Gujarat

સુરત સહિત રાજ્યના 8 શહેરો માટે રાત્રિના 12 થી સવારના 6 સુધી કરફર્યું

રાજ્યમાં કોરોનાના સંક્રમણને ધ્યાનમાં લઇ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા સુરત સહિત 8 શહેરોમાં રાત્રીના 12-00 થી સવારમાં 06-00 સુધી કરફર્યું અમલમાં મૂકવામાં આવ્યો છે. જે આગામી 10 ઓક્ટોબર સુધી અમલી રહેશે. આ અંગે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

રાજ્યના ગૃહ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા રાજ્યના ૮ શહેરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જુનાગઢ અને ગાંધીનગરમાં આજથી રાત્રિના 12-00 વાગ્યાથી 06-00 સુધી રાત્રી કરફર્યું અમલમાં રહેશે. આ કર્યું આગામી 10મી ઓક્ટોબર 2021 સુધી અમલી રહેશે.

આ ઉપરાંત નવરાત્રી દરમિયાન રાજ્યના 8 શહેરોમાં રાત્રે 12-00 વાગ્યા સુધી શેરી, સોસાયટી ફ્લેટમાં 400 વ્યક્તિની મર્યાદામાં ગરબાનું આયોજન તેમજ દુર્ગા પૂજા, શરદપૂર્ણિમા, દશેરાના તહેવારની ઉજવણી કરી શકાશે. ગરબા તથા તહેવારની ઉજવણીમાં ભાગ લેનાર દરેક વ્યક્તિએ કોરોના વેક્સિનના બે ડોઝ લીધેલા હોવા જોઈએ. આ ઉપરાંત લાઉડ સ્પીકર વગાડવા બાબતમાં સુપ્રીમ કોર્ટના આદેશોનું પાલન કરવાનું રહેશે.

વધુમાં રાજ્યમાં પાર્ટી પ્લોટ, ક્લબ, ખુલ્લી જગ્યા કે અન્ય કોઈ જગ્યા કે જ્યાં કોમર્શિયલ રીતે ગરબાનું આયોજન કરવામાં આવતું હોય એવા સ્થળોએ નવરાત્રિની ઉજવણીની પરવાનગી આપવામાં આવશે નહીં.જાહેર બાગ, બગીચાઓ રાત્રિના 10-00 વાગ્યા સુધી કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે ખુલ્લા રાખી શકાશે. અંતિમ ક્રિયા -દફનવિધિ માટે 100 વ્યક્તિઓની મંજૂરી રહેશે.

તમામ પ્રકારના રાજકીય, સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો, જાહેર સમારંભોમાં ખુલ્લામાં મહત્તમ 400 વ્યક્તિઓ, જ્યારે બંધ સ્થળોએ જગ્યાની ક્ષમતાના 50 ટકા (મહત્તમ 400 વ્યક્તિ)ની મર્યાદામાં એકત્ર થઇ શકશે.

ધોરણ 9 થી પોસ્ટ ગ્રેજયુએટ કોર્સમાં સુધીના કોચીંગ સેન્ટરો, ટ્યુશન ક્લાસ તમામ પ્રકારની સ્પર્ધાત્મક ભરતી પરીક્ષાઓ માટેના કોચીંગ સેન્ટરોમાં ક્ષમતાના મહત્તમ 50 ટકા વિદ્યાર્થીઓ સાથે ચાલુ રાખી શકાશે.સિનેમા, થિયેટર, ઓડિટોરિયમ, એસેમ્બલી હોલ, મનોરંજન સ્થળોએ મહત્તમ સહિત 60 ટકા કેપેસિટીમાં ચાલુ રાખી શકાશે, તેમજ વોટરપાર્ક, સ્વિમિંગ પુલમાં મહત્તમ 75 ટકા કેપેસિટીમાં ચાલુ રાખી શકાશે. જ્યારે સ્પા સેન્ટરો બંધ રહેશે.

અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં આવતા મુસાફરો માટે આરટીપીસીઆર ટેસ્ટ સંબંધમાં આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલી સુચનાઓ લાગુ રહેશે.તમામ ક્ષેત્રમાં સંકળાયેલા લોકોએ વેકસીનનો પ્રથમ ડોઝ લીધેલો ફરજીયાત રહેશે.

Most Popular

To Top