ભરૂચ: (Bharuch) સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં મંગળવારે ઉમેદવારી પત્ર ખેંચવાનો અંતિમ દિવસ હોય ભરૂચ જિલ્લામાં યોજાનાર 4 નગરપાલિકાની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. રાજયમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં ફોર્મ ચકાસણી બાદ મંગળવારે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો. ભરૂચ જિલ્લામાં ભરૂચ, અંકલેશ્વર, જંબુસર અને આમોદ નગરપાલિકાની ચૂંટણી યોજાનાર છે. ત્યારે ચારેય નગર પાલિકાની ચૂંટણીનું ચિત્ર હવે સ્પષ્ટ થઈ ગયું છે.

જેમાં ભરૂચ નગર સેવાસદનની ચૂંટણીમાં 157 ફોમ માન્ય રહ્યા હતા. જે પૈકી 8 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા હવે 11 વોર્ડની 44 બેઠક પર 149 ઉમેદવારો મેદાનમાં છે. ભારતીય ટ્રાયબલ પાર્ટીના 4, અપક્ષના 3, એન.સી.પી. અને કોંગ્રેસનાં એક-એક ઉમેદવારોએ પોતાનું ફોર્મ પરત ખેંચી લીધું હતું. વોર્ડ નંબર-3માં કોંગ્રેસનાં ઉમેદવાર મંજુલા જાવિયાએ ઉમેદવારીપત્ર પરત ખેંચ્યું છે.
અંકલેશ્વર (Ankleshwar) નગર સેવા સદનની ચૂંટણીમાં કુલ 107 ઉમેદવારીપત્રો માન્ય રહ્યા હતા જે પૈકી અંતિમ દિવસે 6 ફોર્મ પરત ખેંચાતા હવે નગર પાલિકાની 36 બેઠક પર 101 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. અંકલેશ્વર નગર પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે પહેલેથી જ એક બેઠક ગુમાવી છે. વોર્ડ નંબર 6માં કોંગ્રેસનાં ઉમેદવાર અંજના પરમારનું ફોર્મ રદ્દ થતાં ભાજપને એક બેઠક જાણે તૈયાર મળી જ ગઈ છે.

આમોદ પાલિકા 4 ફોર્મ પરત ખેંચાતા 81 ઉમેદવારો વચ્ચે જંગ
જંબુસર નગર પાલિકાની ચૂંટણીમાં કુલ 122 ઉમેદવારી પત્રો માન્ય રહ્યા હતા. જે પૈકી કુલ 7 વોર્ડમાં 16 ઉમેદવારી પત્રો પરત ખેંચાતા હવે નગર પાલિકાના 7 વોર્ડની 28 બેઠક પર 106 ઉમેદવાર મેદાને રહ્યા છે. આમોદ નગર પાલિકાની વાત કરવામાં આવે તો આમોદ પાલિકાની ચૂંટણીમાં કુલ 85 ઉમેદવારીપત્રો માન્ય રહ્યા હતા અને 4 ફોર્મ પરત ખેંચાતા નગર પાલિકાના 6 વોર્ડની 24 બેઠક પર 81 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે.

બારડોલી નગરપાલિકામાં કુલ 9 વોર્ડની 36 બેઠકો પર 87 ઉમેદવારો મેદાનમાં
બારડોલી: (Bardoli) બારડોલી નગરપાલિકામાં કુલ 9 વોર્ડની 36 બેઠકો પર 87 ઉમેદવારો મેદાનમાં છે. આજે ઉમેદવારી પત્ર પરત ખેંચવાના દિવસે વોર્ડ નંબર 9માંથી આમ આદમી પાર્ટીના એક ઉમેદવારે પોતાની ઉમેદવારી પરત ખેંચી હતી. સૌથી વધુ વોર્ડ નંબર 3 અને 6માં 12 – 12 ઉમેદવારો મેદાનમાં છે. બારડોલી તાલુકા પંચાયતની ખોજ બેઠક પરથી કોંગ્રેસની ઉમેદવારે પોતાની ઉમેદવારી પરત ખેંચી લેતા ભાજપના ઉમેદવાર બિનહરીફ વિજેતા જાહેર થઈ છે. આઝાદી પછી પ્રથમ વખત ખોજ બેઠક પર ભાજપનો ભગવો લહેરાતા કાર્યકર્તાઓમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે.
