Dakshin Gujarat Main

જમવાની બાબતે ઝઘડો થતાં ઉમરગામમાં મિત્રની હત્યા, બે પકડાયા

ઉમરગામ: જમવા જેવી સામાન્ય બાબતે મિત્રો વચ્ચે થયેલી બોલાચાલી લોહીયાળ બની હતી. એક મિત્રએ બીજા મિત્રને બેરહેમીથી હત્યા કરી દીધી હતી. ઉમરગામમાં બનેલી મજુર મિત્રની હત્યાના આ મામલામાં ભાગી છુટેલા બે આરોપીઓને ગણતરીના કલાકોમાં ઉમરગામ પોલીસે ઝડપી પાડ્યા છે.

સુત્રો પાસેથી મળતી જાણકારી મુજબ સોળસુંબા ન્યુ ઉમરગામ રેલવે સ્ટેશનના DFCCIL નવા ક્વોટર્સ નજીકથી રવિવારે સવારે મજૂર સંતોષકુમાર ચંદ્રિકારાય યાદવ (ઉ.વર્ષ 36 હાલ રહે વલસાડ અબ્રામા મૂળ રહે મોતીહારી બિહાર)ની હત્યા કરાયેલી લાશ મળી હતી.

મૃતકના ભાઈએ આ બનાવ સંદર્ભે મૃતકના સાથે કામ કરતા આરોપી શૈલેન્દ્ર ઉર્ફે શૈલેશ હીરારાય યાદવ (ઉં.વ 40 મૂળ રહે મોતીહારી બિહાર) અને એક બીજો ઈસમ આ બંને ઈસમોએ કોઈ અગમ્ય કારણોસર મૃતક સંતોષકુમાર ને ગળાના તથા શરીરના ભાગે ગંભીર ઇજાઓ કરી ખૂન કરી નાસી ગયા હોવાની ઉમરગામ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી આ કેસની તપાસ ઉમરગામ પોલીસ સ્ટેશનમાં પી.આઈ એસ.ડી.ચૌઘરી એ હાથ ધરી હતી.

પોલીસે ગણતરીના કલાકોમાં હત્યાના ગુનામાં સંડાવાયેલા આરોપીઓ શૈલેન્દ્ર ઉર્ફે શૈલેશ અને સુરજ કુમાર ઉર્ફે સુર્યા રહે વલસાડ મૂળ રહે યુપીને વલસાડ અને ઉમરગામ અલગ અલગ જગ્યાએથી ઝડપી પાડ્યા હતા. જમવાની બાબતે માથાકૂટ થતા મૂઢમાર મારી ને હત્યા કરાઈ હતી ઉમરગામ પોલીસે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે

Most Popular

To Top