૯૮૯ થી ખૂન, ત્રાસ, અપહરણ અને બળાત્કારના કોઇ પણ મામલામાં કાયદેસરની મંજૂરી આપવામાં નથી આવી.

સૈન્ય કહે છે કે અમારી પાસે શિસ્તની અમારી પોતાની પધ્ધતિ છે જેનો અમે ઉપયોગ કરીએ છીએ. અલબત્ત, તેનો અશિસ્ત જેવા લશ્કરી ગુના સબબ ઉપયોગ કરવો જોઇએ. પણ નાગરિકો સામેના ગુનાઓમાં તેનો ઉપયોગ નહીં થવો જોઇએ. છતાં જુઓ શું થાય છે? તા. ૧૧ મે, ૨૦૦૬ ના દિવસે, એક કિસ્સામાં તપાસ કર્યા પછી સી.બી.આઇ. એ શ્રીનગરની ચીફ જયુડિશ્યલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ૭ રાષ્ટ્રીય રાઇફલના એકમના પાંચ સૈનિકો સામે હત્યાનો આરોપ મૂકયો અને દલીલ કરી કે આ ‘ઠંડા’ કલેજે કરેલા ખૂનના બનાવ છે અને સત્તા પર ફરજ બજાવવા દરમ્યાન લેવાયેલાં પગલાંનો ભાગ નથી. તેથી આ કૃત્યના કરનારાઓને  રક્ષણ મળવું જોઇએ નહીં!

ભારતીય સૈન્યે પાંચ સૈનિકો સામેની કાર્યવાહી ‘આફસ્પા’નો ઉપયોગ કરી અટકાવી દીધી. ભારતની સુપ્રીમ કોર્ટે સૈન્યના પગલાંને માન્ય રાખ્યું અને કહ્યું કે સદરહુ સૈનિકો સામે ‘કોર્ટ માર્શલ’ કરવું કે નહીં તે તમે જ નકકી કરો. ૨૦૧૨ ના સપ્ટેમ્બરમાં પથરી બાલમાં પાંચ નાગરિકોના ખૂન પછી બાર વર્ષે ભારતીય સૈન્યે આ મુકદમો લશ્કરી ન્યાય તંત્રને સોંપવાનું પસંદ કર્યું અને કોર્ટ માર્શલની પ્રક્રિયા શરૂ કરી. તા. ૨૪ મી જાન્યુઆરી, ૨૦૧૪ ના દિવસે ભારતીય સૈન્યે કહ્યું કે પુરાવાના અભાવે અમે આ તમામ પાંચ સૈનિકો સામેના આરોપો રદ કરીએ છીએ. શ્રીનગરના ચીફ મેજિસ્ટ્રેટની કોર્ટમાં અપાયેલા કલોઝર રીપોર્ટ મુજબ સૈન્યે મુકદ્દમો તો નહીં ચલાવ્યો પણ ખટલા પૂર્વેની કામગીરી કરી આરોપો પણ પડતા મૂકયા.

બીજી એક ઘટનામાં કાશ્મીરના મછીલમાં સૈનિકોને ત્રણ નાગરિકોની હત્યા બદલ કસૂરવાર ઠેરવાયા હતા પણ તેમને સૈન્યની એક ટ્રિબ્યુનલે ખુલાસો પણ આપ્યા વગર છોડી મૂકયા હતા. તા. ૨૩ મી ફેબ્રુઆરીએ ૪ – રાજપુતાના રાઇફલના સૈનિકો ઉત્તરના દુર્ગમ કુપવાડા જિલ્લાના કુનાન અને પોશપોટા ગામમાં આવ્યા હતા અને પુરુષોને  બહાર એકઠા થવા જણાવી તેમના ઘરમાં ઘૂસ્યા હતા અને આખી રાત ઘરમાં રહ્યા હતા અને તેમણે ૧૪ વર્ષની એક વિકલાંગ બાળાથી માંડીને ૭૦ વર્ષની એક દાદી સહિતની ગામની સ્ત્રીઓ પર બળાત્કાર કર્યો હતો. એફ.આઇ.આર. નોંધાવાઇ હોવા છતાં આમાં કંઇ વળ્યું નથી.

‘આફસ્પા’ કાયદાની આ જોગવાઇઓ રદ કરવા સામે વાંધા કાઢનારાઓએ વિચારવું જોઇએ કે તેમને આ પરિસ્થિતિ ચાલુ રાખવી છે કે આવા દાવાઓ નાગરિકોની અદાલતમાં ચાલે તેવી પરિસ્થિતિ જોઇએ છે? સૈન્યને તેણે જે ગુના કર્યા હોવાના આરોપ મૂકાય છે તેને માટે પોતાને જ ન્યાય આપવાનું કહેવાય છે. સરકારના એક દળ તરીકે તે તો એવું ઇચ્છે છે કે અમે જે કંઇ કરીએ છીએ તેમાં કોઇની દખલ નહીં જોઇએ. પણ ભારતના નાગરિકો સામેના ગુના બદલ એક ભારતીય ન્યાયાધીશ દ્વારા ભારતીય અદાલતમાં જ તેમની સામે કામ નહીં ચાલવું જોઇએ એમ કહેવું વાજબી છે?
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top