SURAT

પાંડેસરાની ડાઈંગ મિલમાં 25થી 30 કારીગરો કામ કરી રહ્યાં હતાં અને અચાનક આગ લાગી, પછી..

શહેરમાં હાલમાં દિવાળી વેકેશનનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે પાંડેસરા ખાતે આવેલા જીઆઈડીસી વિસ્તારમાં વધુ એક વખત મિલમાં આગ લાગવાની ઘટનાને પગલે આસપાસનાં વિસ્તારમાં નાસભાગ મચી જવા પામી હતી. ઘટનાને પગલે મિલમાં કામ કરી રહેલા કર્મચારીઓનો જીવ પણ તાળવે ચોંટયો હતો.

  • પાંડેસરા જીઆઈડીસીમાં ડાઈંગ મિલમાં આગ લાગતાં શ્રમજીવીઓના જીવ તાળવે ચોંટયા
  • ત્રણ ફાયર સ્ટેશનનાં લાશ્કરોએ આગ પર કાબુ મેળવ્યો
  • આગ લાગવાની ઘટનાને પગલે મિલમાંથી કારીગરો બહાર નીકળી જતાં તંત્રને હાશકારો

અલબત્ત, ઘટના વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલાં જ ફાયર વિભાગના લાશ્કરો દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવી લેવાયો હતો. આગને પગલે મિલમાં કામ કરી રહેલા શ્રમજીવીઓ બહાર દોડી ગયા હતા.

ફાયર વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પાંડેસરા જીઆઈડીસી ખાતે ઓરિએન્ટ ડાઇંગ મિલ આવેલી છે. ગઈકાલે ગુરુવારે રાત્રે રાબેતા મુજબ કારીગરો પોતાના કામમાં વ્યસ્ત હતા. દરમિયાન સેન્ટર મશીન વિભાગમાં આગ લાગી ગઈ હતી. આશરે 10:52 કલાકે આ ઘટના અંગે ફાયર કંટ્રોલમાં જાણ કરવામાં આવી હતી.

સેન્ટર મશીન વિભાગમાં આગ લાગવાને પગલે ત્યાં હાજર કારીગરોમાં ભાગદોડ મચી જવા પામી હતી. જો કે ત્યાં હાજર કારીગરો દ્વારા આગને ઓલવવા માટે ફાયર એક્સ્ટિગ્યુશરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બીજી તરફ મિલમાં આગ લાગી હોવાની ઘટનાની ગંભીરતા સમજીને શહેરના ભેસ્તાન ડીંડોલી અને ઉધના ફાયર સ્ટેશનથી ફાયર બ્રિગેડના જવાનોનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આગ પર કાબુ મેળવવાની કવાયત હાથ ધરવામાં આવી હતી.

સબ ફાયર ઓફિસર રોહિત ખાલાસીએ જણાવ્યું હતું કે વધારે હિટિંગ થવાને કારણે સેન્ટર મશીનમાં આગ લાગી હતી. આ ઘટના બની ત્યારે અંદર 25થી 30 જેટલા કારીગરો હાજર હતા. જો કે તેઓ ત્યાંથી સુરક્ષિત સ્થળે ખસી ગયા હતા. ફાયર જવાનો દ્વારા સતત પાણીનો મારો ચલાવીને પોણા કલાકની જહેમત બાદ આગને કંટ્રોલમાં કરી લેવામાં આવી હતી. આગ સમયસર કંટ્રોલમાં આવી જતાં. મોટું નુકસાન થતાં બચી ગયું છે.

Most Popular

To Top