પંજાબના ભૂતપૂર્વ IPS અધિકારી અમર સિંહ ચહલે આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. તેઓ પટિયાલામાં તેમના ઘરે ગંભીર રીતે ઘાયલ મળી આવ્યા હતા. તેમણે ગોળી મારી હતી અને હાલમાં તેમની હાલત ગંભીર છે. પોલીસને ઘટનાસ્થળેથી એક સુસાઇડ નોટ મળી છે જેમાં ઓનલાઈન છેતરપિંડીને કારણે થયેલા નોંધપાત્ર નાણાકીય નુકસાન અને મુશ્કેલીઓનો ઉલ્લેખ છે.
ભૂતપૂર્વ પોલીસ મહાનિરીક્ષક (IG) અમર સિંહ ચહલે પોતાના સુરક્ષા ગાર્ડની રિવોલ્વરથી પેટમાં ગોળી મારી હતી. ગોળીથી તેઓ ઘાયલ થયા હતા અને તેમને તાત્કાલિક પટિયાલાની પાર્ક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. IG પદ પરથી નિવૃત્ત થયા બાદ અમર સિંહ ચહલ પટિયાલામાં રહેતા હતા. પટિયાલાના SSP વરુણ શર્માએ જણાવ્યું કે ગોળીબારની માહિતી મળતાં પોલીસ ટીમો તાત્કાલિક અમર સિંહ ચહલના ઘરે પહોંચી હતી.
આત્મહત્યા કરતા પહેલા તેમણે 12 પાનાની સુસાઇડ નોટ લખી હતી. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર સુસાઇડ નોટમાં ₹8.10 કરોડની ઓનલાઈન છેતરપિંડીનો ઉલ્લેખ છે. તેમણે કેટલાક લોકો પાસેથી પૈસા ઉછીના લીધા હતા. ચહલે પોતાના પરિવાર માટે સુરક્ષાની વિનંતી કરી છે. તેમણે આ સુસાઇડ નોટ પંજાબ પોલીસના DGP ગૌરવ યાદવને સંબોધીને લખી હતી.
પટિયાલાના એસએસપી વરુણ શર્માએ જણાવ્યું હતું કે ગોળીબારની માહિતી મળતાં જ પોલીસ ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને ચહલને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેમની હાલત ગંભીર છે અને ડોકટરો તેમને બચાવવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે.
અમર સિંહ ચહલ 2015ના ફરીદકોટ ગોળીબાર કેસમાં આરોપી હતા. 2023માં પંજાબ પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) એ ભૂતપૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલ અને સુખબીર સિંહ બાદલ સહિત અનેક પોલીસ અધિકારીઓ સામે ચાર્જશીટ દાખલ કરી હતી જેમાં ચહલનું પણ નામ હતું. પોલીસ આ મામલાની સંપૂર્ણ તપાસ કરી રહી છે.