Dakshin Gujarat

ભરૂચમાં મહિલા કોર્પોરેટરના પતિની ‘ગુંડાગર્દી’: 2 મિત્ર પર ચપ્પુથી હુમલો

ભરૂચ: ભરૂચ (Bharuch) નગર પાલિકાના વોર્ડ નં.૩ની મહિલા સેવિકા હેમાલી રાણાના (Hemali Rana) પતિ (Husband) કર્તવ્ય રાણાનું વધુ એક કારસ્તાન બહાર આવ્યું છે. અગાઉ દારૂના (Alcohol) વેપલામાં ઝડપાયેલા કોર્પોરેટરના પતિ કર્તવ્યએ હવે ૨ લોકોને અંગત અદાવતે તીક્ષ્ણ ચપ્પુ (Knife) હુલાવી દીધું છે. બંને યુવાન પૈકી પ્રિયંક મહંતની હાલત ગંભીર જણાતાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં (Hospital) ખસેડાયો છે. ભરૂચ એ ડિવિઝન પોલીસે (Police) ૩૦૭ હેઠળનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ભરૂચ નગર સેવાસદનના વોર્ડ નં.૩ના ભાજપનાં મહિલા કાઉન્સિલર હેમાલી રાણાના પતિ કર્તવ્ય પ્રવીણ રાણાએ બે મિત્રો પર છરી વડે જીવલેણ હુમલો કરતાં ચકચાર મચી ગઈ છે. ભરૂચ ખાતે રહેતા મેહુલ ચૌહાણની કોઈ બાબતે ભાજપ BJPના મહિલા કાઉન્સિલરના પતિ કર્તવ્ય રાણા સાથે બોલાચાલી થઈ હતી. શક્તિનાથ વિસ્તારમાં મેહુલ પોતાના મિત્ર પ્રિન્સ મહંત સાથે કર્તવ્યને મળવા ગયો હતો. ત્યાં ઉશ્કેરાયેલા કર્તવ્ય રાણાએ બંનેને ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા, જેમાં મેહુલને પગના ભાગે તથા પ્રિન્સને પેટના ભાગે ઈજા થઈ હતી. ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર સિવિલ હોસ્પિટલમાં આપ્યા બાદ પ્રિન્સ મહંતને વધુ સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવ્યો છે.

ઘટનાની જાણ થતાની સાથે જ એ ડિવિઝન પોલીસનો કાફલો સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો અને આરોપી કર્તવ્ય રાણા વિરુદ્ધ IPCની ૩૦૭ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આ અગાઉ પણ કર્તવ્ય રાણા વિવાદમાં આવી ચૂક્યો છે. અગાઉ પ્રોહિબિશનના ગુનામાં પણ તેની ધરપકડ થઈ હતી.

‘આ હિંચકો બાળકો માટે છે, તું બેસશે તો તૂટી જશે’ કહેતાં આધેડને માર મરાયો
ભરૂચ: ભરૂચ પાલિકાના ગાર્ડનની સંભાળ રાખતા એક આધેડે બાળકના હિંચકા પર મોટો ઇસમ બેસવાનો ઇન્કાર કરતાં અન્ય આઠ-દસ ઈસમોએ ઢોરમાર માર્યો હતો. આધેડને આંખ પર ઈજા થઇ હતી.

ભરૂચના મહાદેવનગરમાં રહેતા ૫૯ વર્ષીય ગણેશ રમણ રાણા ભરૂચ કલેક્ટરમાં પટાવાળા તરીકે નોકરી કરે છે. તેમના ઘરની નજીક ભરૂચ નગરપાલિકાનો ગાર્ડન હોવાથી તેની સારસંભાળ રાખે છે. તા.૧૭/૪/૨૦૨૨ના રોજ મધરાત્રે ૧૧ વાગ્યાના આસપાસ તેઓ ગાર્ડનમાં જઈને જોતાં બાળકોના હિંચકા પર ધ્રુવિલ કાયસ્થ તેમજ અન્ય બે માણસો હિંચકતા હતા. જેથી ગણેશભાઈએ ધ્રુવિલ કાયસ્થને સલાહ આપીને કહ્યું કે, આ હીંચકો નાના છોકરાઓનો છે. તું હિંચકા પર બેસે તો તે તૂટી જશે એમ કહેતાં ગાર્ડનમાં આજુબાજુ બેઠેલા પ્રશાંત કાયસ્થ,પ્રથમ કાયસ્થ, પ્રકાશ ઉર્ફે મુન્નો કાયસ્થ તેમજ રાજ કાયસ્થ એકદમ ઉશ્કેરાઈને કહ્યું કે, તું અમને કહેવાવાળો કોણ, તારા બાપની મિલકત છે એમ કહી ગણેશભાઈને તમાચો મારી ઝપાઝપી કરી હતી. આખરે ગણેશભાઈ સાથે આવેલા મુકેશભાઈ મુનિયાએ સમજાવીને તેઓ ઘર તરફ જતા હતા. આ ઘટનાની રીસ રાખીને પાંચ ઈસમ સાથે અન્ય આઠ-દસ ઈસમોને લઇ આવી ગણેશભાઈને ઢીકાપાટુનો માર કર્યો હતો, જેમાં ગણેશભાઈની આંખની ભમર પર મુક્કો મારતાં ઈજા થઇ હતી. તેઓ જતાં જતાં આ ઈસમોએ કહ્યું હતું કે, હવે જો આ ગાર્ડનમાં દેખાયો તો તને જીવતો નહીં છોડીએ એવી ધમકી આપી હતી. જે બાબતમાં ભરૂચ A ડિવિઝનમાં મારામારી અને જાનથી મારી નાંખવા બાબતે પાંચ ઈસમ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો.

Most Popular

To Top