Comments

ભારતીય જનતા પક્ષે બદલાવું જ પડશે

છેલ્લાં સાત વર્ષમાં ભારતીય જનતા પક્ષનો ચૂંટણી અને વધતે-ઓછે અંશે શાસન પ્રણાલીમાં એવો અભિગમ રહ્યો છે કે કાયમ જંગ ખેલતાં રહેવું અને કદી પરાજય મળે તો ય સુરક્ષા કવચ ઘટાડવું નહીં કે પરાજય પ્રત્યે કદી (જાહેરમાં) વસવસો કે દિલગીરી બતાવવાં નહીં. કોવિડ-૧૯ મહામારીને હાથ ધરવાની બાબત હોય કે તાજેતરની ચાર રાજયો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની વિધાનસભાની ચૂંટણી હોય, ભારતીય જનતા પક્ષે તાજેતરમાં આ જ વલણ બતાવ્યું છે.

આમ છતાં લોકસભાની ૨૦૨૪ ની ચૂંટણીનાં ત્રણ વર્ષથી ઓછા સમયમાં વિધાનસભાઓની ચૂંટણીનો આ તબકકો ભારતીય જનતા પક્ષને વધુ પાઠ ભણાવી ગયો. છે. જો કે તેણે વિભાજીત વિરોધપક્ષને એટલો પાઠ ભણાવ્યો નથી. આ પાઠ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસનાં પ્રમુખ મમતા બેનરજીએ ભારતીય જનતા પક્ષને માંધાતાઓથી સભર ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર છતાં પછાડીને તેમ જ કેરળ અને તામિલનાડમાં ભારતીય જનતા પક્ષને માંડમાંડ થોડી બેઠકો મળે એવી પરિસ્થિતિએ શીખવાડયો છે.

વિરોધ પક્ષે આમાંથી પાઠ એ શીખવાનો છે કે મોદી-શાહના ત્સુનામીક સામે ટકકર લેવા ભેદભાવ ભૂલી એક થવાનું છે. અત્યાર સુધી અંધારામાં ફાંફા મારી રહેલા ખબર વગરના વિરોધ પક્ષોને માટે મોદી – શાહ સામે એકલે હાથે લડીને વિજેતા થયેલાં મમતા બેનરજી આશાનું કિરણ બન્યાં છે.અટલ સંસાધનો હોવા છતાં અને સુઆયોજિત તંત્ર હોવા છતાં બંગાળમાં સખત પછડાટ ખાનાર ભારતીય જનતા પક્ષને સાત વર્ષમાં પહેલી વાર ભોંઠપ અનુભવવી પડી છે. પક્ષે નવા વિસ્તાર કબજે કરવા માટે પોતે જે વિસ્તારમાં ખાસ વગ નથી ધરાવતો ત્યાં હતાશાજનક પ્રયત્નો કરી પોતાની અપેક્ષાઓ વધારી દીધી હતી? બંગાળી ભદ્રલોકની સંસ્કૃતિ પ્રીતિને વાંચવામાં થાપ ખાઇ ભારતીય જનતા પક્ષે પોતાની શૈલીની સંસ્કૃતિ લાદવાનો પ્રયત્ન કર્યો હતો!

ભારતીય રાજકારણમાં પરંપરાગત રીતે રાજકીય નેતાઓ મતદારો મતદાન કરે તે પહેલાં માનસિક રીતે તેમને કબજે કરવા ઊંચા ધ્યેય રાખી ઊંચા ઊંચા દાવા કરતા હોય છે. ભારતીય જનતા પક્ષના વ્યૂહરચનાકારોએ અતિરેક કરી નાંખ્યો છે અને ૨૦૧૪ ની લોકસભાની ચૂંટણી પછી બે પાંખિયો વ્યૂહ અપનાવ્યો હતો. (૧) ઇલેકટ્રોનિક (૨) સોશ્યલ મિડીયા પર છવાઇ જવા મોદીની પ્રતિભા વિરાટ દર્શાવી તે પ્રમાણે ઊંચા ધ્યેય નકકી કરવા. લોકોમાં એવી આશા જાગી કે આવી પ્રતિભા ધરાવનાર અજેય રહે અને અશકયને પણ શકય બનાવે.

બંગાળમાં ભારતીય જનતા પક્ષે જે પછડાટ ખાધી તેનાથી લોકોનો આ ભ્રમ ભાંગી ગયો અને ભારતીય જનતા પક્ષ સ્થાનિક સાંસ્કૃતિક રાજકીય નીતિમત્તા સામે પોતાનો સાંસ્કૃતિક / ધાર્મિક કાર્યક્રમ રજૂ કરવા ગયો અને ઊંઘમાં એ પટકાયો. હવે ભારતીય જનતા પક્ષ માટે આંતરનિરીક્ષણ કરવાનો સમય પાકી ગયો છે. પક્ષના વ્યૂહરચનાકારો માટે આ જરૂરી કારણ કે બંગાળ, તામિલનાડ અને કેરળમાં સંતૃપ્તિકરણના તબકકે પહોંચ્યા પછી જે રાજયોમાં સંભવિત પરાજય હોય ત્યાં ૨૦૨૪ ની સામાન્ય ચૂંટણી પહેલાં તેને સરભર કરવા નવાં ક્ષેત્રો સર કરવાની ભારતીય જનતા પક્ષે તક ગુમાવી છે. મહામારી અને તેને પગલે આવેલ આર્થિક કટોકટીની ગંભીર પરિસ્થિતિ હાથ ધરવામાં નીતિને થયેલા લકવાને કારણે જે શાસન વિરોધી લાગણીનો ભારતીય જનતા પક્ષે સામનો કરવો પડે તેના સંદર્ભમાં તેણે વાસ્તવિકતાની ભૂમિ પર પોતાની વ્યૂહરચના બદલવી પડશે, કારણ કે વાતોનાં વડાં કરીને વાસ્તવિકતા સામે આંખ મીંચામણા કરી આક્રમક થવાથી કંઇ વળે તેમ નથી. અત્યાર સુધી આ વ્યૂહરચના કોંગ્રેસની નબળાઇને કારણે ચાલી ગઇ.

હવે ખાસ કરીને બંગાળમાં અને અન્યત્ર પરિસ્થિતિ બદલાઇ છે અને નવી શકયતાઓ જન્મી છે. કોઇ સરકાર કે શાસક પક્ષ ખાસ કરીને ચૂંટણી પ્રચારમાં અને વખતોવખત આપેલાં વચન પૂરાં કરી શકે નહીં અને નરેન્દ્ર મોદીની સરકાર તેમાં અપવાદ નથી. સૌથી મહત્ત્વનું એ છે કે આપેલાં વચનો અને તેના પાલન વચ્ચે સમતુલા જાળવવી, નહીં તો લોકોનો પક્ષમાંથી વિશ્વાસ ઊઠી જશે. મોદીનો પ્રભાવ ૨૦૧૪ જેટલો નથી રહ્યો છતાં હજી લોકોને તેમના પર આશા છે. આર્થિક કટોકટી ઝળુંબતી હોવા છતાં અને મહામારીના કેર છતાં મોદી હજી આશા અને વિશ્વાસનું પ્રતીક બની રહ્યા છે. પણ બંગાળ, તામિલનાડ અને કેરળની ચૂંટણી પછી પોતાના દૃષ્ટિકોણને ફરીથી નહીં જુએ તો તેને મુશ્કેલી પડશે.

સાત વર્ષમાં મોદીના નેતૃત્વમાં યુદ્ધો લડી રહેલો ભારતીય જનતા પક્ષ ઉત્તરોત્તર મજબૂત બનતો રહ્યો અને પ્રત્યેક ચૂંટણીવિજય પછી તે વધુ સખત અને આક્રમક થયો અને સરકારમાં અને સંગઠનમાં એકહથ્થુવાદ વધ્યો. કેન્દ્ર અને રાજયો તેમજ સરકાર અને વિરોધ પક્ષો વચ્ચેના મોટા ભાગના વિવાદોમાં મોદી સરકાર અને શાસક પક્ષની ‘એકલા ચાલો’ની નીતિ વધુ કારણભૂત રહી છે. પરિણામે શાસક પક્ષ એટલે કે સરકાર અને વિરોધ પક્ષો વચ્ચે આ ભયંકર મહામારીની મધ્યમાં પણ તીવ્ર મતભેદ છે અને સરકાર વિરોધ પક્ષોનાં સૂચનો કે પ્રસ્તાવને એક કાનેથી સાંભળી બીજા કાનેથી કાઢી નાંખે છે.

બંગાળમાં પોતાના કાર્યકરો અને નેતાઓ પર થયેલી હિંસાને પગલે ત્યાં ચૂંટાયેલા પોતાના પક્ષના તમામ ધારાસભ્યોને ‘એકસ’ કેટેગરીની સુરક્ષા આપવાનો ભારતીય જનતા પક્ષના નેતૃત્વાળી કેન્દ્ર સરકારનો નિર્ણય અભૂતપૂર્વ છે એટલું નહીં, તે એવું પણ બતાવે છે કે અજેય ગણાતો શાસક પક્ષ નબળી સ્થિતિમાં છે. તેમને સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિકયુરિટી ફોર્સ સુરક્ષાનું કવચ પૂરું પાડશે અને ‘એકસ’ કેટેગરીની સુરક્ષા હેઠળ ત્રણથી પાંચ કમાંડો ધારાસભ્યોને તેઓ જયાં જાય ત્યાં શસ્ત્રો સાથે રહેશે.

વખોડપાત્ર હોવા છતાં રાજકીય હિંસા બંગાળમાં કેન્દ્રસ્થાને રહી છે. કમનસીબે રાજયમાં તમામ મુખ્ય રાજકીય પક્ષોએ વખતોવખત રાજકીય હિંસાનો આશરો લીધો છે. પણ કોઇ પણ એક પક્ષના તમામ ધારાસભ્યોને આના જેવું સુરક્ષા કવચ પૂરું પડાયું નથી. જમ્મુ – કાશ્મીર અને પંજાબમાં એક વખતની વાત અલગ હતી કે ત્યાં બળવાખોરી કે ત્રાસવાદ હતો પણ બંગાળમાં કંઇ એવી પરિસ્થિતિ નથી કે લોકોના ખર્ચે રાજકીય નેતાઓને રક્ષણ આપવું પડે. તો આ અસાધારણ પગલું કેમ લેવાયું? ભારતીય જનતા પક્ષના વ્યૂહરચનાકારોના મગજમાં એવો ડર છે કે વધુ શકિતશાળી બનીને બહાર આવેલ મમતા બેનરજી ભારતીય જનતા પક્ષના ધારાસભ્યોને સાથે રહેવાનું મુશ્કેલ બનાવશે? કોરોનાની મહામારી અને બંગાળની ચૂંટણીમાં પરાજયને પગલે ભારતીય જનતા પક્ષમાં અજંપો ફેલાઇ ગયો છે. કારણ કે લોકોનું દબાણ પણ વધતું જાય છે. આ સંજોગોમાં ભારતીય જનતા પક્ષે પડકારોને ઝીલવા સaર્વગ્રાહી અભિગમ લેવો જ પડશે અને આક્રમકતા છોડવી જ પડશે.

  • આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top