National

બળાત્કારીને 10 દિવસમાં ફાંસી આપતું બિલ કોલક્તાના ગર્વનરે અટકાવ્યું, મમતા સરકારનો કાઢ્યો વાંક

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળની આરજી કર હોસ્પિટલમાં ટ્રેઈની ડોક્ટરના બળાત્કાર અને હત્યા બાદ થયેલા વિરોધો વચ્ચે મમતા સરકારે વિધાનસભામાં અપરાજિતા બિલ રજૂ કર્યું હતું. આ બિલને સર્વાનુમતે પસાર કરી રાજ્યપાલને મંજુરી માટે મોકલવામાં આવ્યું હતું પરંતુ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ આનંદ બોસે આ બિલને અટકાવી દીધું છે.

રાજ્યપાલે કહ્યું કે, મમતા સરકારના લીધે જ અપરાજિતા બિલ પેન્ડિંગ છે. મમતા સરકારે બિલની સાથે ટેક્નિકલ રિપોર્ટ મોકલ્યો નથી. જેના લીધે અપરાજિતા બિલને મંજૂરી આપવું શક્ય બની રહ્યું નથી.

રાજભવન દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રાજ્યપાલ આનંદ બોસ મમતા સરકારના વલણથી ખુશ નથી. મમતા સરકારે મહિલાઓને લગતા આ મહત્ત્વના બિલ મામલે કોઈ પૂર્વ તૈયારી કરી નથી. મમતા સરકાર ભૂતકાળમાં પણ આવું કરતી રહી છે. અગાઉ પણ પશ્ચિમ બંગાળ વિધાનસભા દ્વારા પસાર કરાયેલા ઘણા બિલોના ટેક્નિકલ રિપોર્ટ રાજભવનને મોકલ્યા નહોતા. જેને પગલે આ બિલો પેન્ડિંગ થયા હતા. પાછળથી મમતા સરકારે રાજભવનને દોષિત ઠેરવી હતી.

નોંધનીય છે કે, કોલકાતાની આરજી કાર હોસ્પિટલમાં મહિલા ડૉક્ટરની બળાત્કાર-હત્યા બાદ રાજ્યમાં મહિલાઓની સુરક્ષાને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે. આ મામલે રાજ્યભરમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શનો બાદ રાજ્ય સરકારે 3 સપ્ટેમ્બરે પશ્ચિમ બંગાળ વિધાનસભામાં બળાત્કાર વિરોધી બિલ રજૂ કર્યું હતું. આ બિલ મુજબ પોલીસે રેપ કેસની તપાસ 21 દિવસમાં પૂરી કરી બળાત્કારીને ફાંસીની સજા આપવાની જોગવાઈ કરાઈ હતી.

વિધાનસભામાં બિલ પાસ થયા બાદ તેને રાજ્યપાલને મોકલવામાં આવ્યું હતું. અહીંથી પસાર થયા બાદ બિલ રાષ્ટ્રપતિને મોકલવામાં આવશે. અહીંથી મંજૂરીની મહોર મળ્યા બાદ જ આ બિલ કાયદામાં પરિવર્તિત થશે.

રાજ્યપાલ આનંદ બોસે આ બિલને આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર અને અરુણાચલ પ્રદેશના બિલની નકલ ગણાવી છે. તેમણે કહ્યું કે આવા બિલ પહેલાથી જ રાષ્ટ્રપતિ પાસે પેન્ડિંગ છે. લોકોને છેતરવા માટે મમતા વિરોધ પ્રદર્શનમાં ભાગ લઈ રહી છે.

Most Popular

To Top