ગાંધીનગર : વિધાનસભાન ચૂંટણી પેહલા જ ગુજરાતમાં રાજકીય માહોલ ગરમાયેલો હોય તે રીતે હવે ગુજરાત કોંગ્રેસ ફરી એક વખત રાજ્યભરમાં જન આક્રોશ યાત્રા શરૂ કરવા જઈ રહી છે. વાવ થરાદ જિલ્લાના ઢીમા સ્થિત ધરણીધર મંદિરથી 21 નવેમ્બરે જન આક્રોશ યાત્રાનું પ્રસ્થાન થશે.
- 60 દિવસની યાત્રા વાવ થરાદ જિલ્લાના ઢીમા સ્થિત ધરણીધર મંદિરથી શરુ થશે
આ યાત્રા રાજ્યના 5 ઝોનમાં 60 દિવસ સુધી ચાલશે. ઉત્તર ગુજરાતમાંથી પ્રારંભ થનાર જન આક્રોશ યાત્રા 1100 કિલોમીટરનું ભ્રમણ કરી બહુચરાજી પહોંચશે. જ્યાં પહેલા ફેઝની યાત્રાનું સમાપન થશે. યાત્રા દરમિયાન ખેડૂતો, યુવાનો અને મહિલાઓના પ્રશ્નોને ધ્યાનમાં લઈને જાહેર સભાઓ યોજાશે. તા. ૨૧ નવેમ્બરથી કોંગ્રેસ રાજ્યવ્યાપી જન આક્રોશ યાત્રાની શરૂઆત કરશે, ઉત્તર ગુજરાતના ઢીમાથી જન આક્રોશ યાત્રાની શરૂઆત થશે અને બેચરાજી ખાતે પુર્ણાહૂતિ થશે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરીએ આજે સંયુક્ત રીતે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ગુજરાતમાં ભાજપના છેલ્લા ત્રણ દાયકાના શાસન સામે લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે રાજ્યવ્યાપી જન આક્રોશ યાત્રાની જાહેરાત કરી હતી. ચાવડાએ કહ્યું હતું કે “ગુજરાતમાં છેલ્લા ત્રણ દાયકાથી ચાલી રહેલું ભાજપનું શાસન એ નીતિ અને રીતિ મુજબ પ્રજાને ગુલામ બનાવવા અને શોષણ કરવા સમાન છે. તેમણે આક્ષેપ કર્યો કે આજે ગુજરાતમાં ‘ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર’નું નિર્માણ થયું છે.
જ્યાં સરકારને બદલે અધિકારી રાજ પ્રવર્તે છે અને પ્રજાના સંવૈધાનિક અધિકારો છીનવાઈ રહ્યા છે
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે રાજ્યના બજેટ અને કરોડો રૂપિયાના ટેક્સના પૈસાનો ઉલ્લેખ કરીને સવાલ ઉઠાવ્યો કે આ પૈસાનો ઉપયોગ પ્રજા માટે થવાને બદલે માત્ર ઉત્સવો, તાયફાઓ અને ભ્રષ્ટાચાર પાછળ વેડફાય છે. તેમણે ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિ પર આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આજે ગુજરાતનો ખેડૂત રૂ. ૫૬,૦૦૦ના દેવામાં ડૂબેલો છે અને વારંવારની આત્મહત્યાઓ છતાં સરકારનું પેટનું પાણી પણ હાલતું નથી, ખેડૂતોને રૂ. ૫૦,૦૦૦ની નુકસાની સામે માત્ર રૂ. ૩,૫૦૦નું વળતર આપીને રાહત પેકેજના નામે મશ્કરી કરવામાં આવી છે.
શિક્ષણ અને કાયદો-વ્યવસ્થા અંગે તેમણે જણાવ્યું કે શિક્ષણનું વ્યાપારીકરણ થતા ગરીબ પરિવારો માટે ભણતર મુશ્કેલ બન્યું છે, જ્યારે દારૂ, ડ્રગ્સ અને ગુંડાગીરીના કારણે કાયદો-વ્યવસ્થા કથળી ગઈ છે અને પોલીસ પણ જાણે હપ્તાખોરોની ગુલામ બની ગઈ છે.
આ તમામ પ્રશ્નોને ઉજાગર કરવા માટે ‘જન આક્રોશ યાત્રા’ની શરૂઆત ૨૧મી નવેમ્બરના રોજ ઉત્તર ગુજરાતના વાવ (ધરણીધર ભગવાન મંદિર, ભીમા)થી થશે અને ૩જી ડિસેમ્બરે બેચરાજી (બહુચર માતા મંદિર) ખાતે સમાપ્ત થશે. આ પ્રથમ તબક્કાની ૬૦ દિવસની યાત્રા દ્વારા સમગ્ર ગુજરાતમાં પરિવર્તનનો શંખનાદ કરવામાં આવશે.
વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે, ભ્રષ્ટાચારના આંકડા રજૂ કરતા જણાવ્યું કે મનરેગા કૌભાંડમાં મંત્રી પુત્રને પડતા મૂકવાનું પગલું માત્ર ભ્રષ્ટાચાર પર ઢાંકપિછોડો કરવાનો પ્રયાસ છે, કારણ કે દાહોદ જિલ્લાના ૮૦ ગામડામાં જ રૂ. ૪૩૪ કરોડનો ભ્રષ્ટાચાર થયો હોવા છતાં કોઈ તપાસ કરવામાં આવી નથી.
તેમણે નલ સે જલ યોજનામાં પણ મોટા કૌભાંડનો આક્ષેપ કર્યો કે નળ લાગી ગયા છે, પરંતુ પાણી નથી.શિક્ષણ અને બેરોજગારીની વાસ્તવિકતા દર્શાવતા જણાવ્યું કે ૫,૬૪૬ શાળાઓમાં મેદાન નથી, ૪૦,૦૦૦થી વધુ શિક્ષકોની ઘટ છે, અને કેન્દ્ર સરકારના રિપોર્ટ મુજબ આદિવાસી વિસ્તારના ૩.૨૧ લાખ બાળકો કુપોષિત છે. તેમણે બેરોજગારીનો આંકડો ટાંકતા કહ્યું કે માત્ર ૫ સ્ટાફ નર્સની ભરતી સામે ૩,૧૫૦ અરજીઓ આવે તે ગુજરાતની ગંભીર સ્થિતિ દર્શાવે છે.
કોંગ્રેસે જંગલ જમીનનો અધિકાર આપ્યા પછી પણ માત્ર ૫૦% આદિવાસીઓને જંગલની જમીન મળી છે અને આદિવાસીઓના પ્રશ્નો પર ભાર મુક્તા સ્પષ્ટ કર્યું હતું કે આદિવાસીઓના પ્રશ્નો હજી હલ થયા નથી અને આ લડત ચાલુ જ રહેશે. હાલમાં જ જે સરકારે ગીર ફાઉન્ડેશન નામની સંસ્થાને જે સેટેલાઇટ સર્વે કરવાનું જે કામગીરી સોંપી છે, એ ગીર ફાઉન્ડેશન દ્વારા બિન અધિકૃત રીતે જંગલના દાવાઓ ના મંજૂર કરવામાં આવે છે.