અરબ સાગરમાં સર્જાયેલા ગંભીર ચક્રવાત ‘શક્તિ’ હવે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે તા.6 ઓક્ટોબરે વાવાઝોડું યુ-ટર્ન લઈને ગુજરાત તરફ વળશે. જોકે તેની અસર ઓછી રહેશે પરંતુ તા.8 ઓક્ટોબરે રાજ્યના છ જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે.
ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ અરબ સાગરમાં સર્જાયેલું ‘શક્તિ’ વાવાઝોડું હાલ ઓમાન તરફ આગળ વધી રહ્યું છે પરંતુ તા. 6 ઓક્ટોબરે યુ-ટર્ન લઈને ગુજરાત તરફ વળશે. આ વાવાઝોડું શ્રીલંકા તરફથી મળેલા નામ ‘શક્તિ’ થી ઓળખાય છે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું કે ‘શક્તિ’ વાવાઝોડાની ગુજરાત પર નહિવત્ અસર થશે પરંતુ દરિયાકાંઠા પર પવનની ગતિ 40થી 55 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. માછીમારોને આગામી પાંચ દિવસ દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે.
8 ઓક્ટોબરે વરસાદની શક્યતા
IMDના અનુમાન મુજબ તા. 8 ઓકટોબરે દ્વારકા, જામનગર, પોરબંદર, સુરત, નવસારી અને વલસાડ જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. અમદાવાદમાં છૂટાછવાયા સ્થળે હળવા ઝાપટાની શક્યતા છે. હાલ રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી સામાન્ય વરસાદી માહોલ રહેશે.
માંગરોળ બંદરે 3 નંબરનું સિગ્નલ
જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે અરબી સમુદ્રમાં ભારે કરંટ જોવા મળી રહ્યો હતો. જેના પગલે તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતાં. હવામાન વિભાગ તરફથી ‘શક્તિ’ વાવાઝોડાને ધ્યાનમાં રાખીને 3 નંબરનું ચેતવણી સિગ્નલ જારી કરવામાં આવ્યું છે.
જે દર્શાવે છે કે બંદર પર હળવું સંકટ અથવા ખરાબ હવામાનની સંભાવના છે. શક્તિ વાવાઝોડાને લઈને વહીવટી તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર છે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. લોકોને દરિયા કિનારે ન જવાની અને હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.
વાવાઝોડું નબળું પડ્યું
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે વાવાઝોડું હાલ સાયક્લોનિક સ્ટોર્મમાંથી નબળું પડીને ડિપ્રેશનમાં ફેરવાયું છે. જમીન નજીક આવતા કોઈપણ વાવાઝોડું નબળું પડવાની સંભાવના રહે છે એટલે ગુજરાત પર તેની મોટી અસર નહીં થાય.