પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે બુધવારે કેન્દ્રીય મંત્રીમંડળે 2030 કોમનવેલ્થ ગેમ્સ (CWG) ની યજમાની માટે ભારતના પ્રસ્તાવને લીલી ઝંડી આપી છે. સરકારે અમદાવાદને આ કાર્યક્રમ માટે “આદર્શ શહેર” ગણાવ્યું અને કહ્યું કે તેમાં વિશ્વ કક્ષાનું સ્ટેડિયમ, અત્યાધુનિક તાલીમ સુવિધાઓ અને રમતગમત માટે ઉત્સાહી વાતાવરણ છે.
આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે થોડા દિવસો પહેલા જ ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA) એ ‘ઇચ્છાની અભિવ્યક્તિ’ સબમિટ કર્યા પછી ભારતની બિડને મંજૂરી આપી હતી.
પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો દ્વારા જારી કરાયેલ એક પ્રકાશનમાં કહેવામાં આવ્યું છે કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે યુવા બાબતો અને રમતગમત મંત્રાલયના પ્રસ્તાવને મંજૂરી આપી છે, જેમાં ભારત વતી 2030 કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવા માટે બિડ કરવાની પરવાનગી માંગવામાં આવી હતી.’
જો બિડ સ્વીકારવામાં આવે છે, તો કેબિનેટે યજમાન સહયોગ કરાર (HCA) પર હસ્તાક્ષર કરવાને પણ મંજૂરી આપી છે, જેમાં સંબંધિત મંત્રાલયો અને વિભાગો તરફથી જરૂરી ગેરંટી અને ગુજરાત સરકારને ગ્રાન્ટ-ઇન-એઇડ આપવામાં આવશે. 2030 કોમનવેલ્થ ગેમ્સ માટે બિડિંગ કરવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે IOA આગામી 48 કલાકમાં બધી પ્રક્રિયાઓ પૂર્ણ કરશે.
જો આ બિડ સફળ થશે તો ભારત બીજી વખત કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરશે. અગાઉ 2010માં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન નવી દિલ્હીમાં કરવામાં આવ્યું હતું.