મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકે રાજ્યના અવિરત વિકાસને ગતિ આપતો મહત્વપૂર્ણ જનહિતલક્ષી નિર્ણય કર્યો છે. રાજ્ય મંત્રીમંડળે નાગરિકો, પ્રજાવર્ગો અને પદાધિકારીઓની રજૂઆતોનો સકારાત્મક પ્રતિસાદ આપતા બનાસકાંઠામાંથી નવો વાવ-થરાદ જિલ્લો તેમજ હાલના રાજ્યના 21 તાલુકામાંથી નવા 17 તાલુકાની રચના કરવાની દરખાસ્તને સર્વાનુમતે મંજૂરી આપી છે.
- 2013 પછી પ્રથમવાર જિલ્લા તાલુકાઓની સંખ્યામાં મોટો ફેરફાર થશે
- મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજનાનો લાભ મળતા નવા બનનારા તાલુકા મથકોનો શહેરી ઢબે વિકાસ થઈ શકશે
- નવા વાવ-થરાદ જિલ્લાની રચનાની જાહેરાત પછી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો વહીવટી વિકેન્દ્રીકરણનો વધુ એક પ્રજાલક્ષી નિર્ણય: ઋષિકેશ પટેલ
- વડાપ્રધાને કરેલા વિકસિત ભારત @ 2047ના સંકલ્પમાં વિકસિત ગુજરાત @ 2047 માટે આ નવા તાલુકાઓની રચના મહત્વપૂર્ણ બનશે
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે મંત્રીમંડળના આ મહત્વપૂર્ણ નિર્ણય અંગે જણાવતા કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વહીવટી સરળીકરણનો જે વિચાર આપ્યો છે, તેને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં વર્તમાન રાજ્ય સરકાર વેગવંતો બનાવી રહી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની સરકારે રાજ્યના શાસનમાં વહિવટી વિકેન્દ્રીકરણથી લોકોને જિલ્લા-તાલુકા કક્ષાની કચેરીઓ સાથેના કામકાજમાં સુગમતા રહે તેમજ નવુ તાલુકા મથક નજીકમાં જ મળવાથી સામાજિક, આર્થિક, આરોગ્ય અને શૈક્ષણિક સહિતની સર્વગ્રાહી સુવિધામાં વધારો થાય તેમજ અંતરિયાળ ગામોમાંથી તાલુકા મથકે આવવા-જવામાંથી સમય, શક્તિ અને નાણાંનો પણ બચાવ થાય તેવા પ્રજાહિતલક્ષી ઉદાત્ત અભિગમથી આ નવા 17 તાલુકાઓની રચનાને મંજૂરી આપી છે.
પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, વાવ-થરાદ જિલ્લામાં હાલના બનાસકાંઠા જિલ્લાના 6 તાલુકાઓ વાવ, થરાદ, સુઈગામ, ભાભર, દિયોદર અને લાખણીનો સમાવેશ કરીને થરાદને જિલ્લા મુખ્ય મથક સાથે વાવ-થરાદ જિલ્લાની રચનાને કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે.
વધુ વિગતો આપતા મંત્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી તરીકે તાલુકા એકમને વિકાસ અને વહિવટમાં વધુ સશક્ત બનાવવા ATVT એટલે કે, આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકાની વિભાવના આપી હતી. વર્ષ 2013માં નવા 23 તાલુકાઓની તેમણે કરેલી રચના પછી પ્રથમવાર સૌથી વધુ સંખ્યામાં 17 નવા તાલુકાઓની રચનાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે નિર્ણય કર્યો છે.
મુખ્યમંત્રીએ ગત સ્વતંત્રતા દિવસે મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજનાની જે જાહેરાત કરેલી છે, તેનો લાભ નવા બનનારા તાલુકા મથકોને મળવાથી તેનો પણ શહેરી ઢબે વિકાસ થઈ શકશે. દેશમાં વિકાસના રોલ મોડલ અને ગ્રોથ એન્જિન તરીકે પ્રસ્થાપિત થયેલા ગુજરાતના તાલુકાઓને પણ વિકાસના મોડલ બનાવવાની દિશામાં આ નિર્ણય મહત્વનો પૂરવાર થશે. નવા તાલુકાઓની રચના અંગેનું વિધિવત જાહેરનામું ટૂંક જ સમયમાં પ્રસિદ્ધ કરાશે.
ગુજરાત @ 2047 હેઠળ વિકાસ થશે
મંત્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાને વિકસિત ભારત @ 2047ના કરેલા સંકલ્પમાં વિકસિત ગુજરાત @ 2047 માટે વિકાસશીલ તાલુકાઓ વિકસિત થાય તે દિશામાં નવા જિલ્લા-તાલુકાઓની રચના કરવામાં આવશે. આ નવા 17 તાલુકાઓની રચના થવાથી હાલના 51 વિકાસશીલ તાલુકાઓની સંખ્યામાં 10 તાલુકાઓનો વધારો થશે અને તેમને પણ વિકાસશીલ તાલુકાઓને મળતી ગ્રાન્ટનો લાભ મળતો થશે. એટલું જ નહીં, નવા જિલ્લા અને તાલુકાઓનું નવીન વહિવટી માળખું ઉભુ કરવા સાથે વિવિધ વિકાસ કામો માટે મળતી ગ્રાન્ટમાં પણ વધારો થશે.
દક્ષિણ ગુજરાતમાં પણ નવા તાલુકા બનશે
સરકારના આ નિર્ણયની અસર દક્ષિણ ગુજરાતમાં પણ જોવા મળશે. દક્ષિણ ગુજરાતના વલસાડ, તાપી, સુરતમાં નવા તાલુકા બનશે. નર્મદાના ડેડિયાપાડામાં ચીકદા, વલસાડમાં નાનાપોંઢા, તાપીમાં ઉકાઈ અને સુરતમાં અરેઠ તથા અંબિકા એમ કુલ 5 નવા તાલુકા બનશે. સુરત જિલ્લામાં મહુવામાંથી અંબિકા અને માંડવીથી અરેઠ તાલુકો અલગ થશે. સોનગઢમાંથી ઉકાઈ અને વાપી ગ્રામ્યમાંથી નાનાપોંઢા અલગ થશે.
નવા 17 તાલુકાના નામ
મહિસાગર પંચમહાલમાં ગોધર(સંતરામપુર), કોઠંબા (લુણાવાડા), નર્મદા જિલ્લામાં ચીકદા (ડેડિયાપાડા), વલસાડ જિલ્લામાં નાનાપોંઢા (વાપી ગ્રામ્ય), બનાસકાંઠા જિલ્લામાં રાહ (થરાદ), ધરણીધર (વાવ), ઓગડ (કાંકરેજ), હડાદ (દાંતા), દાહોદ જિલ્લામાં ગોવિંદ ગુરુ લીમડી (ઝાલોદ), સુખસર (ફતેપુરા), છોટાઉદેપુરમાં કદવાલ (જેતપુર પાવી), ખેડામાં ફાગવેલ (કપડવંજ-કઠલાલ), અરવલ્લીમાં શામળાજી (ભિલોડા), સાઠંબા (બાયડ), તાપી જિલ્લામાં ઉકાઈ (સોનગઢ) અને સુરત જિલ્લામાં અરેઠ (માંડવી) અને અંબિકા (મહુવા).