Comments

ગાઝાસંહાર: વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી

આશરે બે વર્ષથી ચાલતા સતત હુમલા. આશરે ૬૫૦૦૦ લોકોનાં મૃત્યુ. લાખો ઈજાગ્રસ્ત લોકો અને લાખો ભૂખમરાની કગાર પર ઊભેલાં લોકો. આ છે ૨૧મી સદીના ગાઝાની વાસ્તવિકતા! ઈઝરાઈલ અને પેલેસ્ટીનની વચ્ચેનો સ્થાનિક વિખવાદ માત્ર નથી. ગાઝામાં જે ચાલી રહ્યું છે તે વૈશ્વિક સ્તરની નૈતિક કટોકટી છે. આ કટોકટી આજની નથી, એની શરૂઆત ઈઝરાઈલ દેશના જન્મ સાથે જ થઇ છે, જે હાલમાં એની ચરમસીમા પર છે. બે વર્ષથી આખી દુનિયા જોઈ રહી છે અને અહીં માનવસંહાર ચાલી રહ્યો છે. આ યુદ્ધ નથી. બે વર્ષ પહેલાં હમાસે કરેલો હુમલો અપ્રસ્તુત બની ગયો છે. એનાં બહાનાં પાછળ ગાઝાપટ્ટીમાં આવેલા એકે એક શહેર પર વ્યવસ્થિત હુમલા કરી સંપૂર્ણ વિનાશ કરવાને યુદ્ધ ના કહેવાય. જ્યારે ગુનાના પ્રમાણમાં સજા નક્કી થાય ત્યારે ન્યાય થાય.

ગાઝાથી જે થોડા ઘણા વિડિયો આપણા સુધી પહોંચે છે એમાં પાકાં ઘરો, બહુમાળી મકાનો, મિસાઈલ કે ડ્રોન હુમલા પછી પત્તાના મહેલની માફક તૂટી પડતાં દેખાય છે. પાછળ સંપૂર્ણપણે તારાજ થયેલું શહેર! હોસ્પિટલો અને શાળા પણ હુમલાથી બચ્યાં નથી. મૃત્યુ પામનારામાં સ્ત્રીઓ અને બાળકોનું પ્રમાણ ઘણું મોટું છે! ૧૨૦૦થી વધુ ડોકટરો અને આરોગ્યકર્મીઓ તેમજ ૨૦૦થી વધારે પત્રકારોનાં મૃત્યુ થયાં છે – હિંસાથી સત્તા ટકાવી રાખનારને લોકશાહી મૂલ્યોથી કામ કરનાર પત્રકારો માફક નથી આવતા! લાગે છે જાણે ૧૯૪૮થી યહૂદી રાષ્ટ્રનો વિસ્તાર વધારવાનું જે અભિયાન ઈઝરાઈલે શરૂ કર્યું હતું એના ભાગ રૂપે આખું ગાઝા હવે કબજે કરવા માંગે છે અને તે પણ સ્થાનિક રહેવાસી વગર!

એક વર્ષથી સંયુક્ત રાષ્ટ્ર ગાઝામાં માનવસર્જીત દુષ્કાળની શક્યતા અંગે જગતને ચેતવી રહ્યું હતું અને ૨૦૨૫ની ૨૨મી ઓગસ્ટે ભૂખમરાની  સત્તાવાર જાહેરાત કરાઈ. સપ્ટેમ્બર મહિનામાં દુષ્કાળ અને ભૂખમરો વધુ ભયાનક બની ફેલાશે એવી શંકા વ્યક્ત થઇ છે. આમ છતાં,  ઇઝરાયેલની આર્મી કોઈ પણ પ્રકારની માનવતાવાદી સહાય આ વિસ્તારમાં પહોંચવા નથી દેતી. માર્ચ મહિનાથી કોઈ પણ આવનજાવન બંધ છે! સંયુક્ત રાષ્ટ્ર તરફથી આવતી મદદ  પણ નહિ. આ બર્બરતા ૨૧મી સદીમાં પણ થઇ રહી છે – આખી માનવજાત જોઈ શકે એ રીતે થઇ રહી છે! ઈઝરાઈલ એનાં શ્રેષ્ઠ હથિયાર અને ગુપ્તચર સેવા સાથે મુશ્તાક છે. ખોબા જેટલું ઈઝરાઈલની આ હિંમત વિશ્વના શક્તિશાળી દેશોની સીધી કે આડકતરી રીતે ભાગીદારી વિના શક્ય નથી! પાછલા ચાર – પાંચ મહિનાથી યુરોપના દેશો યુદ્ધ અટકવું જોઈએ એવી વાતો કરી રહ્યા છે પણ એમના પ્રયત્નો ઈઝરાઈલને  હુમલાઓ કરતું બંધ થાય એવું દબાણ ઊભું કરવા માટે પૂરતા નથી.

જ્યાં રાજ્યસત્તાઓ ઢીલી પડે છે ત્યાં નાગરિકોએ જવાબદારી ઉપાડી લેવી પડે છે. સિડની, લંડન, હેગ, વોશિંગ્ટન ડી.સી.,  જીનીવા, મેડ્રીડ, ટોક્યો, મેડ્રીડ, દમાસ્કસ, ઢાકા જેવા દુનિયાના અલગ અલગ ખૂણામાં આવેલાં શહેરોમાં હજારોની સંખ્યામાં લોકોએ ઈઝરાઈલ સામે વિરોધ પ્રદર્શિત કર્યા છે. ભારતમાં પણ મુંબઈ, દિલ્હી અને કલકત્તા જેવાં શહેરોમાં પ્રદર્શન થયાં છે જ્યાં ઈઝરાઈલ વિરુદ્ધ કડક નિવેદન આપવા માટે ભારત સરકાર પર દબાણ લાવવાનો હેતુ પણ હતો. પણ, જ્યારે દુનિયાના દેશો ઈઝરાઈલ પર દબાણ ઊભું કરી રહ્યા છે ત્યારે તેના નાણાં મંત્રી બેઝાલેલ સ્મોટ્રિચ – જે તેમના આક્રમક અંતિમવાદી વિચારો માટે અનેક વાર વખોડાઈ ચૂક્યા છે અને તેમની પર ઘણા દેશોએ પ્રતિબંધ મૂક્યો છે – તે ભારતના પ્રવાસે આવ્યા છે. બંને દેશો દ્વિપક્ષીય રોકાણ સમજુતી પર હસ્તાક્ષર કરી આર્થિક સહકાર તરફ આગળ વધી રહ્યા છે!

અનેક દેશનાં અનેક નાગરિકો દેખાવ કરવા ઉપરાંત ગાઝામાં સીધી મદદ પહોંચાડવાનું કામ પણ કરી રહ્યાં છે. ફ્રીડમ ફ્લોટિલા ગઠબંધન (એફએફસી) ધરા તળે આવું જ કામ કરતાં સંગઠનોનું ગઠબંધન છે જે ૨૦૧૦થી ગાઝામાં માનવતાવાદી સહાય પહોંચાડવાના પ્રયત્નો કરતું રહે છે. હાલમાં ૪૪ દેશોનાં કર્મશીલો ૨૦થી વધુ બોટમાં ‘ગ્લોબલ સુમુદ ફ્લોટિલા’ ગાઝામાં માનવતાના ધોરણે ખાદ્ય પદાર્થો, દવાઓ, બેબી ફુડ, જેવી સહાય પહોંચાડવા નીકળ્યાં છે.  અરેબીકમાં ‘સુમુદ’નો અર્થ છે ખંત અને  ફ્લોટિલા એટલે નૌકાનો કાફલો.

આ કાફલામાં સ્વીડનની યુવા કર્મશીલ ગ્રેટા થન્બર્ગ પણ છે,  જેના વહાણ પર ૯મી અને ૧૦મી સપ્ટેમ્બરે, બે વાર તુનીશિયાના દરિયામાં ડ્રોનથી હુમલો થયો. નસીબજોગે ટીમના દરેક સભ્ય બચી ગયાં. સુમુદ ફ્લોટિલાને ઈઝરાઈલે ધમકી આપી છે કે તેનાં સભ્યોની આતંકવાદ વિરોધી કાયદા હેઠળ ધરપકડ કરવામાં આવશે અને તેમને ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવશે. આ પહેલાં પણ જૂનમાં એફ.એફ.સી. નું એક જહાજ મૂળભૂત જરૂરિયાતની વસ્તુઓ પહોંચાડવા નીકળ્યું હતું જેને  ઇઝરાયેલી દળોએ તેને ગાઝા પટ્ટી સુધી પહોંચતાં અટકાવ્યાં હતાં.

ફ્લોટિલા આંતરરાષ્ટ્રીય સમુદાયની નિષ્ફળતાનું પરિણામ છે. જો જનરલ એસેમ્બલી અથવા સુરક્ષા પરિષદે ગાઝામાં માનવતાવાદી સહાય પહોંચાડવા માટે નિર્ણાયક પગલાં લીધાં હોત તો નાગરિક સમાજનાં કાર્યકરોને પોતાનો જીવ જોખમમાં મૂકી દરિયો ખેડવાની ફરજ પડી ન હોત. વિશ્વયુદ્ધ પછી વિશ્વશાંતિ માટે સર્વસંમતિથી લીધેલા નિર્ણયોના લગભગ એંશી વર્ષે નૈતિકતાની એ જ કટોકટી આપણને તાકી રહી છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top